Nuh Violence: હરિયાણાના નૂંહમાં અચાનક કેમ થઈ બબાલ? અત્યાર સુધીમાં 3 લોકોના મોત, શાળા-કોલેજો બંધ

Vishva Hindu Parishad: આ સમગ્ર મામલે એવો આરોપ છે કે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) તરફથી બૃજમંડળ જળાભિષેક યાત્રા કાઢવા દરમિયાન ભીડે આ યાત્રા પર પથ્થરમારો કર્યો. હિંસક ઘટનાઓમાં એક ડઝનથી વધુ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જ્યારે 3 લોકોના મોત થયા છે. 

Nuh Violence: હરિયાણાના નૂંહમાં અચાનક કેમ થઈ બબાલ? અત્યાર સુધીમાં 3 લોકોના મોત, શાળા-કોલેજો બંધ

હરિયાણાના નૂંહ જિલ્લામાં બ્રજમંડળ યાત્રા પર પથ્થરમારાથી શરૂ થયેલી હિંસાની ઝપેટમાં હવે સમગ્ર અહીરવાલ આવતું જોવા મળી રહ્યું છે. હિંસાની આંચ મંગળવારે ગુરુગ્રામની સાથે જ પલવલ, ફરીદાબાદ, રેવાડી જિલ્લાઓમાં મહેસૂસ થઈ. અત્યાર સુધીમાં 90થી વધુ ગાડીઓ અલગ અલગ હિંસામાં બાળી મૂકાઈ છે. બે હોમગાર્ડ સહિત 3 લોકોના મોતના સમાચાર છે. નૂંહના સાઈબહ પોલીસ મથકને ભીડે તહેસ નહેસ કરી નાખ્યું છે. નૂંહ (મેવાત) જિલ્લામાં બે દિવસ માટે કરફ્યૂ જાહેર કરાયો છે. દક્ષિણ હરિયાણાના કેટલાક ભાગોમાં અફવાઓ ફેલાતી રોકવા માટે ઈન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે. નૂંહ ઉપરાંત ફરીદાબાદ અને પલવલ જિલ્લાઓમાં પણ મંગળવારે શાળા કોલેજો બંધ કરાઈ છે. 

10 મોટા અપડેટ

1. હરિયાણા સરકારે મંગળવાર સવારે લગભગ 10 વાગે દક્ષિણ હરિયાણાની સ્થિતિ પર ઓફિશિયલ નિવેદન બહાર પાડ્યું છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે પીટીઆઈને જણાવ્યું કે નૂંહ, સોહના, અને તેની નજીકના જિલ્લાઓમાં હાલ સ્થિતિ કાબૂમાં છે. ઈન્ટરનેટ બંધ કરાયું છે. બે દિવસ માટે કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. નૂંહમાં પૂરતું સુરક્ષાબળ તૈનાત કરાયું છે. જરૂર પડશે તો આજુબાજુના વિસ્તારોમાંથી સુરક્ષાદળો એરલિફ્ટ કરીને નૂંહ  લાવવામાં આવશે. જેના માટે એરફોર્સને સ્ટેન્ડબાય રાખવાનો આગ્રહ કરાયો છે. અમે હાલાત પર નજર રાખી રહ્યા છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મામલે રિપોર્ટ લીધો છે. પ્રદેશના ડીજીપી પી કે અગ્રવાલ અને સીઆઈડી ચીફ આલોક મિત્તલ પણ નૂંહ માટે રવાના થયા છે. 

2. સુરક્ષાદળોની 13 ટુકડીઓ તૈનાત, 3 જિલ્લામાં કલમ 144 લાગૂ
એએનઆઈએ અધિકારીઓના હવાલે જણાવ્યું છે કે નૂંહ, સોહના, અને તેની નજીકના જિલ્લાઓમાં સુરક્ષાદળોની 13 ટુકડીઓ તૈનાત કરાઈ છે. અહીં 6 કંપનીઓ જલદી પહોંચી રહી છે. નૂંહમાં કરફ્યૂ લાગૂ છે પરંતુ તેની નજીક ફરીદાબાદ, પલવલ અને ગુરુગ્રામમાં હાલ સ્થિતિ કાબૂમાં છે. આ ત્રણ જિલ્લાઓમાં કલમ 144 લાગૂ કરાઈ છે. સોહનામાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી રહી છે. 

3. ફરીદાબાદ, પલવલમાં શાળા કોલેજો બંધ
ફરીદાબાદ અને પલવલમાં હિસાની સંભાવના જોતા મંગળવારે શાળા કોલેજો બંધ કરાયા છે. જિલ્લામાં કલમ 144 લાગૂ હોવાના કારણે પણ આ પગલું ભરવામાં આવ્યું છે. નૂંહમાં પણ શાળા કોલેજો કરફ્યૂના કારણે બંધ રખાયા છે. મંગળવાર અને બુધવારે થનારી બોર્ડની પરીક્ષાઓ પણ સ્થગિત કરાઈ છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે લોકોને રાજ્યમાં શાંતિ અને સદભાવ જાળવવાની અપીલ કરી છે. દોષિતો પર કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. 

4.  શિવ મંદિમાં ફસાયેલા 5000 લોકને રેસ્ક્યૂ કરાયા
નૂંહના નલ્હડ શિવમંદિરમાં ફસાયેલા લગભગ 5000 શ્રદ્ધાળુઓને સુરક્ષાદળોએ રેસ્ક્યૂ કર્યા છે. તમામને સુરક્ષા વચ્ચે ઘરે મોકલવામાં આવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે શિવ મંદિરથી જ બ્રજમંડળ યાત્રા શરૂ થઈ હતી. અહીં આજુબાજુના જિલ્લાઓમાંથી લોકો પહોંચ્યા હતા. હિંસા શરૂ થયા બાદ શિવ મંદિરમાં ફસાયેલા લોકોનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો હતો જેનાથી વધુ તણાવ વધી રહ્યો હતો. 

5 નૂંહ જિલ્લામાં નવા એસપી મોકલાયા
નૂંહ જિલ્લામાં નવા પોલીસ અધીક્ષક (એસપી)ની તૈનાતી કરાઈ છે. ભિવાની જિલ્લાના એસપી નરેન્દ્ર બિજરાણિયાને સોમવારે સાંજે જ નૂંહમાં ચાર્જ લેવાનો આદેશ અપાયો. નરેન્દ્ર પહેલા પણ નૂંહના એસપી રહી ચૂક્યા છે. તેમના ત્યાં ચાર્જ લીધા બાદ તેમણે અને જિલ્લા ઉપાયુક્ત પ્રશાંત પવારે સોમવારે રાતે જ બંને સમુદાયોની શાંતિ બેઠક આયોજિત કરી હતી. બંને સમુદાયો વચ્ચે મંગળવારે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવી ર હ્યું છે. 

6. વીએચપીની બ્રજમંડળ યાત્રાથી શરૂ થઈ બબાલ
સોમવારે વિશ્વ હિન્દુ પરિષદની બ્રજમંડળ યાત્રા નલ્હડ શિવ મંદિરમાં જળાભિષેક બાદ સિંગાર  ગામ તરફ જઈ રહી હતી. આ દમરિયાન યાત્રા પર નૂંહ શહેરના ખડલા ચોક પર પથ્થમારો કરવામાં આવ્યો. મુસ્લિમ સમુદાયના 200થી વધુ યુવકોએ યાત્રા પર હુમલો કર્યો. મુસ્લિમ સમુદાય તરફથી થયલા પથ્થરમારા બાદ સમગ્ર જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા શરૂ થઈ. નૂંહ શહેરમાં ત્રણ કિલોમીટરના દાયરામાં ઉપદ્રવીઓએ ખુબ ઉપદ્રવ મચાવ્યો. લગભગ 90 ગાડીઓમાં તોડફોડ કરી. જેમાંથી 30થી વધુ ગાડીઓને ફૂંકી મારી. દુકાનોમાં લૂંટફાટ કરાઈ. એક બાઈક કંપનીના શોરૂમની 200 જેટલી બાઈક લૂંટવાના અહેવાલ છે. 

7 બે હોમગાર્ડને માર્યા, બંનેના મોત
ઉગ્ર ભીડને કંટ્રોલ કરવા માટે ગુરુગ્રામથી નૂંહ માટે પોલીસ ટીમોને રવાના કરાઈ. આ પોલીસ ટીમો પર રસ્તામાં જ ઠેર ઠેર હુમલા કરાયા. આ હુમલામાં એક ડીએસપી સહિત ડઝન જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા. જેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા. IMT માનેસર પોલીસ મથકમાં તૈનાત બે હોમગાર્ડ, એક હેડકોન્સ્ટેબલ અને એક સિપાઈને ખરાબ રીતે મારવામાં આવ્યા. ચારેય ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા. હોસ્પિટલમાં હોમગાર્ડ નીરજ અને ગુરુસેવકના મોત થયા. 

8. ભીડે સાઈબર પોલીસ મથકની દીવાલ તોડી, વાહનો ફૂંક્યા
ઉગ્ર ભીડે નૂંહની અનાજ મંડીમાં બનેલા સાઈબર પોલીસ મથકની દીવાલ બસથી ટક્કર મારીને તોડી નાખી. લગભગ 500 લોકો અંદર ઘૂસી ગયા અને ડાયલ 112ની ગાડીઓ ફૂંકી મારી. અહીં હાજર પોલીસકર્મીઓને પણ મારવામાં આવ્યા. જેમને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

9. સોહનામાં પણ ઉપદ્રવ
નૂંહ તરફ જતા ટ્રાફિકને ગુરુગ્રામના સોહનામાં રોકી દેવાયો. વાહનોને કેએમપી પેરિફેરેલ એક્સપ્રેસ વે પર ડાવર્ટ કરાયો. તેનાથી સોહનામાં પણ અફવા ફેલાઈ. થોડીવાર બાદ સોહનામાં પણ હિંસા શરૂ થઈ ગઈ. સોહનામાં બે જૂથ વચ્ચે ફાયરિંગ થયું. બે ઘરો ઉપરાંત અનેક ગાડીઓમાં આગચંપી કરાઈ. અહીં પણ ફાયરિંગમાં લગભગ 15 લોકો ઘાયલ થયા. સોહનામાં મોડી રાત સુધી ઉપદ્રવ ચાલતો રહ્યો. 

10. મોનુ માનેસરના વીડિયોને ગણાવાયું કારણ
હિંસાનું કારણ બજરંગ દળના કાર્યકર મોનુ માનેસરના એક વીડિયોને ગણાવવામાં આવી રહ્યું છે. જેમાં તેના નૂંહમાં બ્રજમંડળ યાત્રામાં સામેલ થવાની વાત  કરી હતી. મોનુ પર ભરતપુર જિલ્લાના બે કથિત ગૌતસ્કરો નાસિર અને જુનૈદની હત્યામાં સામેલ હોવાનો આરોપ છે. હજુ સુધી તેની ધરપકડ થઈ નથી. એવું કહેવાય છે કે મોનુના આ વીડિયો બાદ મુસ્લિમ સમુદાયના કેટલાક યુવકોએ પણ વીડિયો બહાર પાડીને ધમકી આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news