સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા હોવ તો ખાસ જાણી લો આ સમાચાર

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને ”No Drone Zone” તરીકે જાહેર કરાયો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા હોવ તો ખાસ જાણી લો આ સમાચાર

ઝી મીડિયા/બ્યૂરો :કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને ”No Drone Zone” તરીકે જાહેર કરાયો છ. નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને  મળેલ સત્તાની રૂએ એક જાહેરનામું બહાર પાડ્યુ છે. જે મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) પરિસરના આસપાસના વિસ્તાર (૧) નર્મદા નદીના ડાબા કાંઠે સરદાર સરોવર ડેમથી એકતા નર્સરી (ગોરા) સુધી અને (૨) નર્મદા નદીના જમણા કાંઠે સરદાર સરોવર ડેમથી શ્રેષ્ઠ ભારત ભવન, કેવડીયા સુધીના વિસ્તારને “”No Drone Zone” જાહેર કરાયો છે. આ વિસ્તારમાં રિમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવાઈ છે. આ જાહેરનામાની અમલવારી 16 ઓક્ટોબરથી શરૂ થશે. તો 14 ડિસેમ્બર સુધી તેનો અમલ ચાલુ રહેશે. 

અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. 

આ જાહેરનામાનો ભંગ કરનાર લોકો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news