સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યો

Khirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, ધર્મસ્વરૂપ અને નારાયણ સ્વરૂપ નામના લંપટ ગુરુ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ 

સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યો

Rajkot News રાજકોટ : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લંપટલીલાના કિસ્સા વધી રહ્યાં છે. વડોદરા બાદ હવે રાજકોટના ખીરસરા ગુરુકુળના સ્વામીનારાયણ સંતો સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામના ગુરુકુળમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 
 
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામ ખાતે બનાવ બન્યો છે. ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 376 (2)(N), 313, 114 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ નોંધાયેલા 24 કલાકથી વધુ સમય વિત્યો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવા બાબતે પોલીસની મનાઈ ફરમાવાઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધરમસ્વરુપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરિયા સામે ફરિયાદ નોંધાઈ છે. 

સ્વામિનારાયણ ગુરુકુળના ધરમસ્વરૂપદાસ સ્વામીએ છેલ્લા ત્રણ વર્ષથી 30 વર્ષીય મહિલા સાથે દુષ્કૃત્ય ગુજારવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યુ છે. સંત ધરમસ્વરૂપદાસ સ્વામી દ્વારા મહિલાને 25/12/2020 ના રોજ facebookના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. બાદમાં બંને વચ્ચે સંપર્ક વધતા બંને વચ્ચે મિત્રતા બંધાી હતી. તેના બાદ વર્ષ 2021 માં ધરમસ્વરૂપ સ્વામી મહિલાને મળ્યા હતા. બાદમાં તેમનો સંપર્ક વધતો ગયો હતો. બંને જણા ગુરુકુળના ગેસ્ટ રૂમમાં મળ્યા હતા. આ બાદ તેમનો સંપર્ક વધ્યો હતો. 

આ બાદ સ્વામીએ મહિલાને લગ્ન કરવાની વારંવાર લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.  હું તારી સાથે લગ્ન કરી લઈશ તે પ્રકારની વાતોમાં ફસાવીને ગેસ્ટ રૂમમાં જ લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્વામીએ કહ્યું હતું કે હવે હું તારો કાયદેસરનો પતિ કહેવાવ જેથી તારા પર મારો હક છે તેમ કહીને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.

ધરમસ્વરૂપદાસ સ્વામીએ મહિલાને એમ પણ કહ્યું હતું કે, આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ, પરંતું આપણે સાધુ સાધ્વી થઈને રહેવાનું છે. આ બાદ મહિલાને ભુજ ખાતે સાધ્વીની ટ્રેનિંગ માટે પણ મોકલાઈ હતી. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, આ મહિલાનું ગર્ભપાત પણ કરાવવામા આવ્યું છે. મહિલા એકવાર પ્રેગનેન્ટ થઈ હતી, જેથી તેને દવા દ્વારા ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. દવાથી મહિલાનો ગર્ભ પડી ગયો હતો. 

આ બાદ બંને વચ્ચે સંબંધો બિચક્યા હતા. ધરમસ્વરૂપદાસ સ્વામી, નારાયણસ્વરૂપદાસ સ્વામી તેમજ મયુર કાસોદરીયા ત્રણેય મળીને મહિલાને ધમકાવી હતી કે, જો તું આ વાત કોઈને કરીશ તો અમે તને જોઈ લઈશું સમાજમાં બદનામી કરીને તને જીવવા જેવી નહીં રહેવા દઈએ. જે બાદ મહિલાએ ફરિયાદ દાખલ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news