કુલભુષણ જાધવ કેસઃ ICJમાં ભારતનો મોટો વિજય, ફાંસીની સજા અટકાવી

આઈસીજેએ જણાવ્યું કે, પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે, માનવાધિકારનું ઉલ્લંઘન કર્યું છે. કુલભુષણ જાધવને રાજકીય મદદ આપવી જોઈએ. 
 

કુલભુષણ જાધવ કેસઃ ICJમાં ભારતનો મોટો વિજય, ફાંસીની સજા અટકાવી

નવી દિલ્હીઃ આંતરાષ્ટ્રીય અદાલત (International Court of Justice- ICJ) દ્વારા ભારતીય નાગરિક કુલભુષણ જાધવ અંગે પોતાનો ચૂકાદો સંભળાવી દેવાયો છે. ICJ દ્વારા જાધવની ફાંસીની સજા પર રોક લગાવી દેવાઈ છે. ICJએ પોતાના ચૂકાદમાં જણાવ્યું કે, પાકિસ્તાન જાધવ અંગે આપેલા પોતાના ચૂકાદા પર પુનઃવિચારણા કરે. 

ICJએ પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા વિયેના સંધિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ સાથે જ ICJએ જણાવ્યું કે, કુલભુષણ જાધવને રાજકીય મદદ મળવી જોઈએ. 

મૂખ્ય ન્યાયાધિશ અબ્દુલકાવી અહેમદ યુસુફે કુલભુષણ જાધવના કેસનો ચૂકાદો વાંચી સંભળાવ્યો હતો. કોર્ટે જાધવને કાઉન્સેલર આપવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાને ICJના ચૂકાદા સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ કોર્ટ દ્વારા તેને ફગાવી દેવાયો હતો. કોર્ટે જણાવ્યું કે, પાકિસ્તાને પોતાના ચૂકાદા (મૃત્યુદંડ)ની ફરીથી સમીક્ષા કરવી જોઈએ. નેધરલેન્ડના ધ હેગના 'પીસ પેલેસ'માં થયેલી જાહેર સુનાવણીમાં 16માંથી 15 ન્યાયાધિશ ભારતની તરફેણમાં રહ્યા હતા. 

ICJએ પોતાના ચૂકાદામાં શું કહ્યું...

  • આંતરરાષ્ટ્રીય કોર્ટમાં 16માંથી 15 ન્યાયાધિશ ભારતની તરફેણમાં રહ્યા. કુલભુષણ જાધવની ફાંસી પર લગાવાયો સ્ટે. 
  • આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને વિયેના સંધિ યાદ અપાવતા કહ્યું કે, પાકિસ્તાને બંને દેશ વચ્ચે થયેલી વિયેના સંધીનું ઉલ્લંઘન કર્યું છે, જે ગંભીર બાબત છે. 
  • કોર્ટે પાકિસ્તાનને પુછ્યું કે, જાધવને વકીલ કેમ પુરા પાડવામાં આવ્યા નહીં? શા માટે ભારતીય નાગરિકની ધરપકડ કરાયા પછી તેની જાણ ભારતને કરવામાં ન આવી? 
  • ભારતે કોર્ટ સમક્ષ કુલભુષણ જાધવને મુક્ત કરવાની માગણી કરી હતી. આંતરરાષ્ટ્રીય અદાલતે આ માગણીને ફગાવી દીધી છે. 
  • ICJના વડા ન્યાયાધિશે જણાવ્યું કે, જાધવના ભારતીય નાગરિક હોવા પર શંકાને કોઈ સ્થાન નથી. 
  • પાકિસ્તાન દ્વારા ભારતીય અરજી સામે ઉઠાવાયેલા વાંધા ફગાવી દેવાયા અને જણાવ્યું કે, ભારતની અરજી સ્વીકારવા યોગ્ય છે. 
  • આ ચૂકાદામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી કે, પેનલમાં રહેલા ચીનના ન્યાયાધિશે પણ ભારતીય તરફેણમાં પોતાનો મત વ્યક્ત આપ્યો હતો. 

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજે આંતરરાષ્ટ્રીય કોર્ટના ચૂકાદા પર ખુશી વ્યક્ત કરતા ટ્વીટર પર જણાવ્યું કે, 'આંતરરાષ્ટ્રીય કોર્ટના ચૂકાદાનું દિલથી સ્વાગત છે. આ ભારતનો મોટો વિજય છે.'

— Sushma Swaraj (@SushmaSwaraj) July 17, 2019

વડાપ્રધાન મોદીએ આવકાર્યો ચૂકાદો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અદાલતે કુલભુષણ જાદવ કેસમાં આપેલા ચૂકાદાને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ ચૂકાદો સત્ય અને ન્યાયનો વિજય છે. તેમણે તથ્યો આધારિત ચૂકાદો આપવા બદલ ICJને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી કે, કુલભુષણ જાધવને ન્યાય જરૂર મળશે. તેમણે કહ્યું કે, અમારી સરકાર દરેક ભારતીયની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરે છે.

Our Government will always work for the safety and welfare of every Indian.

— Narendra Modi (@narendramodi) July 17, 2019

ઉલ્લેખનીય છે કે, 49 વર્ષના કુલભુષણ જાધવ ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી છે અને પાકિસ્તાનની લશ્કરી અદાલત દ્વારા એપ્રિલ, 2017માં તેમને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી. પાકિસ્તાન દ્વારા તેમના પર 'જાસુસી અને આતંકવાદ'નો આરોપ લગાવવામાં આવેલો છે. 

કુલભૂષણ જાધવને આપવામાં આવેલી ફાંસીની સજા પછી ભારતમાં મોટો વિરોધ થયો હતો અને તેના પરિણામે ઈસ્લામાબાદને તેની મિલિટરી કોર્ટે ફટકારેલી સજા અટકાવવા માટે ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટનો સહારો લેવો પડ્યો હતો.

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news