શૌર્યના 20 વર્ષ: કારગિલ યુદ્ધ...જ્યારે ભારતીય સેનાએ જીત્યું દુનિયાનું સૌથી મુશ્કેલ યુદ્ધ

ભારતીય સેનાએ 20 વર્ષ અગાઉ દુનિયાની સૌથી મુશ્કેલ જંગ જીતીને દુનિયાને પોતાનો દમ દેખાડ્યો હતો અને પાકિસ્તાની સેનાના સેંકડો જવાનોનો ખાત્મો કર્યો હતો.

શૌર્યના 20 વર્ષ: કારગિલ યુદ્ધ...જ્યારે ભારતીય સેનાએ જીત્યું દુનિયાનું સૌથી મુશ્કેલ યુદ્ધ

નવી દિલ્હી: ભારતીય સેનાએ 20 વર્ષ અગાઉ દુનિયાની સૌથી મુશ્કેલ જંગ જીતીને દુનિયાને પોતાનો દમ દેખાડ્યો હતો અને પાકિસ્તાની સેનાના સેંકડો જવાનોનો ખાત્મો કર્યો હતો. કારગિલ યુદ્ધના દરેક પહેલુંને આજે અહીં જણાવીએ છીએ. તે સમયે 2જી મે 1999ના રોજ એક તાશી નામનો ભરવાડ પોતાની યાર્કને શોધવા ગયો અને સૌથી પહેલા તેણે જ આતંકીઓના વેશમાં આવી ગયેલી પાકિસ્તાની સેનાને કારગિલની પહાડીઓ પર જોઈ. 3 મે 1999ના રોજ તાશીએ તેની જાણકારી રસ્તામાં મળેલા સેનાના એક જવાનને આપી. 

કારગિલની પહાડીઓમાં ઘૂસણખોરોની હાજરીની જાણકારી મળતા દિલ્હી સેના હેડક્વાર્ટરને તેની જાણ કરાઈ. ત્યારબાદ સેના હેડક્વાર્ટરે રક્ષા મંત્રાલયની સહમતિ બાદ ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી. ઘાટીમાં હાજર સેનાની કેટલીક ટુકડીઓને કારગિલ માટે રવાના કરી દેવાઈ. આ બાજુ ભારતીય સેનાની હલચલ જોતા પહાડીઓ પર બેઠેલા ઘૂસણખોરો પણ સતર્ક થઈ ગયા હતાં. 

કારગિલની પહાડીઓ પર હાજર આ ઘૂસણખોરોએ ભારતીય સેનાની ગતિવિધિઓની જાણ ઈસ્લામાબાદમાં  બેઠેલા આકાઓને આપી. ત્યારબાદ ઘૂસણખોરોને મજબુતી આપવા પાકિસ્તાન તરફથી ભારતીય સરહદે ફાયરિંગ શરૂ કરાયું. પાકિસ્તાની તોપના ગોળા કારગિલ મુખ્યાલયમાં આવેલા સેનાના હથિયાર ભંડારને નિશાન બનાવી રહ્યાં હતાં. 9મી મેના રોજ પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળાબારીમાં કારગિલનો આ હથિયાર ભંડાર નષ્ટ થઈ ગયો.

આ ઘટનાના એક દિવસ બાદ 10મી મેના રોજ પહેલીવાર દ્રાસ, કાકસાર અને મુશ્કોહ સેક્ટરમાં પાકિસ્તાની ઘૂસણખોરો જોવા મળ્યા હતાં. ત્યારબાદ ભારતીય સેનાએ આ પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડવા માટે અનેક ટુકડીઓ રવાના કરી હતી. આ દરમિયાન 14મી મે 1999ના રોજ ભારતીય સેનાના કેપ્ટન સૌરભ કાલિયાને પાકિસ્તાની ઘૂસણખોરોની હાજરી અંગે જાણ થઈ. માહિતી મળતા જ કેપ્ટન સૌરભ કાલિયા પોતાની ટુકડીને લઈને પેટ્રોલિંગ પર નીકળી ગયાં.

કેપ્ટન સૌરભ કાલિયાની સાથે પેટ્રોલિંગ પર નીકળેલી આ ટુકડીમાં અર્જુન રામ, ભંવર લાલ બાગારીયા, ભીકા રામ, મૂળ રામ અને નરેશ સિંહ પણ સામેલ હતાં. કેપ્ટન સૌરભ કાલિયા જલદી પોતાના સાથીઓ સાથે જ્યાં પાકિસ્તાની ઘૂસણખોરો હતાં ત્યાં પહોંચી ગયાં. અહીં કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના સાથીઓની સંખ્યા માત્ર 5 હતી જ્યારે ઘાત લગાવીને બેઠેલા દુશ્મનોની સંખ્યા સેંકડોમાં હતી. પાકિસ્તાની ઘૂસણખોરોએ કેપ્ટન સૌરભ કાલિયા અને તેના સાથીઓનું અપહરણ કર્યું. ત્યારબાદ તેમની અને તેમના સાથીઓની નિર્મમ હત્યા કરી નાખી. 

કારગિલની પહાડીઓ પર બેઠેલા પાકિસ્તાની ઘૂસણખોરોને હવે ખાતરી થઈ ગઈ કે તેમના અંગે ભારતીય સેનાને ખબર પડી ગઈ છે. આથી તેમણે પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓને ગોળાબારી વધારવાનું કહી દીધુ. પાકિસ્તાન તરફથી વધતા ગોળાબારીને જોતા ભારતીય સેનાએ પણ કારગિલ ક્ષેત્રમાં પોતાની મોટી તોપોને તહેનાત કરીને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. આ બાજુ કેપ્ટન સૌરભ કાલિયાથી કોઈ સંપર્ક ન થતા ભારતીય સેનાએ પોતાના જાસૂસી વિમાનોને કારગિલની પહાડીઓ પર રહેલા ઘૂસણખોરોની માહિતી લેવા માટે રવાના કરી દીધા. 

ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોના યોગ્ય ઠેકાણાની માહિતી મેળવવા માટે પેટ્રોલિંગ પાર્ટીઓની સંખ્યામાં વધારો કરી દીધો.  ત્યારબાદ ભારતીય સેનાને ખબર પડી કે પાકિસ્તાની ઘૂસણખોરોએ મસ્કોહથી બટાલિકની વચ્ચે લગભગ 120 કિમીના વિસ્તારમાં અનેક જગ્યાએ પોતાના બંકરો બનાવી લીધા હતાં. દુશ્મને ભારતીય સરહદથી લગભગ 10 કિમી અંદર ઘૂસીને દ્રાસ, કાસ્કર, બટાલિક અને મસ્કોહમાં પોતાના ઠેકાણા બનાવ્યાં હતાં. જાસૂસી વિમાનોએ પાછા આવ્યાં બાદ એ પણ સૂચના આપી કે પાકિસ્તાની ઘૂસણખોરોએ કારગિલથી ઉત્તર દિશામાં લગભગ 80 કિમીના વિસ્તારમાં ઊંચી પહાડીઓ પર પોતાના ઠેકાણા બનાવ્યાં છે. 

પાકિસ્તાની ઘૂસણખોરોની પહાડીઓમાં પોઝીશન કઈંક એવી હતી કે તેઓ કાશ્મીરથી લેહને જોડનારા નેશનલ હાઈવે એકની દરેક ગતિવિધિ પર નજર રાખી શકતા હતાં. એટલું જ નહીં ત્યાંથી પસાર થનારા કોઈ પણ વાહનને નિશાન બનાવી શકતા હતાં. ભારતીય સેનાને પાકિસ્તાનની ચાલ હવે સમજમાં આવી ગઈ હતી. ભારતીય સેનાને ખબર હતી કે માત્ર બે મહિના બાદ વરસાદ અને અને ત્યારબાદ બરફવર્ષા શરૂ થઈ જશે. જેના કારણે આ રસ્તો આગામી કેટલાક મહિનાઓ માટે બંધ કરવો પડશે. આવામાં જો પાકિસ્તાની ઘૂસણખોરોને ખડેદવામાં ન આવ્યાં તો તેઓ ઠંડીની સીઝનમાં પોતાની સ્થિતિ વધુ મજબુત કરીને કાશ્મીરથી લેહને અલગ કરવાનું ષડયંત્ર કરી શકે છે. 

ભારતીય સેનાએ હાલાતની સમીક્ષા કર્યા બાદ જવાનોને પાકિસ્તાની દુશ્મનો સામે કાર્યવાહી કરવા માટે રવાના કર્યાં. પરંતુ પાકિસ્તાની દુશ્મનોની પોઝીશન એટલી સટીક હતી કે 10 દુશ્મન ભારતીય સેનાના સેંકડો જવાનો પર ભારે પડી રહ્યાં હતાં. આ બાજુ 21મેના રોજ તત્કાલિન સેના પ્રમુખ જનરલ વી પી મલિક ભારત પાછા ફર્યાં. 23મી મેના રોજ તેઓ સ્થિતિની સમીક્ષા માટે જમ્મુ કાશ્મીર રવાના થયાં. જમ્મુ અને કાશ્મીરથી વાપસી બાદ 24મી મેના રોજ જનરલ વી પી મલિકે તત્કાલિન વાયુસેના પ્રમુખ એવાય ટિપણીસ સાથે મુલાકાત કરીને એર સ્ટ્રાઈક અંગે ચર્ચા કરી. 

25મી મેના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ એક પત્રકાર વાર્તા દરમિયાન દેશને કારગિલમાં થયેલી ઘૂસણખોરી અંગે જાણકારી આપી. 26મી મેના રોજ તત્કાલિન વાયુસેના પ્રમુખ એ વાય ટિપણીસે એર સ્ટ્રાઈકના આદેશ આપ્યાં. ત્યારબાદ શ્રીનગર, અને પઠાણકોટ એરબેઝથી મિગ 21, મિગ 27 અને એમઆઈ 17 હેલિકોપ્ટરોને રવાના કરાયા. હુમલા અગાઉ વાયુસેનાને ખાસ સૂચના અપાઈ હતી કે કેઓ પણ સંજોગોમાં નિયંત્રણ રેખા પાર ન કરવી. ભારતને આશંકા હતી કે પાકિસ્તાની આ હવાઈ કાર્યવાહીને આધાર બનાવીને પોતાની કાર્યવાહી શરૂ ન કરી દે. 

27મી મેના રોજ ફ્લાઈટ લેફ્ટેનન્ટ નચિકેતા પોતાના મિગ 27 વિમાનથી દ્રાસની પહાડીઓની ટોચ તરફ રવાના થયાં પરંતુ ઊચીં પહાડીઓ પર  બેઠેલા  પાકિસ્તાની દુશ્મનોએ સ્ટ્રિંગ મિસાઈલથી તેમના વિમાન પર હુમલો કર્યો. મજબુરીમાં ફ્લાઈટ લેફ્ટેનન્ટ નચિકેતાએ પેરાશૂટથી ઈન્જેક્ટ થવું પડ્યું. આ કવાયત બાદ નચિકેતા નિયંત્રણ રેખાની પેલે પાર જતા રહ્યાં. જ્યાં પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવી લીધા. આ બાજુ મિગ 27 પર હુમલા અને ફ્લાઈટ લેફ્ટેનન્ટ નચિકેતા ગુમ થવાના અહેવાલે ભારતીય સેનાની ચિંતા વધારી દીધા. ત્યારબાદ સ્વોડ્રોન લીડર એ આહુજા અન્ય વિમાન મિગ 21ને લઈને રવાના થયાં. 

જુઓ LIVE TV

આ વિમાનને પણ પાકિસ્તાની દુશ્મનોએ પોતાનું નિશાન બનાવી લીધુ. જેના કારણે સ્વોડ્રન લીડર એ આહુજાએ પેરાશુટના સહારે ઈન્જેક્ટ થવું પડ્યું પરંતુ તે દરમિયાન તેઓ જ્યારે પેરાશુટથી નીચે આવતા હતાં ત્યારે પાકિસ્તાની દુશ્મનોએ તેમના પર ફાયરિંગ કર્યું. જેમાં તેઓ દેશ પ્રત્યે સર્વોચ્ચ બલિદાન આપતા શહીદ થયાં. આ બે મોટા નુકસાન થવા છતાં ભારતીય સેનાએ પોતાની કાર્યવાહી ચાલુ રાખી. આ  કાર્યવાહીમાં 27મી મેના રોજ ભારતીય વાયુસેનાનું એક એમઆઈ-17 વિમાન પાકિસ્તાની દુશ્મનોની મિસાઈલનું નિશાન બન્યું, જેમાં 4 જવાનો શહીદ થઈ ગયાં. 

27મી મેના રોજ ભારતીય વાયુસેનાએ ટાઈગર હિલ અને પોઈન્ટ 4590 પર જબરદસ્ત હુમલો કર્યો. આ બધા વચ્ચે ભારતીય સેનાની તોપોએ પણ પહાડીઓ પર ગોળાબારી શરૂ કરી દીધી. તોપોમાંથી નીકળતા ગોળાની આડમાં હવે ભારતીય સેનાના જવાનોએ પહાડીઓ પર ચઢવાનું શરૂ કરી દીધુ હતું. અત્યાર સુધીની કાર્યવાહીમાં ભારતીય સેનાને બરાબર ખબર પડી ગઈ હતી કે પહાડીઓ પર બેઠેલા ઘૂસણખોરો નથી પરંતુ સંપૂર્ણ રીતે તાલિમબદ્ધ પાકિસ્તાની સેનાના જવાનો છે. 

ભારતીય સેનાની કાર્યવાહીથી પહાડીઓ પર રહેલા પાકિસ્તાની સેનાના જવાનોનો જુસ્સો મંદ પડી રહ્યો હતો. આથી હડબડીમાં હવે પાકિસ્તાને પહેલી જૂનના રોજ રાષ્ટ્રીય રાજમાર્ગ પર બોમ્બ વરસાવવાના શરૂ કરી દીધા. આ બાજુ 5 જૂનના રોજ ભારતીય સેનાએ પહાડીઓમાં હાજર પાકિસ્તાની રેન્જર્સ પાસેથી કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યાં જેમાં એ વાતના પુરાવા હતાં કે પહાડીઓમાં હાજર છે તે ઘૂસણખોરો નહીં પરંતુ પાકિસ્તાની સેનાના જવાન છે. ત્યારબાદ ભારતીય સેનાએ પૂરેપૂરી તાકાતથી જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. ત્રણ દિવસના લાંબા સંઘર્ષ બાદ ભારતીય સેનાએ 9 જૂનના રોજ બટાલિક સેક્ટરની બે ટોચની ચોકીઓ પર કબ્જો જમાવીને ભારતીય તિરંગો લહેરાવી દીધો. 

આ દરમિયાન ભારતે તત્કાલિન પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ પરેવઝ મુશર્રફ અને લેફ્ટેનન્ટ જનરલ અઝીઝ ખાનની વાતચીત ઈન્ટરસેપ્ટ કરી. ત્યારબાદ સાબિત થઈ ગયું કે પાકિસ્તાને જ સમજી વિચારીને રચેલા ષડયંત્ર હેઠળ આ હુમલો કર્યો છે. પાકિસ્તાનની તમામ નાપાક કોશિશો છતાં ભારતીય સેનાઓએ જીત માટે શરૂ કરેલો સિલસિલો ચાલુ રાખ્યો. 13 જૂનના રોજ ભારતીય સેનાએ દ્રાસ સેક્ટરની તોલોલિંગ ટોચ પર કબ્જો જમાવ્યો. કારગિલ યુદ્ધમાં તોલોલિંગની જીતને ઓપરેશન વિજયની પહેલી મોટી સફળતા ગણવામાં આવે છે. 29 જૂનના રોજ ભારતીય સેનાએ ટાઈગર હિલના પોઈન્ટ 5060 અને 5100 પર કબ્જો જમાવી લીધો. 

2 જુલાઈના રોજ ભારતીય સેનાએ કારગિલ પર ત્રણ તરફથી હુમલો કર્યો અને 4 જુલાઈના રોજ ટાઈગર હિલ પર ભારતીય સેનાની જાંબાઝીના પ્રતિક તરીકે તિરંગો ફરકાવાયો. 5 જુલાઈના રોજ ભારતીય સેનાએ દ્રાસ ઉપર પણ કબ્જો જમાવી લીધો. 7 જુલાઈના રોજ ભારતીય સેનાએ બટાલિકની ઝુબેલ હિલ પર તિરંગો લહેરાવ્યો. ભારતીય સેનાના આ અદમ્ય સાહસને જોઈને હવે પાકિસ્તાની રેન્જર્સના હાથ પગ ફૂલવા માંડ્યા હતાં. 11 જુલાઈના રોજ ભારતીય સેનાના ડરથી પાકિસ્તાની રેન્જર્સ ભાગતા  જોવા મળ્યાં હતાં. 14 જુલાઈના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઓપરેશન વિજયમાં જીતની જાહેરાત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવાનું એલાન કર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news