ભાજપને શા માટે ગરજ છે આ કોંગ્રેસીની, પાટીલે આજે બીજીવાર જાહેરમંચ પરથી ભાજપમાં જોડાવવા આપ્યું આમંત્રણ

Loksabha Election 2023: ગત ચૂંટણીમાં ઓછા મતોથી તેઓએ રાજુલા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજે એક કાર્યક્રમમાં પાટીલની સાથે અમરીશ ડેર પણ સ્ટેજ પર હતા. 

ભાજપને શા માટે ગરજ છે આ કોંગ્રેસીની, પાટીલે આજે બીજીવાર જાહેરમંચ પરથી ભાજપમાં જોડાવવા આપ્યું આમંત્રણ

Loksabha Election 2023: લોકસભાની ચૂંટણી પહેલાં સીઆર પાટીલ ગુજરાત ભરમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરી રહ્યાં છે. આ દરમિયાન આજે સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પાટીલે કોંગ્રેસના નેતાને જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. પાટીલ આ પહેલાં પણ આ પહેલ કરી ચૂક્યા છે. કોંગ્રેસના આ નેતાનું નામ છે અમરીશ ડેર. જેઓ 2017માં રાજુલાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં ઓછા મતોથી તેઓએ રાજુલા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજે એક કાર્યક્રમમાં પાટીલની સાથે અમરીશ ડેર પણ સ્ટેજ પર હતા. 

આ સમયે સી આર પાટીલ મંચ પર બિરાજમાન નેતાઓનું સ્વાગત કરી રહ્યાં હતા. એ સમયે અમરીશ ડેરનું નામ આવતાં જ તેમણે ડેરનું નામ લીધા વિના  જેના માટે બસમાં રૂમાલ રાખીને જગ્યા રાખી હતી, બસ ચૂકી ગયા એવા મારા ભાઈ અમરીશ ડેર કહીને સંબોધન કર્યું હતું. આ સાથે એમ પણ ભારપૂર્વક કહ્યું હતું કે, મારો મિત્ર છે એને હાથ પકડીને ભાજપમાં લાવવાનો જ છું. આમ જાહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના નેતા અમરીશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપતાં રાજુલાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ પહેલીવાર નથી આ પહેલાં પણ પાટીલ જાહેરમાં આ પ્રકારનું આમંત્રણ આપી ચૂક્યા છે. 

કોણ છે અમરીશ ડેર
અમરીશ ડેર ગુજરાત કોંગ્રેસનું એક જાણીતું નામ છે. ગુજરાતના કોંગ્રેસ પક્ષના તેઓ સક્રિય નેતા છે.  વર્ષ 2017ની ચૂંટણીમાં તેમનો બહુમતી સાથે રાજુલા બેઠક પર વિજય થયો હતો. અમરીશ ડેરનું આખું નામ ડેર અમરીશભાઈ જીવાભાઈ છે. તેમણે જુનાગઢની ડો. સુભાષ વ્યાયામ શાળાથી ડી. પી. એડ. નો અભ્યાસ કર્યો છે.  આ પહેલાં પણ ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે અમરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી વિવાદ થયો હતો. પાટીલે કહ્યું હતું અમરીશ ડેર તો ભાજપના કાર્યકર્તા હતા અને પક્ષ માટે કામ કરી ચૂક્યા છે. પાટીલે કહ્યું હતું કે મારે તો ડેરને એક વખત ખખડાવવાના છે, મારો અધિકાર છે. અમરીશ ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે. જેમ બસમાં આપણે આપણા મિત્રો માટે જગ્યા ખાલી રાખીએ તેમ તેમની માટે ભાજપમાં જગ્યા ખાલી જ છે. 

તેમણે આગળ એમ પણ કહ્યું હતું કે ભાજપની પાર્ટીના ઘણા લોકો ડેરના ખાસ મિત્રો છે. મહત્વનું છે કે અમરીશ ડેરનું ભાજપમાં જોડાવવાની વાતોને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. ત્યારે સી. આર પાટીલના આ નિવેદને બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું હતું. આ સિવાય ભાજપના મંત્રી મુકેશ પટેલ સાથે અમરીશ ડેરની મુલાકાત અને તેમની તસવીરને પગલે આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો હતો. આમ એ સમયે તો ડેર કોંગ્રેસમાં રહ્યાં હતા પણ ચૂંટણી પહેલાં તેઓ ભાજપમાં જોડાશે એવી ઘણી ચર્ચાઓ થઈ હતી.  રાજુલા બેઠક પર ભાજપના હીરાભાઈ સોલંકીને 49490 તો કોંગ્રેસના અમરીશ ડેરને 47, 927 મત મળ્યા હતા. આ સાથે આપના ઉમેદવારને 4193 તો અપક્ષ ઉમેદવાર કરણ બારૈયાને 4,344 મત મળ્યા હતા. આમ 2017ના વિજેતા અમરીશ ડેરનો થોડા જ મતથી પરાજય થયો હતો. 

ભાજપમાં જોડાવા બાબતે કર્યો હતો ઈનકાર
આ અંગે જે તે સમયે સીઆર પાટીલના નિવેદનને લઈને અમરીશ ડેરે નિવેદન આપતા કહ્યું કે હા.. મે ભૂતકાળમાં ભાજપ માટે કામ કર્યું હતું પરંતુ હું હાલ જનતાના આશીર્વાદથી કોંગ્રેસમાં ચૂંટાયો હતો. મારે અહી જ રહેવાનું છે હું ક્યાંય નથી જવાનો. પણ આજે સીઆર પાટીલે અમરીશ ડેરને બીજીવાર જાહેર મંચ પરથી આમંત્રણ આપ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં ડેરને ફરી ભાજપમાં જોડાવવાના આમંત્રણથી કોંગ્રેસમાં પણ સોંપો પડી ગયો છે. રાજુલામાં હીરા સોલંકી પરિવારનો દબદબો છે પણ ભાજપ આ પરિવારનું વર્ચસ્વ ઘટાડવા માટે અમરીશ ડેરને ભાજપમાં લાવવા માગે છે. અમરીશ ડેર અગાઉ ભાજપમાં જ હતા અને પાટીલ સાથે સારા સંબંધોને કારણે આજે પાટીલે ફરી જાહેર સ્ટેજ પરથી ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપી દીધું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news