મહારાષ્ટ્રઃ BJP એકલા હાથે સરકાર બનાવવા અસમર્થ, રાજ્યપાલ કોશ્યારીને આપી માહિતી

કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં રાજ્યપાલના આમંત્રણને પગલે નવી સરકાર નહીં રચવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો.

મહારાષ્ટ્રઃ BJP એકલા હાથે સરકાર બનાવવા અસમર્થ, રાજ્યપાલ કોશ્યારીને આપી માહિતી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં(Maharashtra) ભાજપે (BJP) એકલા હાથે સરકાર બનાવવા માટે પોતે અસમર્થ હોવાનો રિપોર્ટ રાજ્યપાલને (Governer) આપ્યો છે. ભાજપની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ(Bhagat Singh Kosiari) રાજ્યમાં સૌથી મોટી પાર્ટી હોવાના ધોરણે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેને 11 નવેમ્બર સુધી જવાબ આપવા કહ્યું હતું. 288 સીટની વિધાનસભામાં ભાજપના 105 ધારાસભ્ય ચૂંટાયા છે અને તેને લગભગ 12 જેટલા અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે. જોકે, રાજ્યમાં બહુમત સાબિત કરવા માટે 145 ધારાસભ્યો હોવા જરૂરી છે. 

કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં રાજ્યપાલના આમંત્રણને પગલે નવી સરકાર નહીં રચવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. શિવસેના સાથે ગઠબંધનની મડાગાંઠનો ઉકેલ ન આવતા ભાજપે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે રાજ્યપાલને રાજીનામું આપી દીધું હતું અને 9 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો.   

ભાજપ અને શિવસેના વચ્ચે સરકારની રચના માટે ગઠબંધનને લઈને કેટલીક શરતો બાબતે ખેંચતાણ ચાલી રહી છે. શિવસેના 50-50ની ફોર્મ્યુલા અને કેટલીક અન્ય શરતો પર અડગ છે, જ્યારે ભાજપ શિવસેની માગણીઓ પર ઝુકવા માગતું નથી. 

સૂત્રોએ જણાવ્યું કે, જો ભાજપ સરકાર બનાવવાનો ઈનકાર કરે તો રાજ્યપાલ રાજ્યની બે નંબરની પાર્ટી શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે. શિવસેના પાસે અત્યારે માત્ર 56 ધારાસભ્યો છે અને તેને લગભગ 6 જેટલા અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે. આમ, શિવસેના 145ના જાદુઈ આંકડાથી ઘણે દૂર છે. આ બાજુ શિવસેનાએ હવે મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ પણ વહેતું કર્યાના અહેવાલ છે.  

ભાજપ અને શિવસેના ભેગા મળીને સરકાર બનાવી શકે છે, પરંતુ બંને પક્ષ વચ્ચે ગઠબંધનની રચના અંગે ખેંચતાણ ચાલી રહી છે. મુખ્યમંત્રી પદની બાબતે બંને પક્ષમાં મોટો વિવાદ છે અને આ કારણે તેમનું ગઠબંધન આગળ વધી રહ્યું નથી. 

ત્રીજો વિકલ્પ એવો છે કે, શિવસેના (56) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સાથે મળીને અને કોંગ્રેસનો બહારથી ટેકો લઈને સરકાર બનાવી શકે છે. એનસીપીના 56 ધારાસભ્યો ચૂંટાયા છે, જ્યારે કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. જોકે, આ મુદ્દે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને એસીપીના સુપ્રીમો શરદ પવાર પહેલ કરે તો જ આગળ વાત બને એમ છે. રવિવારે એનસીપીએ શિવસેનાને સમર્થન આપવાની તૈયારી દર્શાવી હોવાના અહેવાલ આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્યની સત્તા કોના હાથમાં આવે છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news