UP: એક એવા CM જે પોતાની જાતને ચોર ગણાવતા હતા, કહેતા- ગલી ગલીમેં શોર...

દેશમાં ચૂંટણીનો માહોલ છે અને મોટાભાગના લોકોની નજર ઉત્તર પ્રદેશની ચૂંટણી પર છે.

UP: એક એવા CM જે પોતાની જાતને ચોર ગણાવતા હતા, કહેતા- ગલી ગલીમેં શોર...

નવી દિલ્હી: દેશમાં ચૂંટણીનો માહોલ છે અને મોટાભાગના લોકોની નજર ઉત્તર પ્રદેશની ચૂંટણી પર છે. વસ્તીના મામલે દેશનું સૌથી મોટું રાજ્ય હોવાની સાથે સાથે દેશના રાજકારણમાં પણ ઉત્તર પ્રદેશ મહત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે. એકવાર તો અહીં એવા પણ મુખ્યમંત્રી થયા જેમનો રૂઆબ તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ ઉપર પણ ભારે પડી જતો હતો. કહેવાય છે કે જો કોઈ નેતા નહેરુના પગે પડતા તો યુપીના આ સીએમની આગળ તો તેઓ સાષ્ટાંગ પ્રણામ કરતા હતા. અહીં અમે યુપીના પૂર્વ સીએમ ચંદ્રભાનુ ગુપ્તાની વાત કરી રહ્યા છીએ. તેઓ ત્રણવાર યુપીના સીએમ પદે રહ્યા હતા. 

પોતાની જાતને ચોર ગણાવતા હતા
યુપીના પૂર્વ સીએમ ચંદ્રભાનુ ગુપ્તા કદાચ દેશના ઈતિહાસના પહેલા એવા એકમાત્ર સીએમ હશે જે પોતાની જાતને જ ચોર કહેતા હતા.વિપક્ષ તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવે તો તેઓ જરાય વિચલિત થતા નહતા ઉલટું મજાકમાં કહેતા હતા ગલી ગલીમે શોર હે, ચંદ્રભાનુ ચોર હે. પરંતુ તેમની ઈમાનદારી અને રૂઆબ એવો હતો કે નેતાઓ તેમની આગળ નતમસ્તક થવા માટે મજબૂર થતા હતા. 

મૃત્યુ બાદ ખાતામાંથી મળ્યા આટલા રૂપિયા
ચંદ્રભાનુ ગુપ્તાની ઈમાનદારીનું સૌથી મોટું ઉદાહરણ તેમનું બેંક એકાઉન્ટ હતું. જેમાંથી તેમના નિધન બાદ માત્ર 10 હજાર રૂપિયા મળી આવ્યા હતા. તેઓ આજીવન બ્રહ્મચારી રહ્યા અને આખુ જીવન સમાજસેવા અને રાજકારણને સમર્પિત કરી દીધુ હતું. અલીગઢના બીજૌલીમાં 14 જુલાઈ 1902ના રોજ જન્મેલા ચંદ્રભાનુ ગુપ્તાએ લખનૌથી વકિલાતનો અભ્યાસ કર્યો અને ત્યાં જ પ્રેક્ટિસ કરી. જ્યારે કોકોરી કાંડ થયો તો તેમા સામે આવેલા વકીલોમાં એક નામ ચંદ્રભાનુ ગુપ્તાનું પણ હતું. તેઓ કાકોરી કાંડના ક્રાંતિકારીઓના બચાવ દળના વકીલોમાં સામેલ હતા. 

નહેરુને નહતા ગમતા ચંદ્રભાનુ ગુપ્તા
ચંદ્રભાનુ ગુપ્તાની લોકપ્રિયતા ગજબની હતી. સ્થિતિ એવી હતી કે તેમની આ લોકપ્રિયતાએ તેમને નેહરુની આંખનો કણો બનાવી દીધા હતા. 1926માં કોંગ્રેસમાં સામેલ થયેલા ચંદ્રભાનુ ગુપ્તા ઝડપથી રાજકારણમાં આગળ વધ્યા અને જોત જોતામાં તો યુપીના રાજકારણમાં મોટી તાકાત બની ગયા. તેઓ એક કે બે વાર નહીં પરંતુ ત્રણવાર યુપીના સીએમ બન્યા હતા. ચોથીવાર તેમને સીએમ બનતા રોકવા માટે કોંગ્રેસે એક ચાલ ચલી અને તેમની જગ્યાએ સુચેતા કૃપલાણીને સીએમ બનાવી દીધા. જો કે ત્યારબાદ પણ ચંદ્રભાનુ ગુપ્તાનો રૂઆબ જરાય ઓછો થયો નહીં. 11 માર્ચ 1980ના રોજ યુપીના આ લોકપ્રિય સીએમએ છેલ્લા શ્વાસ લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news