કોરોનાને જે રીતે હંફાવી રહ્યું છે ભારત...જોઈને દુનિયા સ્તબ્ધ, આ પરિબળો છે ભારતની તાકાત

જે કોરોના આગળ અમેરિકા જેવી મહાસત્તા, અને ઈટાલી, ફ્રાન્સ, સહિતના યુરોપીયન દેશો ઘૂંટણિયે પડ્યા તે કોરોનાને ભારત મજબુત રીતે ફાઈટ આપી રહ્યું છે. ભારતની તાકાત સમાન આ 5 પરિબળો સમજવા જેવા છે. 

કોરોનાને જે રીતે હંફાવી રહ્યું છે ભારત...જોઈને દુનિયા સ્તબ્ધ, આ પરિબળો છે ભારતની તાકાત

નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને આ બધા વચ્ચે ભારત તરફથી કોરોનાના ચેપને રોકવા માટે જે પ્રકારે પગલાં લેવાઈ રહ્યાં છે તેના ખુબ વખાણ થઈ રહ્યાં છે. અહીં એક સવાલ એ પણ ઉઠે કે અમેરિકા જેવા સુપરપાવર દેશે જે કોરોના વાયરસ સામે ઘૂંટણિયા ટેક્યા તેની સામે ભારત મજબુતાઈથી ઊભુ છું અને લડત લડી રહ્યું છે. એટલે સુધી કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પણ કોરોના સામે ભારતની લડતના ખુબ વખાણ કર્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તો અગાઉ ભારતના વખાણ કરી ચૂક્યુ છે અને કહ્યું હતું કે હવે કોરોના વાયરસને રોકવો એ ભારતના હાથમાં છે. હર્ષવર્ધન પોતે કહી ચૂક્યા છે કે ભારતમાં હાલ સંક્રમણનો દર ખુબ ઓછો છે. તેમના જણાવ્યાં મુજબ પ્રતિ 10 લાખમાં ફક્ત 3.8 ટકા કેસોમાં જ કોરોનાનો ચેપ છે. 

કોરોના વાયરસ ચીનથી ફેલાવવાનો શરૂ થયો હતો અને હવે તેણે યુરોપ અને અમેરિકામાં તો કાળો કેર મચાવ્યો છે. સૌથી ખરાબ હાલાત અમેરિકામાં છે જ્યાં 4.65 લાખથી પણ વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 16,500 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં સંક્રમણનો આંકડો 6000 પર પહોંચ્યો છે જ્યારે લગભગ 199 લોકોના મોત થયા છે. ભારતમાં સંક્રમણ ઓછી હોવાના અને મોત હોવાના કારણ ભારત દ્વારા લેવાયેલા તે પગલા અને પ્લસપોઈન્ટ છે જેના કારણે ભારતને ફાયદો થઈ રહ્યો છે. આવો જાણીએ તે પાંચ કારણો કે પરિબળો જે કોરોના સામેની લડતમાં ભારતની તાકાત બન્યા છે. 

1. દુનિયામાં ફેલાયો કોરોના, પણ ભારતને મળ્યો સમય
કોરોના વાયરસના મામલે સૌથી સારી વાત એ રહી  કે કોરોના વાયરસ ચીનથી ફેલાયો હતો, ભારતથી નહીં. ચીને તેને ઝડપથી કાબુમાં લેવા માટે તરત લોકડાઉન કરી દીધુ. ભારતે પણ તે જ સમયે વિદેશીઓ પર કડકાઈ કરી જેના કારણે વાયરસ ભારતમાં ઘૂસી શક્યો નહીં. ચીનથી આ વાયરસ ફેલાયો અને યુરોપ તરફ આગળ વધી ગયો અને ત્યાં તબાહી મચાવી. આવામાં ભારતને આ વાયરસની ભયાનકતા સમજાવા અને તેને પહોંચી વળવા માટે પગલાં લેવાનો સમય મળી ગયો. ભારતે બરાબર તૈયારી કરી લીધી અને એટલે જ જ્યારે ભારતમાં વાયરસે આક્રમણ કર્યું તો ભારત તેને મજબુત લડત આપી રહ્યું છે. જ્યારે અમેરિકાને એમ લાગ્યું હતું કે ચીન તો તેની સરહદોથી ઘણું દૂર છે તો સંક્રમણ આટલી સરળતાથી પહોંચી શકશે નહીં અને ટ્રમ્પની બેદરકારીના કારણે આજે અમેરિકામાં તબાહી મચી છે. 

2. સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સમયસર લોકડાઉનનો નિર્ણય
ભારતમાં હજુ ગણ્યા ગાંઠ્યા કેસો સામે આવી રહ્યાં હતાં અને મોદી સરકારે લોકડાઉનનો નિર્ણય લઈ લીધો. બાકીના દેશોને આ જ સમય ઓળખવામાં તકલીફ પડી જેના કારણે હાલાત બદથી બદતર બની ગયાં. ભારતમાં પહેલેથી જ કડકાઈ, પછી લોકડાઉન અને હવે જરૂર પડ્યે અનેક વિસ્તારોને ચુસ્ત સીલ કરવાના પગલાં કોરોના વાયરસની ચેન તોડવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. આ બધુ એટલા માટે કરવામાં આવ્યું કે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. જેના કારણે કોરોનાની ચેન તોડવામાં સફળતા મળે. અત્રે જણાવવાનું કે 25 માર્ચથી 21 દિવસનું લોકડાઉન ચાલુ છે. જે 14 એપ્રિલના રોજ ખતમ થશે. કેટલાક રાજ્યો તો તેને આગળ વધારવાનો પ્રસ્તાવ પણ રજુ કરી ચૂક્યા છે. 

3 પૂરતા પ્રમાણમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો જથ્થો
રિસર્ચથી ખબર પડી છે કે મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા કોરોના વાયરસના દર્દીઓ માટે મદદગાર સાબિત થઈ શકે છે. ભારતમાં તો દર્દીઓને અપાઈ પણ રહી છે. એટલે સુધી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીને ફોન કરીને આ દવા માંગી હતી જેથી કરીને અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલી આ મહામારીને કાબુમાં લાવી શકાય. ભારત માટે આ જ પ્લસપોઈન્ટ છે કે આપણા ત્યાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થાય છે. એટલે સુધી કે તેની નિકાસ પણ કરી શકીએ છીએ. હકીકતમાં ભારતમાં દર વર્ષે મેલેરિયાથી અનેક લોકોના જીવ જાય છે આથી અહીં હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

4. ટ્રીટમેન્ટના સ્તરે જબરદસ્ત પ્લાનિંગ
ભલે કોરોના વાયરસ માટે કોઈ વેક્સિન નથી પરંતુ કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલોમાં આઈસોલેટ કરવા અને જરૂર પડ્યે તેમને વેન્ટિલેટર પણ ઉપલબ્ધ કરાવવા એ પણ સારવાર જેવું જ છે. તેનાથી દર્દીનો જીવ બચાવવામાં મદદ મળે છે અને આ સાથે જ તેના ચેપને ફેલાતો પણ અટકાવી શકાય છે. દિલ્હી સરકારે તો ડોક્ટરોની જે ટીમો બનાવી છે તેમણે અત્યારથી એવું પ્લાનિંગ કરી લીધુ છે કે જો રોજના 100 કેસ પણ આવે તો શું કરશે. રોજ 500 કેસ આવે તો શું કરવું અને મામલા વધીને રોજના 1000 કેસ આવે તો કઈ રીતે હેન્ડલ કરવું. હાલ તો  કેસ ઓછા છે અને ડોક્ટરો-હોસ્પિટલ વધુ. જેના કારણે આ વાયરસને હંફાવવામાં ભારતને કોઈ મુશ્કેલી પડી રહી નથી. 

જુઓ LIVE TV

5. બીજા તબક્કામાં જ વાયરસને અટકાવવો જરૂરી હોય છે જે ભારત સમજી ગયુ
બાકીના દેશોને જોઈને ભારત સારી પેઠે સમજી ગયું હતું કે આ વાયરસને પહેલા તબક્કામાં જ રોકવાની કોશિશો શરૂ કરી દેવી પડશે અને બીજા તબક્કામાં લોકડાઉન જરૂરી રહેશે. નહીં તો ત્રીજા તબક્કામાં પહોંચ્યા બાદ વાયરસને અટકાવવો ભારે પડશે. અત્રે જણાવવાનું કે પહેલા તબક્કામાં વિદેશમાંથી આવતા લોકોમાં આ વાયરસના લક્ષણો દેખાતા હોય છે. બીજા તબક્કામાં તેમના સંપર્કમાં આવતા લોકોમાં કોરોના ફેલાય છે. જ્યારે ત્રીજા તબક્કામાં સમુદાયમાં ફેલાવવા લાગે છે. આવા જ કેટલાક વિસ્તારોમાં સંક્રમણ ઝોન જાહેર કરીને ત્યાં વાયરસની ચેન તોડવાની કોશિશ શરૂ થઈ ગઈ છે. જો આ રીતે ઝોન બનાવવામાં ન આવત તો આ વાયરસનું સંક્રમણ સમગ્ર દેશમાં પૂરપાટ ઝડપે ફેલાઈ જાત. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news