Drugs Case: નવાબ મલિકનો નવો આરોપ, 'સમીર વાનખેડેએ આર્યન ખાનનું ખંડણી માટે અપહરણ કર્યું'

મહારાષ્ટ્રમાં નવાબ મલિક અને સમીર વાનખેડે વચ્ચે તકરાર વધતી જાય છે. હવે આજે નવાબ મલિકે સમીર વાનખેડેને પાછા સમીર દાઉદ વાનખેડે સંબોધન કરીને આરોપ લગાવ્યો કે સમીર વાનખેડેએ આર્યન ખાનનું અપહરણ કર્યું હતું

 Drugs Case: નવાબ મલિકનો નવો આરોપ, 'સમીર વાનખેડેએ આર્યન ખાનનું ખંડણી માટે અપહરણ કર્યું'

મુંબઈ: મહારાષ્ટ્રમાં નવાબ મલિક અને સમીર વાનખેડે વચ્ચે તકરાર વધતી જાય છે. હવે આજે નવાબ મલિકે સમીર વાનખેડેને પાછા સમીર દાઉદ વાનખેડે સંબોધન કરીને આરોપ લગાવ્યો કે સમીર વાનખેડેએ આર્યન ખાનનું અપહરણ કર્યું હતું અને ખંડણી માંગી હતી. તેમણે દાવો કર્યો કે આ મામલાની તપાસ એક ખાસ એસઆઈટી કરશે જેને મહારાષ્ટ્ર સરકારે બનાવી છે અને કેન્દ્ર સરકારની એસઆઈટી પણ તેમા સામેલ થશે. 

નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું કે મે એસઆઈટી બનાવવાની માંગણી કરી હતી, પરંતુ હવે બે એસઆઈટી બનાવવામાં આવી છે. એક ટીમ કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવી છે. જ્યારે બીજી રાજ્ય સરકારે બનાવી છે. હવે જોવાનું એ રહેશે કે કોણ સૌથી પહેલા આ મામલાની જડ સુધી જઈને અસલિયત સામે લાવે છે અને તેને તથા તેની નાપાક આર્મીનો પર્દાફાશ કરે છે. 

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 6, 2021

આર્યન ખાન-મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસ મામલાની તપાસ શુક્રવારે એનસીબીના મુંબઈ ઝોનથી એજન્સીની કેન્દ્રીય ટીમને સોંપવામાં આવી. સમીર વાનખેડે વિરુદ્ધ ડ્રગ્સ કેસ મામલે કથિત વસૂલીના આરોપોની તપાસ થઈ રહી છે. તેઓ હવે આ કેસની તપાસ કરશે નહીં. 

સમીર વાનખેડેએ કરી સ્પષ્ટતા
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાનના કેસથી અલગ થયા બાદ એનસીબીના અધિકારી સમીર વાનખેડેએ નિવેદન આપ્યું છે. સમીર વાનખેડે (Sameer Wankhede) એ જણાવ્યું કે તેમને મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટરના પદેથી હટાવવામાં આવ્યા નથી. 

સમીર વાનખેડેએ શું કહ્યું?
સમીર વાનખેડેએ ઝી ન્યૂઝને જણાવ્યું કે મુંબઈ ઝોનના ઝોનલ ડાયરેક્ટર તરીકે હું છું અને રહીશ. તે પદેથી મને હટાવવામાં આવ્યો નથી. મારી પણ માંગણી હતી કે સેન્ટ્રલ એજન્સી આર્યન ખાન કેસ અને નવાબ મલિકના આરોપો મામલે તપાસ કરે આથી એ સારું થયું. SIT હવે તપાસ કરશે. 

ડ્રગ્સ સંલગ્ન ઓપરેશન કરતો રહીશ
એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે ડ્રગ્સ અંગે જે ઓપરેશન કરું છું તે કરતો રહીશ. મને દિલ્હી અટેચ કરાયો નથી. મારા આ કેસથી અલગ થવાનો આદેશ કાલે આવ્યો છે. સોમવારે DDG જ્ઞાનેશ્વર સિંહ ફરીથી મુંબઈ જઈ રહ્યા છે. સમીર વાનખેડેએ એમ પણ કહ્યું કે આ કેસનો IO નહતો. મે કોર્ટને સામેથી Writ Petition માં કહ્યું હતું કે આ કેસની તપાસ સેન્ટ્રલ એજન્સી પાસે કરાવવામાં આવે. 

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) November 5, 2021

નવાબ મલિકે કહ્યું-ગુમરાહ કરી રહ્યા છે
વાનખેડેના આ નિવેદન બાદ નવાબ મલિકે ટ્વીટ કરીને કહ્યું કે કા તો ન્યૂઝ એજન્સી એએનઆઈ સમીર વાનખેડેને ખોટી રીતે કોટ કરી રહી છે અથવા તો સમીર વાનખેડે પોતે દેશને ગુમરાહ કરી રહ્યા છે. નવાબ મલિકે કહ્યું કે સમીર વાનખેડે તરફથી કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવાયું હતું કે તેમના વિરુદ્ધ જબરદસ્તીથી વસૂલી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા થવી જોઈએ. 

અત્રે જણાવવાનું કે દિલ્હીની ટીમ હવે આર્યન ખાન કેસ, સમીર ખાન કેસ, અરમાન કોહલી કેસ, ઈકબાલ કાસકર કેસ, કાશ્મીર ડ્રગ્સ કેસ અને વધુ એક કેસની તપાસ કરશે. આ કેસ મુંબઈ એનસીબીના ઝોનના હતા. નોંધનીય છે કે આર્યન ખાન કેસની તપાસ હવે સંજય સિંહ કરશે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના જમાઈ સમીર ખાનના કેસથી પણ સમીર વાનખેડે અલગ થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news