સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ : શું મૃત્યુ પામેલા પ્રોફેસરો હજી પણ કોલેજમાં ભણાવે છે?

Saurastra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં... અનેક કોલેજોમાં અધ્યાપકો માત્ર કાગળ પર હોવાનો ઘટસ્ફોટ... ખોટી મહિતી જાહેર કરનાર સામે કડક પગલાં લેવા માંગ - ડો. નિદત બારોટ... સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કોલેજો દોષનો ટોપલો એક બીજા પર ફેંકાફેક..
 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ : શું મૃત્યુ પામેલા પ્રોફેસરો હજી પણ કોલેજમાં ભણાવે છે?

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજોમાં અધ્યાપકો માત્ર કાગળ પર હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓની કોલેજમાં માન્ય અધ્યાપકોની યાદીમાં મૃત્યુ પામેલા અને અન્ય જગ્યાએ નોકરી કરનારાના નામો હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જોડાણ વિભાગના અધિકારી રમેશ પરમારે માહિતી જાહેર કરી હતી. જેને લઈને રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નોટિસ ફટકારી અને ખુલાસો માંગ્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અધ્યાપકો માત્ર કાગળ પર હોવાની માહિતી ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જ જાહેર કરવામાં આવતા વિવાદ થયો છે. એટલું જ નહીં આ કોલેજો પણ ભાજપ-કોંગ્રેસના નેતાઓની જ હોવાનું સામે આવ્યું છે. ખરા અર્થમાં કોલેજોમાં વિદ્યાર્થીઓને જે-તે કોર્ષનો અભ્યાસક્રમ ભણાવવા માટે હકીકતમાં પૂરતા અધ્યાપકો હોતા નથી. નવા કોર્ષની મંજૂરી કે જુના કોર્સના જોડાણ રીન્યુ માટે કોલેજો દ્વારા માન્ય અધ્યાપકોની મસમોટી યાદી રજૂ કરવામાં આવે છે જે અધ્યાપકો ખરા અર્થમાં ભણાવતા નથી. જેમાં વિગતવાર જોઈએ તો,

ટી.એન.રાવ કોલેજના સંચાલક ડો. નિદત બારોટ -કોંગ્રેસ
(૧) ડો. નિદત બારોટ - સાયન્સ ફેકલ્ટીમાં લેક્ચરર, ઇસ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગમાં આચાર્ય અને એજ્યુકેશન ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન
(૨) ચેતન ઉપાધ્યાય - મૃત્યુ પામ્યા છતાં અંગેજીમાં લેક્ચરરમાં નામ
(૩) કૃણાલ મહેતા - મેનેજમેન્ટ ફેકલ્ટીમાં લેક્ચરરમાં નામ પણ હરિવંદના કોલેજમાં કામ
(૪)પરકીન રાજા - LLBમાં નામ પણ હકીકતમાં વકીલાત પ્રેક્ટિસ

એચ.એન.શુક્લા કોલેજના સંચાલક નેહલ શુક્લ અને ડો. મેહુલ રૂપાણી-ભાજપ

(૧) અમીષાબેન ઘેલાણી - એકાઉન્ટન્સીમાં નામ ફરજ આત્મીય કોલેજમાં
(૨) પ્રિતીબેન નાયક - સરકારી પોલીટેકનીક કોલેજમાં
(૩) રશ્મીબેન ગોટેચા - મેનેજમેન્ટમાં લેકચરર, વાસ્તવમાં આર.કે.યુનિ.માં
(૪)મોહિની રૂધાણી - મેનેજમેન્ટમાં લેકચરર હકીકતમાં આર.કે.યુનિ.માં
(૫)ચિરાગ સાવલીયા - સૌરાષ્ટ્ર યુનિ.ના નેનોસાયન્સમાં
(૬)જયેશ પટેલ - મૃત્યુ પામ્યા છતાં કમ્પ્યુટર સાયન્સ લેકચરરમાં નામ
(૭) નિતીન પોપટ - મૃત્યુ પામ્યા છતાં એકાઉન્ટન્સીમાં લેકચરરમાં નામ

હરિવંદના કોલેજના સંચાલક મહેશ ચૌહાણ (પૂર્વ સિન્ડિકેટ સભ્ય-ભાજપ)
(૧)અશ્વિન રાઠોડ - કમ્પ્યુટર સાયન્સ લેકચરર અને યુનિ.માં પ્રોગ્રામર
(૨)સાગર બાબરીયા - કમ્પ્યુટર સાયન્સમાં લેકચરર, એડમીન તરીકે ફરજ
(૩)પીયુષ ગોધાણી - રાજીનામું છતાં માન્યતામાં બોલતું નામ
(૪) કાના પરમાર - રાજીનામું છતાં માન્યતામાં બોલતું નામ

જોકે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ પોતાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, કોલેજો દ્વારા માહિતી આપવામાં આવી નથી જેને કારણે જૂની માહિતી જાહેર થઈ છે. એટલું જ નહીં ડો. નિદત બારોટ મુદ્દે કહ્યું કે, નિદતભાઈ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલનગ્ન કોલેજમાંથી રાજીનામુ આપ્યું છે. યુનિવર્સિટીએ સરકારને જવાબ રજૂ કર્યો છે. યુનિવર્સિટીએ કહ્યું જે તે કોલેજના સંચાલકોએ કે મેનેજમેન્ટ એ યુનિવર્સિટી ને પ્રાધ્યાપકો મામલે જાણ કરવી જોઈએ.

તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો. નિદાત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ સામે ખોટી માહિતી જાહેર કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ સીધી રીતે આ બાબતે જવાબદાર હોવાનું પણ નિવેદન આપ્યું હતું. ખોટી માહિતી જાહેર કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શું કરવા માંગે છે તે સવાલ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં સરકારને પણ કાર્યકારી કુલપતિ અને યુનિવર્સિટી દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર કરેલા અધ્યાપકોની યાદીમાં 17 અધ્યાપકોના નામો અને કોલેજો અંગેની માહિતીમાં અનેક ગોટાળાઓ સામે આવ્યા છે જોકે આ માહિતી ટેકનિકલ કારણોસર અપડેટ ન થયો હોવાથી આવી ભૂલ થયો હોવાનો સરકાર સમક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લૂલો બચાવ કર્યો છે હવે સરકાર અને ઉચ્ચ શિક્ષણ વિભાગ કઈ રીતના પગલાં લે છે તે પણ જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news