જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં, ડોક્ટરની બેદરકારીથી પ્રસુતાનું મોત

જામનગરની જીજી હોસ્પિટલનો ગાયનેક વિભાગ ફરી એક વખત વિવાદમાં સપડાયો છે. જીજી હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં આજે સવારે એક પ્રસુતાનું ડિલિવરી સમયે મોત થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં, ડોક્ટરની બેદરકારીથી પ્રસુતાનું મોત

મુસ્તાક દલ, જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની જીજી હોસ્પિટલનો ગાયનેક વિભાગ ફરી એક વખત વિવાદમાં સપડાયો છે. જીજી હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં આજે સવારે એક પ્રસુતાનું ડિલિવરી સમયે મોત થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જ્યારે ગાયનેક વિભાગના ડોકટરોની બેદરકારીને કારણે પ્રસુતાનું મોત થયા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો તો સામે હોસ્પિટલના સુપ્રિટેન્ડે સમગ્ર ઘટનાને લઈને તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

જામનગરની જીજી હોસ્પિટલ વારંવાર જુદા જુદા વિવાદોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હજુ થોડા સમય પહેલાં જ જામનગરની જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગમાંથી એક અજાણી મહિલા દ્વારા બાળકીની ઉઠાંતરીની ઘટનાની શાય હજી સુકાઈ નથી. ત્યારે ફરીથી એક દુખદ ઘટના બનતાં ગાયનેક વિભાગ ચર્ચાના એરણે ચડ્યું છે. ગાયનેક વિભાગમાં આજે સવારે પ્રસુતાનું ડિલિવરી સમયે મોત થતાં પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જેને લઈને સરકારી હોસ્પિટલમાં સવારે ભારે ઉહાપોહ જોવા મળ્યો હતો.

જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ સાંઇબાબા મંદિર પાસે રહેતા અને ફ્રૂટનો વ્યવસાય ધરાવતા વેપારીની 28 વર્ષની પત્ની ભારતીબેન ચંદનાણિ સગર્ભા હોય જેથી ડિલિવરી માટે જામનગરની જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે ડિલિવરી સમયે પ્રસુતાનું મોત નિપજતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મોત થયું છે. જોકે પ્રસુતિ બાદ બાળક સહિ સલામત છે. પરંતુ પ્રસુતાને વધુ તકલીફ હોય તેમ છતાં ડોક્ટરો સમયસર આવ્યા ન હતા અને સિઝેરિયન કરવાનું પરિવારે જણાવ્યું હોવા છતાં પણ ડોકટરોએ સિઝેરિયન ન કરતા આખરે પ્રસૂતાએ પોતાની જિંદગી ગુમાવવી પડી હતી. જેને લઈને સમગ્ર ઘટનામાં ડોક્ટરની બેદરકારી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો.

જ્યારે પરિવારજનોએ ગાયનેક વિભાગમાં હોબાળો મચાવતાં અને ડોક્ટરની બેદરકારીથી મોત થયા હોવાનો આક્ષેપ જાણવા મળતાં જીજી હોસ્પિટલના સુપ્રિટેન્ડ પંકજ બુચ તાત્કાલિક ગાયનેક વિભાગમાં પહોંચ્યા હતા અને પરિવારજનો પાસેથી વિગતો મેળવી હતી. જ્યારે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇને હોસ્પિટલના સુપ્રિટેન્ડે તપાસ સમિતિ રચવાની પણ જાહેરાત કરી હતી અને ઘટના સમયે વિવિધ ચાર મુદ્દાઓને ધ્યાનમાં લઈને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને જે કસૂરવાર હશે તેના સામે યોગ્ય પગલાં લેવાની પણ પરિવારજનોને ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news