Gujarat Election 2022: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપે ગોઠવ્યા સોગઠા! જાણો શું છે પ્રથમ તબક્કા માટે પ્રચારની રણનીતિ?

Gujarat Election 2022: 182 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ થઈ ગયા બાદ આજથી ભાજપ શક્તિ પ્રદર્શન અને પ્રચંડ પ્રચારની શરૂઆત કરશે. પહેલા તબક્કાની 89 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના 89 નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરશે.

Gujarat Election 2022: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભાજપે ગોઠવ્યા સોગઠા! જાણો શું છે પ્રથમ તબક્કા માટે પ્રચારની રણનીતિ?

Gujarat Election 2022: ગુજરાતમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં પ્રચાર માટે ભાજપે એક વિશેષ રણનીતિ બનાવી છે. આ રણનીતિ અંતર્ગત એક સાથે તમામ 89 બેઠકો પર ભાજપના કેન્દ્રીય અને પ્રદેશના નેતાઓ પ્રચાર કરશે.. જાણો શું છે પ્રથમ તબક્કા માટે પ્રચારની ભાજપની રણનીતિ?

182 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ થઈ ગયા બાદ આજથી ભાજપ શક્તિ પ્રદર્શન અને પ્રચંડ પ્રચારની શરૂઆત કરશે. પહેલા તબક્કાની 89 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના 89 નેતાઓ ઝંઝાવાતી પ્રચાર કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના સ્ટાર પ્રચારકો જનસભા કરશે. ગુજરાતના તમામ નેતાઓ પણ પ્રચારના મેદાનમાં ઉતરશે. સૌથી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથની પ્રચારની શરૂઆત કરશે. આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ ગુજરાતની મુલાકાતે છે. 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જામનગર, ભરૂચ અને ઓલપાડમાં ચૂંટણી પ્રચાર કરશે. તો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ માંગરોળ, માંડવી, બારડોલી, અડાજણમાં પ્રચાર કરશે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ પણ માંડવી, અબડાસા, મોરબી અને ભાવનગરમાં પ્રચાર કરશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ મોરબી, ઝઘડિયા અને સુરતના ગોડાદરામાં સભા કરશે. 

તો બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મહુવા, તળાજા, ગારિયાધાર, લિંબાયતમાં સભા સંબોધશે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા જંબુસર, વાગરા અને સુરતમાં પ્રચાર કરશે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ કરંજ અને કતારગામમાં પ્રચાર કરશે. 

ભાજપના સૌથી દિગ્ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદી સંભાળવાના છે. પીએમ મોદી 19 નવેમ્બરથી ગુજરાતમાં પ્રચારનો પ્રારંભ કરશે. પીએમ મોદી વલસાડ, સોમનાથ, વેરાવળ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં રોડ શો કરશે.

જાણો પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ
1. નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતમાં દક્ષિણથી શરૂ થશે. 
2. પ્રધાનમંત્રી મોદી શનિવારે સાંજે 7.30 કલાકે વલસાડમાં જનસભાને સંબોધિત કરશે. પીએમ મોદી રાત્રીરોકાણ પણ અહીં કરવાના છે. 
3. પીએમ મોદી રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. 
4. પ્રધાનમંત્રી મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધિત કરશે. 
5. પ્રધાનમંત્રી મોદી વેરાવળમાં સવારે 11 કલાકે, ધોરાજીમાં બપોરે 12.45 કલાકે, અમરેલીમાં બપોરે 2.30 કલાકે અને બોટાદમાં સાંજે 6.15 કલાકે સભા કરશે. 
6. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. 
7. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ત્રણ સભાઓને સંબોધિ કરશે. 
8. પીએમ મોદી રવિવારે સુરેન્દ્રનગરમાં બપોરે 12 કલાકે જનસભાને સંબોધિત કરશે. 
9. રવિવારે બપોરે 2 કલાકે જંબુસરમાં અને સાંજે 4 કલાકે નવસારીમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરશે. 
10. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં 30 રેલીઓ અને રોડ શો કરે તેવી સંભાવના છે. નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 30થી વધુ રેલી કરી હતી. 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસે 77 સીટો પર જીત મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news