ઈમ્યુનિટી બુસ્ટર ગણાતું મધ બની શકે છે મીઠું ઝેર, ગુજરાતની લેબમાં થયું નાપાસ

CSEની તપાસમાં જાણવા મળ્યુ છે કે અનેક નાના-મોટા બ્રાન્ડના મધમાં ભેળસેળ કરવામાં આવી રહ્યું છે. આ કંપનીઓ ચાઈનીઝ શુગર સિરપ ભેળવીને મધને વેચી રહ્યાં છે.

ઈમ્યુનિટી બુસ્ટર ગણાતું મધ બની શકે છે મીઠું ઝેર, ગુજરાતની લેબમાં થયું નાપાસ

* આરોગ્યવર્ધક ઔષધિ મધની કોરોના કાળમાં માગ વધી
* મીઠા મધુર મધમાં શુગર સિરપની ભેળસેળ
* કંપનીઓ મધમાં ચાઈનીઝ શુગર સિરપ મીક્ષ કરે છે
* સેન્ટર ફોર સાઈન્સ એન્ડ એન્વાયરમેન્ટે મધના ટેસ્ટ કરાયા
* 13માંથી માત્ર 3 કંપનીના મધ ટેસ્ટમાં સફળ રહ્યાં

અમદાવાદ ઃ આપણે સૌ કોઈ મધ વિષે થોડું તો જાણતા જ હઈશું. શિયાળાની ઋતુમાં લોકો સારા સ્વાસ્થ્ય માટે મધનું સેવન કરતા હોય છે. મધમાં આયર્ન, કેલ્શિયમ, જેવા એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ છે. જે શરીરમાં ઈમ્યુનિટીને મજબુત કરે છે. કોરોના કાળમાં બજારમાં મધની માગ ખુબ વધી છે. જો કે જે મધને લોકો આરોગ્યવર્ધક ઔષધિ તેમજ તેના મીઠા મધુર સ્વાદને કારણે આરોગે છે, તેમાં હવે ભેળસેળ કરવામાં આવી રહ્યું છે. શુગર સિરપ મીક્ષ કરી મધને વેચવામાં આવી રહ્યું છે. આ ખુલાસો સેન્ટર ફોર સાઈન્સ એન્ડ એન્વાયરમેન્ટે કર્યો છે.

CSEની તપાસમાં જાણવા મળ્યુ છે કે અનેક નાના-મોટા બ્રાન્ડના મધમાં ભેળસેળ કરવામાં આવી રહ્યું છે. આ કંપનીઓ ચાઈનીઝ શુગર સિરપ ભેળવીને મધને વેચી રહ્યાં છે. CSEની તપાસમાં 13માંથી માત્ર 3 બ્રાંડનું મધ ટેસ્ટમાં સફળ રહ્યું...આ પ્રકારની તપાસ કરવામાં આવતા મોટી કંપનીઓએ આ તમામ પરીણામો નકાર્યા છે

CSEની તપાસ ગુજરાતની NDDB પ્રયોગશાળામાં કરવામાં આવી હતી. જેમાં પહેલા તો તમામ પ્રકારના બ્રાંડ્સ સફળ રહ્યાં. પરંતુ જ્યારે ન્યુક્લિયર મેગ્નેટિક રિઝોનન્સ ટેસ્ટ કરવામાં આવ્યું, ત્યારે મોટા ભાગની મધની કંપનીઓ નિષ્ફળ રહી. કેટલીક બ્રાંડના મધમાં C4 શુગર એટલે કે શેરડી અને મકાઈથી બનેલી ખાંડ મળી આવી. 2019માં CSEએ પોતાની રિપોર્ટમાં FSSAIને અનેક રાજ્યોના ફૂડ કમિશનરને જણાવ્યું હતું કે મધમાં શુગર સિરપ મીક્ષ કરી વેચવામાં આવી રહ્યું છે. 

શું છે આ શુગર સિરપ ?
શુગર સિરપ ખાંડ અને પાણીને મીક્ષ કરી બનાવવામાં આવે છે. આ પ્રકારની સિરપનો ઉપયોગ કોકટેલ અથવા કોઈ ડ્રિંકમાં સ્વીટનર તરીકે કરવામાં આવે છે. સામાન્ય શુગર સિરપમાં ખાંડ અને પાણીનો રેશિયો 1:1 રાખવામાં આવે છે. પરંતુ તેને વધારે ઘાટુ કરવા માટે પાણીમાં ખાંડની માત્રા વધારી દેવામાં આવે છે. CSEનું કહેવું છે કે ચીનની કેટલીક વેબસાઈટમાં આ સિરપને ફ્રુકટોઝ સિરપનું નામ આપીને એ દાવા સાથે વેચવામાં આવે છે કે આ મધમાં આસાનીથી ભળી જશે અને તમામ પરીક્ષણો પાર કરી લેશે. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે શુગર સિરપ ચીનની કંપનીઓથી આયાત કરવામાં આવે છે.

એક રિપોર્ટ મુજબ મધમાખીના ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે ચીનની કંપનીઓ ઉત્તરાખંડના જાસપુર, ઉત્તરપ્રદેશના બિજનૌર અને પંજાબના બટાલામાં શુગર સિરપ બનાવવાની ફેક્ટરીઓ શરૂ કરી છે. આ શુગર સિરપને કારણે મધના વેપાર સાથે જોડાયેલા સામાન્ય લોકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. નકલી મધ વેચી મોટી મોટી કંપનીઓ નફો કરી રહી છે, તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે. નકલી મધને કારણે ડાયાબિટીઝ જેવી બિમારીઓ લોકોમાં વધી રહી છે. જે એક ચિંતાનો વિષય છે.

મધની શુદ્ઘતાને તપાસવા માટે 2 રીતે તપાસ કરી શકાય.

વોટર ટેસ્ટ: 
પહેલા એક ગ્લાસમાં પાણી ભરો. તેમાં એક ચમચી મધની નાખો. અશુદ્ધ મધ અથવા નકલી મધ સરળ રીતે પાણીમાં મીક્ષ થઈ જશે. જ્યારે શુદ્ધ મધ પાણીમાં નીચે ઉતરી જશે.

ફ્લેમ ટેસ્ટ: 
એક દિવાસળી લઈ તેને મધમાં ડૂબાળો. ત્યારબાદ મધ સાથેની દિવાસળીથી આગ પ્રગટાવો. જો મધ સાથે દિવાસળી પહેલીવારમાં જગશે તો તે શુદ્ધ મધ છે. પરંતુ જો દિવાસળી નહીં જગે તો તે નકલી મધ છે. કારણ કે નકલી મધમાં ભેજ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news