સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ કે સ્ટોરી મૂક્યું સારુ કે ખરાબ, સરવેમાં મળ્યો ચોંકાવનારો જવાબ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનું રિસર્ચ બાદ તારણ.... હમેશા વ્યક્તિએ મુકેલ સ્ટેટ્સ કે સ્ટોરી તેની માનસિકતા છતી નથી કરતા... વ્યક્તિને આવા માધ્યમ દ્વારા જજ કરવા યોગ્ય નથી...

સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ કે સ્ટોરી મૂક્યું સારુ કે ખરાબ, સરવેમાં મળ્યો ચોંકાવનારો જવાબ

ગૌરવ દવે/રાજકોટ : લોકોને અન્ય લોકો વિશે વાતો કે ગપશપ કરવી ગમતી હોય છે પણ જ્યાં સુધી એ વાતો કે ગપશપ કોઈને નુકશાન ન કરે ત્યાં સુધી ઘણી વખત વ્યાજબી ગણીએ પણ સતત નિષેધક ટીપ્પણીઓ વ્યક્તિના માનસને નુકસાન કરી શકે છે. આજના સમયમાં વ્યક્તિના જીવનમાં શું ચાલે છે એ નક્કી કરવાનું કોઈ મોટું માધ્યમ બની ગયું હોય તો એ છે સોશિયલ મીડિયામાં મૂકાતા સ્ટેટ્સ કે સ્ટોરીઓ. વ્યક્તિ કંઈપણ માહિતી મુકે તેના આધારે તેનું મૂલ્યાંકન કરનારા લોકોમાં શિક્ષિત લોકો પણ બાકાત નથી. એ વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર. દોશીએ ગુગલફોર્મના માધ્યમથી અને વિદ્યાર્થીઓની મદદ દ્વારા 875 લોકો પર સર્વે કાર્યો જેમાં મોટા ભાગના લોકોનું માનવું છે કે ઘણા લોકો આવા માધ્યમ દ્વારા કોઈના અંગત જીવનમાં ડોકિયા કરતા હોય એવું અનુભવાય છે.

36% લોકો માને છે કે સોશિયલ મીડિયામાં મુકાતી સ્ટોરી કે સ્ટેટ્સ લોકોની માનસિકતા છતી કરે છે.

81.9% લોકો એ બાબતે સહમત છે કે કોઇપણ પ્રકારની માહિતી સ્ટોરી કે સ્ટેટ્સ સ્વરૂપે મુકે તો વિવિધ પ્રકારના પ્રશ્નો તેમને પૂછવામાં આવે છે.

66.7% લોકો એ સ્વીકાર્યું કે પોતાના લખાણ કે ગમતી બાબતોની નકલ કરીને લોકો તેમાં પણ કોઈ પ્રશ્નો ઉભા કરે છે

81% લોકો માને છે કે સ્ટોરી કે સ્ટેટ્સના માધ્યમ દ્વારા કોઈ વ્યક્તિને કઈ કહેવું કે સમજાવવું હોય તો એ કરી શકાય છે

59% લોકો આવા પ્રકારના માધ્યમોનો ઉપયોગ કોઈને સીધી કે આડકતરી રીતે કઈ કહેવા માટે કરે છે

87.6% લોકો એ જણાવ્યું કે પ્રેમ, દુઃખ, મોટીવેશનલ કંઈપણ સ્ટોરી કે સ્ટેટ્સ મુકીએ તો લોકો એ પ્રમાણે મૂલ્યાંકન કરે છે

71.9% લોકોને સ્ટેટ્સ કે સ્ટોરીના માધ્યમથી કોઈ તેમના અંગત જીવનમાં ડોકિયા કરતુ હોય એવું અનુભવાય છે

51.4% લોકોને સ્ટોરી કે સ્ટેટ્સના સ્ક્રીનશોટ પાડીને લોકો તેને  અન્યને મોકલીને કુથલી કે ચર્ચા કરતા હોય એવું અનુભવાય છે

27% લોકો માને છે કે લોકો પોતાના જીવનમાં જે પ્રમાણે ચાલતું હોય એ જ પ્રમાણે સ્ટોરી કે સ્ટેટ્સ મુકતા હોય છે

લોકોએ સ્ટેટ્સ કે સ્ટોરીના પોતાના અનુભવો દર્શાવતા કહ્યું કે, લોકોને હમેશા બીજાને જજ કરવા ગમે છે અને તેનું માધ્યમ આવા સ્ટેટ્સ કે સ્ટોરી બની જતા હોય છે, આવા સ્ટેટ્સ અને સ્ટોરી લોકોના મનને બગાડી શકે છે, દરેક સ્ટેટ્સ એ વ્યક્તિને પોતાને જ લાગુ પડે એ જરૂરી નથી, વ્યક્તિનું મૂલ્યાંકન એ સ્ટેટ્સ દ્વારા નહી પણ તેના વર્તન અને વાણી દ્વારા થવું જરૂરી છે, આ સોશિયલ મીડિયાની દુનિયામાં સાચું કે ખોટું પારખવું ખુબ મુશ્કેલ છે માટે આવા માધ્યમોથી કોઈનું આકલન ન કરાય.

કિસ્સો 1: 
મારી એક બહેનપણીના લગ્ન થયા. લગ્ન પછી તે ખુબ ખુશ હતી. એક વખત તેણે માત્ર એમ જ મા વિશેનું એક સ્ટેટ્સ મુક્યું તો તેના ઘરે ઝઘડો થયો કે તને અહી ગમતું નથી એટલે જ તે આવા સ્ટેટ્સ મુકીને ઉદાસ અને દુઃખી રહે છે.  

કિસ્સો 2: 
મને લખવાનો ઘણો શોખ છે. હું જે કઈ જોવ એ વિશે મને લખવાની ઈચ્છા થાય. મારા કોઈપણ લખાણ કે કવિતા પર હંમેશા અમુક લોકો એવું જ વિચારે કે એ ઘટના જાણે મારી સાથે જ થઇ હોય અને ખૂબીની વાત એ છે કે તેમાં સહુથી વધુ શિક્ષિત લોકો છે.

સ્ટેટ્સ કે સ્ટોરીના માધ્યમથી કોઈના વ્યક્તિત્વનું આકલન કેટલે અંશે યોગ્ય?
વ્યક્તિ આંતરિક અને બાહ્ય બે જીવન જીવતી હોય છે. પોતાના ગમા અને અણગમા દરેક વખતે આવા સ્ટેટ્સ કે સ્ટોરીના માધ્યમથી જ રજુ થાય એ જરૂરી નથી. દરેક દુઃખી સ્ટેટ્સ મુકનાર દુઃખી જ હોય એ જરૂરી નથી, પ્રેમના ગીત મુકનાર પ્રેમી જ હોય એ પણ જરૂરી નથી અને હાસ્યના સ્ટેટ્સ કે સ્ટોરી મુકનાર દરેક વ્યક્તિ ખુશ જ હોય એ જરૂરી નથી. માટે આવી બાબતોથી વ્યક્તિનું મૂલ્યાંકન કરવાનું ટાળીને વાસ્તવિકતામાં જીવીએ તો  દરેક વ્યક્તિને ફાયદો પણ થશે અને આંતર વૈયક્તિક સબધો પણ સારા રહી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news