ભાજપના સાંસદને બચાવવા ગુજરાત પોલીસના ધમપછાડા, ચકચારી કેસમાં જૂનાગઢના તબીબના સ્ફોટક ખુલાસા

Veraval Doctor Suicide Case : મોતને ભેટનાર ડો.ચગના મિત્રએ ખુલ્લેઆમ ભાજપના નેતા સામે આક્ષેપો કર્યા છે. પોલીસ આ કેસમાં કોને બચાવવાન કોશિષ કરી રહી છે એ તો સમય બતાવશે પણ કાર્યવાહી ન કરતી પોલીસ માથે આ કેસમાં માછલાં ધોવાઈ રહ્યાં છે

ભાજપના સાંસદને બચાવવા ગુજરાત પોલીસના ધમપછાડા, ચકચારી કેસમાં જૂનાગઢના તબીબના સ્ફોટક ખુલાસા

Veraval Doctor Suicide Case : ગુજરાતના આ ચકચારી કેસમાં પોલીસ કોને બચાવવા માગે છે એ સૌથી મોટો સવાલ છે. આ મામલે લોહાણા સમાજ સહિત સ્થાનિક લોકોમાં પણ વિરોધનો માહોલ છે. પોલીસ આ પ્રકરણમાં કાચું ન કપાય માટે સોગઠાં ગોઠવી રહી છે પણ આક્ષેપો થઈ રહ્યાં છે કે ભાજપના એક મોટા નેતાને બચાવવા માટે પોલીસ હવાતિયાં મારી રહી છે. આ પ્રકરણમાં હાલમાં ભાજપના નેતાના નામની ચર્ચાઓ છે. આ મામલે યોગ્ય તપાસ કરવા માટે આ કેસમાં પરીમલ નથવાણીએ પણ ઝૂકાવ્યું છે. હર્ષ સંઘવીને આ કેસમાં યોગ્ય તપાસ કરવા માટે અપીલ કરી છે. જે નામો બહાર આવ્યા છે એ સ્થાનિક રાજકારણમાં ભાજપના મોટા નેતાઓના નામ હોવાની ચર્ચાઓ છે. પોલીસ આ મામલાને કાગળ પર નહીં લે ત્યાં સુધી તમામ મૌન સેવીને બેઠા છે. પોલીસ જે નામો છે એ સાચા છે કે નહીં અને ડો. ચગે જ આત્મહત્યા પહેલાં આ ચિઠ્ઠી લખી એ તપાસવાની પળોજણમાં પડી છે. પોલીસ પર પણ પ્રેશર છે. ગુજરાતમા વેરાવળના તબીબ ડો. અતુલ ચગે કરેલા આપઘાત મામલે હવે મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં જૂનાગઢના તબીબે આક્ષેપ કર્યો છે કે, મૃત ડો.ચગે નારણભાઈ ચુડાસમા પાસેથી બે-અઢી કરોડ રૂપિયા લેવાના હતા અને તે બાબતની તેમને જાણ કરી મોટી રકમના ચેક પણ બતાવ્યા હતા. આ અંગે તેઓએ રાજેશભાઈ ચુડાસમાને પણ વાત કરી હતી, પરંતુ રાજકીય પીઠબળ હોવાથી તેની પૈસા દેવાની દાનત ન હોય તેવું મૃત તબીબે જૂનાગઢના તેમનાં મિત્ર તબીબને જણાવ્યું હતું. આમ મોતને ભેટનારના મિત્રએ તો ખુલ્લેઆમ ભાજપના નેતા સામે આક્ષેપો કર્યા છે. પોલીસ આ કેસમાં કોને બચાવવાન કોશિષ કરી રહી છે એ તો સમય બતાવશે પણ કાર્યવાહી ન કરતી પોલસ માથે આ કેસમાં માછલાં ધોવાઈ રહ્યાં છે. 

આ કેસમાં સ્ફોટક ખુલાસા થયા છે. જૂનાગઢના ડો. જલ્પન રૂપાપરાએ વેરાવળના ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વનું નિવેદન જાહેર કર્યું છે કે, તેઓ છેલ્લા દોઢ-બે વર્ષથી મૃત ડો. અતુલ ચગના સંપર્કમાં હતા. આઠથી દસ મહિના પહેલા તેઓ ડો. ચગને મળ્યા ત્યારે તેણે જણાવ્યું હતું કે, ‘ખૂબ લાંબા સમયથી મારી મહેનતથી કમાયેલી આ મોટી રકમ આ લોકો મને વારંવાર વિનંતી કરવા છતાં પાછી આપતા નથી તો આનું શું કરી શકાય?’ એ બાબતે તેમને મરી સમક્ષ બળાપો કાઢ્ય હતો. 

આ પણ વાંચો : 

જૂનાગઢના તબીબ રૂપાપરાએ સલાહ આપી હતી કે, ‘આ મામલે રાજેશભાઈ ચુડાસમાને વાત કરી છે?’ તો મૃતક તબીબે જણાવ્યું કે, ‘મેં આ અંગે બંનેને વારંવાર રજૂઆતો અને આજીજી કરેલ છે મારી રકમ પરત આપવા બાબતે, પરંતુ ખૂબ લાંબો સમય વિતી ગયો હોય અને રાજકીય પીઠબળ હોવાથી હવે એ લોકો મારા લીધેલા પૈસા પાછા આપવાની દાનત લાગતી નથી’ તેવું મૃત તબીબે જૂનાગઢનાં તબીબને જણાવ્યું હોવાનો દાવો કર્યો છે. આમ આ કેસમાં ભાજપના નેતાઓના આ તબીબના નિવેદનો બાદ નામ બહાર આવ્યા છે.

જૂનાગઢનાં તબીબે કરેલા આક્ષેપ મુજબ મૃત તબીબ ડો. ચગ સાથેની વાતચીતમાં નારણભાઈનાં ઉલ્લેખ બાદ જૂનાગઢનાં તબીબ રૂપાપરાએ ‘નારણભાઈ કોણ?’ એમ પૂછતાં તેનાં જવાબમાં મૃત ડો. અતુલ ચગે સાંસદ રાજેશ ચુડાસમાનાં પિતા નારણભાઈ હોવાનું સ્પષ્ટ કરેલ હતું. જેથી આ સમગ્ર બનાવમાં હવે જૂનાગઢનાં ભાજપનાં સાંસદ રાજેશ ચુડાસમાનાં પરિવાર પર ગંભીર આરોપ લાગવાનું શરૂ થયું છે. 

‘નારણભાઈ કોણ’ એમ પૂછતાં ડો. ચગે ‘તે સાંસદ ચુડાસમાના પિતા’ હોવાનું કહ્યું હતું. આમ આ પ્રકરણમાં ભાજપના નેતાનું નામ બહાર આવતાં હવે આગામી સમય જ બતાવશે કે આ પ્રકરણમાં ભાજપના સાંસદનો રોલ છે કે કોઈ બીજા રાજેશભાઈ ચુડાસમાની વાત થઈ રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પણ સીધી આંગળી હાલમાં ભાજપના સાંસદ પર ઉઠી રહી છે. જોકે, પોલીસ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news