સૌરાષ્ટ્ર યુનિ.ના ઇન્ચાર્જ VC 'ભીમાણી' સામે સિન્ડીકેટ સભ્યો મક્કમ, કોલેજની માન્યતા કેમ રદ્દ નહિં!

જામનગરના નાઘેડીની શ્રી સ્વામિનારાયણ કોલેજ સામે સરકારનાં આદેશ છતાં કેમ કડક કાર્યવાહી નહિં? સિન્ડીકેટ સભ્યો કોલેજની માન્યતા રદ્ કરવાનાં મુડમાં પણ સિન્ડીકેટ બેઠક ન બોલાવી 'ભીમાણી' બચાવમાં

સૌરાષ્ટ્ર યુનિ.ના ઇન્ચાર્જ VC 'ભીમાણી' સામે સિન્ડીકેટ સભ્યો મક્કમ, કોલેજની માન્યતા કેમ રદ્દ નહિં!

ગૌરવ દવે/રાજકોટ : જામનગરના નાઘેડીની શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજમાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાસ ઝી 24 કલાકે કર્યો હતો. રાજ્ય સરકારે પણ આ અંગે કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સત્તાધીશો બેકફુટ પર આવ્યા હતા. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ માત્ર કોમર્સનું જોડાણ રદ્દ કરી સરકાર પાસે પોતાનો બચાવ કર્યો હતો. જોકે સરકારે હજું પણ આ કેસમાં કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા છે. કાર્યકારી કુલપતિ ડો. ભીમાણી કોલેજને બચાવવાની મુદ્રામાં જોવા મળી રહ્યા છે. પરંતુ સિન્ડીકેટ સભ્યો કોલેજની માન્યતા રદ્દ કરવાનાં મક્કમ મૂડમાં છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ બેઠક બોલાવવામાં આવી નથી.

કણસાગરા કોલેજનાં પ્રિન્સિપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્ય ડો. રાજેશ કાલરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નાઘેડીની શ્રી સ્વામિનારાયણ કોલેજ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જોકે કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીએ માત્ર કોમર્સનું જોડાણ રદ્દ કર્યું છે અને સરકારમાં કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું છે. 

તેમ છતાં પણ સરકારે કડક પગલા લેવાનું સચવ્યું છે પરંતુ જો સિન્ડીકેટ બેઠક બોલાવે તો, સિન્ડીકેટ સભ્યો જામનગરના નાઘેડીની શ્રી સ્વામિનારાયણ કોલેજની માન્યતા જ રદ્દ કરવાનાં મૂડમાં છે. આ અંગે બે વખત કાર્યકારી કુલપતિ સાથે ચર્ચા કરવામાં આવી. પરંતુ તે સિન્ડીકેટ બેઠક બોલાવવાનાં મૂડમાં ન હોય તેમ વેકેશનનો સમય હોવાથી સિન્ડીકેટ બેઠકનું કોરમ પૂર્ણ થઇ શકે તેમ નથી તેવો જવાબ આપી રહ્યા છે.

વિવાદિત ડો. ભીમાણી અને પિયુષ પટેલનાં બેન્ક એકાઉન્ટની એન્ટ્રી તપાસવી જરૂરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીનાં અંગત ગણાતા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજનાં ટ્રસ્ટી પિયુષ પટેલની તપાસ થવી પણ જરૂરી છે. કારણ કે, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજની વેબસાઇટ પર કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણી ટ્રસ્ટી તરીકે હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જોકે વિવાદ બાદ વેબ સાઇટ પર થી ટ્રસ્ટીની યાદી જ ઉતારી લેવામાં આવી હતી. 

કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણી 2008 થી શ્રી સ્વામિનારાયણ કોલેજ સાથે જોડાયેલા છે. કોલેજ સાથે જોડાયા બાદ બેન્ક એકાઉન્ટમાં અનેક વખત રૂપીયા ટ્રાન્સફર થયા હોવાની માહિતી અંગે સરકાર તપાસ કરાવે તો ભીમાણીના અનેક કૌંભાડો સામે આવી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સુત્રોનું કહેવું છે કે, શ્રી સ્વામિનારાયણ કોલેજ ટ્રસ્ટ, પિયુષ પટેલ અને ડો. ગીરીશ ભીમાણીનાં બેન્ક ટ્રાન્જેક્શન તપાસવામાં આવે તો ગુજરાતનું સૌથી મોટું કૌંભાડ ખુલશે. 

 અમરેલીની ગજેરા શંકુલમાં ડો. ભીમાણીનો શું રોલ ?
કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. જામનગરનાં નાઘેડીની શ્રી સ્વામીનારાયણ કોલેજમાં ટ્રસ્ટી તરીકે ડો. ભીમાણી હોવાનું તો કોલેજની જ વેબસાઇટ પર જાહેર કર્યું હતું. પરંતુ અમરેલી જીલ્લામાં આવેલ ગજેરા શૈક્ષણીક શંકુલ સાથે પણ ડો. ગીરીશ ભીમાણીને ખુબ જ પ્રેમ હોવાનું જોવા મળ્યું છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનાં પેપરનું રીસિવીંગ અને ડિસ્પેશ સેન્ટર પણ ગજેરા શૈક્ષણીક શંકુલને જ આપવામાં આવ્યું છે. એટલું જ નહિં 2012 બાદ સૌથી વધું કોલેજોની લ્હાણી કાર્યકારી કુલપતિ ડો. ગીરીશ ભીમાણીનાં જ સમયગાળામાં કરવામાં આવી. ગજેરા શંકુલને કેટલા કોર્ષની લ્હાણી કરવામાં આવી તે સરકાર તપાસ કરાવે તે જરૂરી છે. સાથે જ ડો. ગીરીશ ભીમાણીને કાર્યકારી કુલપતિ પદે થી દુર કરવાનાં સરકારનાં નિર્ણય પર જે રીતે પાટીદાર સમાજનું પ્રેશર કરવામાં આવ્યું તેનાં તાર પણ ગજેરા શંકુલ સાથે જ જોડાયેલા હોવાની ખુબ જ ચર્ચા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news