700 વર્ષ પૂર્વે બનેલી એક ઘટનાને કારણે ગુજરાતના આ ગામડામાં રક્ષાબંધન ઉજવાતી નથી, જાણો શું છે ઇતિહાસ

Raksha bandhan 2022: પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગોધાણા ગામ ખાતે ગોધાણશાપીર દાદાનું મંદિર આવેલ છે અને ગ્રામજનોને દાદા પર અતૂટ શ્રદ્ધા પણ છે.

700 વર્ષ પૂર્વે બનેલી એક ઘટનાને કારણે ગુજરાતના આ ગામડામાં રક્ષાબંધન ઉજવાતી નથી, જાણો શું છે ઇતિહાસ

પ્રેમલ ત્રિવેદી/પાટણ: ભાઈ અને બહેનના પવિત્ર બંધનને એક સુતરની આંટીમાં બાંધી રાખે તે પર્વ એટલે રક્ષા બંધન...આ પર્વની ઉજવણી સામાન્ય રીતે  દરેક જગ્યા પર શ્રાવણ સુદ પૂનમના દિવસે કરવામાં આવે છે. પણ ગુજરાતમાં સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવે છે. તેની પાછળ પણ એક ઇતિહાસ વણાયેલો છો. તો આવો જોઈએ કે આ ગામમા શા માટે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનો પર્વ મનાવવામાં આવતું નથી.

પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગોધાણા ગામ ખાતે ગોધાણશાપીર દાદાનું મંદિર આવેલ છે અને ગ્રામજનોને દાદા પર અતૂટ શ્રદ્ધા પણ છે. ત્યારે ગામમાં દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ પૂર્વે ગામ આખું ઢોલના નાદ સાથે ભેગુ થાય છે અને તેમાંથી ચાર યુવાનો ગામ તળાવમાંથી માટલીમાં પાણી ભરી લાવે છે. ત્યારબાદ ગામની સીમમાં દોડનું આયોજન કરવામાં આવતું તેવી પરંપરા હતી. 

જાણો શું છે ઇતિહાસ?
આજથી 700 વર્ષ  પૂર્વે શ્રાવણ સુદ પૂનમના પૂર્વે ગામના ચાર યુવાનો પરંપરા મુજબ માટલી લઈ ગામ તળાવમાં પાણી ભરવા ગયા હતા અને તે યુવાનો તળાવમાં આવેલ એક ખાડા માંથી પાણી ભરતા અચાનક ડૂબી ગયા. આ વાત ગ્રામજનોને ખબર થતા તેઓ તળાવ ખાતે દોડી આવ્યા અને તળાવની બહાર કલાકો સુધી યુવાનો બહાર આવે તેની રાહ જોઈ બેસી રહ્યા પણ યુવાનોની કોઈ ભાળ મળી નહીં. છેવટે ચાર યુવકો મૃત થયા હોવાનું સમજી ગામમાં પરત આવતા આખા ગામમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. તે દરમ્યાન શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ પણ આવતો હતો, પણ ગામમાં ચાર યુવાનોનું મોત થતા શોકનો માહોલ પણ હતો.

ગામમાં રહેતા મુખીને રાત્રી દરમ્યાન સ્વપ્ન
જેથી ગ્રામજનોએ રક્ષાબંધન નહીં કરવા અંગે નિર્ણય કર્યો. દિવસો વીત્યા તે દરમ્યાન ગામમાં રહેતા મુખીને રાત્રી દરમ્યાન સ્વપ્ન આવ્યું. જેમાં ગ્રામજનોના આસ્થા સમાં ગોધણશાપીર દાદા આવ્યા અને તેમને કહ્યુ કે આવતીકાલે સવારે આખું ગામ ભેગુ થઈ  અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે જજો. ત્યાં ડૂબેલ ચાર યુવાનો તમને મળી જશે. આ પ્રકારના સ્વપ્નની વાત સવારે મુખીએ ગ્રામજનોને કરતા આખું ગામ અબીલ ગુલાલ લઈ ઢોલ વગાડતા ગામ તળાવ ખાતે પહોંચ્યા. ત્યાં તળાવમાંથી ચાર યુવાનો બહાર નીકળતા ગ્રામજનોએ જોતા મોટો ચમત્કાર થયો હતો. આખા ગામમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. આ યુવાનો શ્રાવણ સુદ પૂનમના 28 દિવસ બાદ તળાવમાંથી જીવિત બહાર  આવ્યા હતા, ત્યારે ગામમાં રહેતી દીકરીઓએ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી. 

ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળનો ચઢાવાય છે પ્રસાદ
આજે પણ 700 વર્ષની આ પરંપરા ચાલી આવે છે, અને આખું ગામ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતું નથી. પણ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આ દિવસે ગામ ખાતે આવેલ ગોધણશાપીર દાદાના મંદિરે સુખડી અને શ્રીફળ ચઢાવીને દીકરીઓ ભાઈના હાથે રાખડી બાંધે છે. આ પ્રકારનો ઇતિહાસ ગ્રામજનો જણાવી રહ્યા છે.

પરણીને આવેલ દરેલ સ્ત્રી પણ નિભાવે છે આ પરંપરા
ગામની દીકરીઓ પણ શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતી નથી, પણ ભાદરવા સુદ તેરસના દિવસે દીકરીઓ ગામમાં આવે છે. તેમના ભાઈના હાથમાં રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આ પ્રકારે 700 વર્ષ પૂર્વેની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ગામમાં ચાલી આવતી 700 વર્ષ જૂની પરંપરા માત્ર ગામની દીકરીઓ નહીં, પણ ગામમાં પરણીને આવેલ સ્ત્રી પણ આ પરંપરા જાળવી રહી છે અને તે મુજબ ભાદરવા સુદ તેરસના રોજ તેઓ પણ તેમના પિયરે જઇ તેમના ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરે છે. આમ ગામની દીકરીઓની સાથે ગામમાં પરણીને આવેલ દરેલ સ્ત્રી પણ પરંપરા નિભાવે છે.

ગામમાં જે પ્રકારે ઘટના બની. ત્યારબાદ ગામની તમામ દીકરીઓ ભાદરવા સુદ તેરસના રોજ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા દીકરીઓ ગામમાં આવે છે. અને તેમના ભાઈને હાથ પર રાખડી બાંધી અને પર્વની ઉજવણી કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news