રાજકોટ અગ્નિકાંડમાં સુપરહીરો બન્યો હોસ્પિટલનો કર્મચારી અજય વાઘેલા

રાજકોટ અગ્નિકાંડમાં સુપરહીરો બન્યો હોસ્પિટલનો કર્મચારી અજય વાઘેલા
  • સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની ભારોભાર પ્રશંસા કરી.
  •  પોતાના જીવના જોખમે અજય વાઘેલાએ બે માળ ચઢીને સાત દર્દીને બચાવ્યા હતા

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ (rajkot fire) નો બનાવ બન્યો હતો, જેમાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. ગુજરાત માટે આ કદી ન ભૂલાય તેવી કરુણાંતિકા છે. ગુજરાતની આ પાંચમી હોસ્પિટલ છે, જેમાં ઓગસ્ટ મહિના બાદ આગ લાગી છે અને હજી તમામ આગકાંડમાં સરકાર જ કરી રહી છે. જેમાં સરકારની બેદરકારી સામે આવી રહી છે. પરંતુ અનેક લોકો એવા છે જે આવી આગકાંડમાં જીવ સટોસટના ખેલ ખેલીને રેસ્ક્યૂ કામગીરી કરે છે. ત્યારે રાજકોટના આ અગ્નિકાંડમાં ઉદય શિવાનંદ હોસ્પિટલનો એક કર્મચારી સુપરહીરો બનીને ઉભર્યો છે. 

આ પણ વાંચો : રાજકોટ આગમાં હોમાયેલા સંજય રાઠોડના પરિવારે કહ્યું, ‘4 કરોડ આપે તો પણ ગયેલી વ્યક્તિ પાછી આવવાની નથી’

અજય વાઘેલાએ 7 દર્દીના જીવ બચાવ્યા 
રાજકોટ હોસ્પિટલની આગમાં હોસ્પિટલના અજય વાઘેલા નામના કર્મચારીએ કાબિલેદાદ કામગીરી કરી છે. હોસ્પિટલમાં આગ લાગતા જ અનેક દર્દીઓને બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરાઈ હતી. ત્યારે અજય વાઘેલાએ સાત દર્દીઓના જીવ બચાવ્યા હતા. તેણે સાતેય દર્દીઓને પોતાના ખભા પર ઉંચકીને અગાશી સુધી પહોંચાડ્યા હતા.  

7 દર્દીઓને ખભા પર ઉંચકીને બે માળ ચઢ્યો 
એક તરફ આગ લાગી હતી, ત્યાં પોતાના જીવના જોખમે અજય વાઘેલાએ બે માળ ચઢીને સાત દર્દીને બચાવ્યા હતા. એક બોરી ઉંચકવી પણ અઘરી બની રહે ત્યાં અજય વાઘેલા સાત દર્દીઓને ખભે બેસાડીને બે માળ ચઢી ગયો હતો. ત્યારે આ કામગીરી બાદ તેની વાહવાહી થઈ હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, કેટલાક દર્દીઓનું વજન વધુ હતું. ઊંચકીને બે માળ ચઢવું પણ અઘરુ બન્યું હતું. પરંતુ ભગવાનનું નામ લઈને કોરોનાના દર્દીને ખભા પર ઊંચકીને વારાફરતી છેક અગાશી સુધી મૂકી આવ્યો. સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની ભારોભાર પ્રશંસા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news