સુરતે મુંબઈને આપ્યો મોટો ઝટકો: ધડાધડ ઓફિસો થવા લાગી બંધ, 3400 કરોડમાં થયો આ ખેલ!

Surat Diamond Bourse Open: મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાને કારણે સુરતના હીરાના વેપારીઓને મુંબઈમાં અલગ ઓફિસ ઉભી કરવી પડી હતી. જેના દ્વારા સુરતમાં તરાશાયેલા હીરા મુંબઈથી વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા.

સુરતે મુંબઈને આપ્યો મોટો ઝટકો: ધડાધડ ઓફિસો થવા લાગી બંધ, 3400 કરોડમાં થયો આ ખેલ!

Surat Diamond Bourse Open: સરકારના સહયોગ વિના સુરતના હીરાના વેપારીઓએ અંદાજે રૂ. 3400 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બિઝનેસ હબ બનાવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) નામના આ ડાયમંડ હબને વિશ્વની સૌથી મોટી ઇમારતનો ખિતાબ પણ મળ્યો છે, જે રેકોર્ડ અત્યાર સુધી પેન્ટાગોન બિલ્ડીંગ પાસે હતો. સુરતમાં બનેલા સુરત ડાયમંડ બુર્સને કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર સરકારને ટેક્સ સ્વરૂપે મોટો આંચકો મળવા જઈ રહ્યો છે, કારણ કે મુંબઈમાં સ્થાયી થયેલા ગુજરાતી હીરાના વેપારીઓએ પોતાનો ધંધો બંધ કરીને સુરત તરફ સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે.

વર્ષોથી સુરત શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. સુરત શહેરના હીરાના કારખાનાઓમાં કાપવામાં આવતા હીરાની દેશ અને દુનિયાના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. હીરાનો આ વ્યવસાય લાખો લોકોને રોજગાર પુરો પાડે છે. સુરતના હીરાના કારખાનાઓમાં કપાયેલા આ હીરાને વિશ્વના વિવિધ દેશોમાં મોકલવા માટે મુંબઈનો ઉપયોગ થતો હતો. મુંબઈમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાને કારણે સુરતના હીરાના વેપારીઓને મુંબઈમાં અલગ ઓફિસ ઉભી કરવી પડી હતી. જેના દ્વારા સુરતમાં કાપેલા હીરા મુંબઈથી વિશ્વના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવતા હતા.

હવે આવું નહીં થાય, કારણ કે ગુજરાતના સુરતમાં બનેલ વિશ્વના સૌથી મોટા ડાયમંડ હબ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં સુરતના હીરાના વેપારીઓને જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ જ કારણ છે કે હવે મુંબઈ થઈને વિશ્વમાં હીરાનો ધંધો કરતા સુરતના હીરાના વેપારીઓ મુંબઈમાંથી હીરાનો ધંધો બંધ કરીને સુરત તરફ સ્થળાંતર કરી રહ્યા છે.

ખજોદ વિસ્તારમાં સરકારે જાહેર કરેલા ડ્રીમ સિટી પ્રોજેક્ટની 67 લાખ ચોરસ ફૂટ જમીન પર 14 માળના 9 ટાવર બનાવવામાં આવ્યા છે. આ ટાવર્સમાં વિવિધ ડાયમંડ કંપનીઓની 4300 ઓફિસો આવેલી છે. આ ઓફિસો બિલ્ડીંગ તૈયાર થાય તે પહેલા જ હીરાના વેપારીઓએ ખરીદી લીધી હતી. આ સુરત ડાયમંડ બુર્સ અંદાજે 3400 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. સુરત અને મુંબઈના હીરાના વેપારીઓને એક છત નીચે લાવી શકાય તે માટે હીરાના વેપારીઓએ અહીં સરકાર પાસેથી બજાર કિંમત કરતાં વધુ કિંમત ચૂકવીને જમીન ખરીદી હતી.

ઉદ્યોગપતિઓ મુંબઈ છોડીને સુરત શિફ્ટ 
અત્યાર સુધી વિશ્વના વિવિધ દેશોમાં હીરા મોકલવા માટે સુરતના વેપારીઓએ મુંબઈમાં પોતાનો અલગ ઓફિસ સ્ટાફ રાખવો પડતો હતો, ઓફિસ ખોલવી પડતી હતી અને ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાના કારણે મુંબઈથી જ બિઝનેસ કરવો પડતો હતો. . પરંતુ હવે સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારીને જરૂરી તમામ સુવિધાઓ છે. વિશ્વનું સૌથી મોટું કસ્ટમ હાઉસ તૈયાર છે. હવે સુરત એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ શરૂ થશે, જેના કારણે હવે સુરતના હીરાના વેપારીઓ મુંબઈને બદલે સુરતથી દુનિયાભરમાં તેમનો હીરાનો વ્યવસાય કરી શકશે.

સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાથી સુરતની રિયલ એસ્ટેટને પણ મોટો ફાયદો થયો છે, કારણ કે જે લોકો મુંબઈથી શિફ્ટ થઈ રહ્યા છે તેઓને નવા મકાનની જરૂર છે, તેથી લોકો તેમના મકાનો ખરીદી રહ્યા છે. આ ઉપરાંત શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. શોપિંગ મોલમાં ખરીદદારોની સંખ્યા વધી રહી છે. સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનથી સુરતના દરેક વિસ્તારના લોકોને ફાયદો થશે. આ ઉપરાંત લગભગ 1 લાખ લોકોને એક છત નીચે રોજગાર પણ મળશે. સુરત ડાયમંડ બુર્સ શરૂ થતાં જ મુંબઈમાં ડાયમંડ બિઝનેસને લગતી 1000 જેટલી ઓફિસો કાયમ માટે બંધ થઈ જશે. જેના કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર સરકારને પણ ટેક્સમાં કરોડો રૂપિયાનું નુકસાન થશે.

હવે સુરતમાં પણ કોર્પોરેટ ઓફિસ
સુરતના મોટા હીરાના ઉદ્યોગપતિ વલ્લભભાઈ લાખાણી કે જેમણે પોતાનો બિઝનેસ મુંબઈથી સંપૂર્ણપણે ખસેડ્યો છે તેઓ કિરણ ડાયમંડ એક્સપોર્ટના નામથી દેશ અને દુનિયામાં હીરાનો વ્યવસાય કરે છે. વલ્લભભાઈ લાખાણીએ પોતાના હીરા વિશ્વના દેશોમાં મોકલવા માટે છેલ્લા 30 વર્ષથી મુંબઈમાં ઓફિસ ખોલી હતી. તેમની ઓફિસમાં લગભગ 2500 લોકોનો સ્ટાફ હતો. સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ ન હોવાને કારણે સુરતના હીરાના વેપારીઓ પાસે તેમના હીરા વિદેશ મોકલવા માટે મુંબઈ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

કિરણ (જેમ્સ) એક્સપોર્ટ ડાયરેક્ટર વલ્લભ લાખાણી મૂળ ભાવનગરના છે. 1980માં તેઓ બિઝનેસ માટે મુંબઈ ગયા અને ત્યાં ડાયમંડ કંપની શરૂ કરી. ભારત ડાયમંડ બુર્સનું મુખ્ય મથક બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈમાં આવેલું હતું. તેમણે 1997માં સુરતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. કિરણ જેમ્સનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં છે. 

ધડાધડ સુરત પરત ફરતા વેપારીઓ
વલ્લભભાઈ લાખાણીએ મુંબઈથી પોતાનો ધંધો સદંતર બંધ કરી દીધો છે અને તેને સુરત ખસેડ્યો છે. તેમણે હાલમાં તેમની ઓફિસના કર્મચારીઓના રહેઠાણ માટે અલગ-અલગ બિલ્ડિંગમાં 1200 ફ્લેટ બનાવ્યા છે. સુરત ડાયમંડ બુર્સનો વિધિવત પ્રારંભ થતાં જે તેમના સ્ટાફ દ્વારા આ ઘરોમાં રહેવાનું પણ શરૂ કરી દેવાયું છે. એમને સ્ટાફ માટે ઘરેલુ સામાનથી લઈને એ તમામ સામગ્રી ઉપલબ્ધ કરાવી છે જે એમની જરૂરિયાત છે. મુંબઈની ઓફિસમાં માત્ર 100 કર્મચારીઓ ગુજરાતીઓ હતા. બાકીના મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યના હતા. જેમાંથી મોટાભાગનાએ સુરતમાં શિફ્ટ થવાની લીલીઝંડી આપી દીધી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news