રાજકોટ અગ્નિકાંડની ચાર્જશીટની અંદર શું? 15 આરોપી, 365 નિવેદન, ફરિયાદી કે સાક્ષી હોસ્ટાઇલ નહિ થઈ શકે

Rajkot Game Zone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 જીંદગી હોમાઈ ગઈ. બે મહિને રાજકોટ પોલીસે અંદાજીત 1 લાખ પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી, ત્યારે આ ચાર્જશીટમાં અંદર શું છે તે જોઈએ

રાજકોટ અગ્નિકાંડની ચાર્જશીટની અંદર શું? 15 આરોપી, 365 નિવેદન, ફરિયાદી કે સાક્ષી હોસ્ટાઇલ નહિ થઈ શકે

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 જીંદગી હોમાઈ ગઈ. બે મહિને રાજકોટ પોલીસે અંદાજીત 1 લાખ પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની SIT દ્વારા 365 સાક્ષી, 59 જ્યુડિશિયલ કન્ફેશન્સ, 15 આરોપી અને 15000 દસ્તાવેજી પુરાવાના પેજ સાથે અંદાજીત 1 લાખ પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. 25 મે, 2024ના સાંજે 5:34 વાગ્યે લાગેલી આગે ગણતરીની સેકન્ડમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 27 જીંદગી આગમાં હોમાઈ ગયા બાદ 24 જુલાઈ, 2024ના બે મહિના પુરા થતા પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. માત્ર એટલું જ નહીં, કોર્ટમાં સાક્ષી ફરે નહીં એ માટે અલગ અલગ બે ફરિયાદમાં કલમ 164 મુજબ 59 લોકોના જ્યુડિશિયલ કન્ફેશન્સ લેવામાં આવ્યા છે. તેમજ પ્રકાશ જૈનનું મોત થઈ ગયું હોવાથી આરોપીઓએ તેને જ હથિયાર બનાવી છટકબારી શોધી હતી.

  • 59 દિવસમાં 1 લાખ પેજની ચાર્જશીટમાં 15000 દસ્તાવેજી પુરાવા
  • પૂર્વ TPO મનસુખ સાગઠિયાના 50 પેજનો ડ્રાફ્ટ, 10 પેજનું માસ્ટર નિવેદન
  • 365 જેટલા લોકોના નિવેદન નોંધી 59 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી

ક્રાઇમ બ્રાન્ચની SITના અધ્યક્ષ ભરત બસિયાએ માહિતી આપતા કહ્યું હતું કે, ચાર્જશીટમાં 365 જેટલા લોકોના નિવેદન નોંધી 59 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. તપાસ દરમિયાન કુલ 500થી વધુ લોકોનું ઇન્ટ્રોગેશન અને પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. સૌથી મોટો પડકાર એ હતો કે કોઈ પણ આરોપીઓની પુછપરછ કરીએ તો પ્રથમ તેઓ સીધો જવાબ આપવાના બદલે કોઈ પણ માહિતી અંગે તેઓ કશું જાણતા નથી પ્રકાશને ખબર છે તેવું કહેતા હતા. આરોપીઓ જાણતા હતા કે આરોપી પ્રકાશ જૈનનું પણ આગમાં મૃત્યુ થઈ ચૂક્યું છે. આરોપીઓ પાસે કોઈ આધાર પુરાવા માંગવામાં આવે તો બધું બળીને ખાખ થઇ ગયું છે તેવો જવાબ આપતા હતા. પરંતુ પોલીસે એક એક કડી મેળવી અને પુરાવાઓ એકત્ર કર્યા છે.

કોર્ટમાં આરોપી નિવેદનમાં ફરી નહિ શકે : SIT અધ્યક્ષ
એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું કે, TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં પોલીસે સંયમ સાથે કામ લીધું છે. એક એક પુરાવા એકત્ર કર્યા જેથી નિર્દોષ ખોટી રીતે ફસાઈ ન જાય અને દોષિત બચી ન જાય. નાની વિગતો આવરી લેવમાં આવી હોવાથી જ આ કેસની 1 લાખ પેજની ચાર્જશીટ બની છે. સજ્જડ પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જે નિવેદનો લેવામાં આવ્યા છે તેમાં પણ તાલુકા પોલીસ સ્ટેશનની ફરિયાદ અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં કલમ 164 મુજબ 59 લોકોના જ્યુડિશિયલ કન્ફેશન્સ મેળવવામાં આવ્યા છે. એટલે કે ભવિષ્યમાં કોઈ ફરિયાદી કે સાક્ષી હોસ્ટાઇલ થઇ શકશે નહીં. 

પૂર્વ TPO મનસુખ સાગઠિયાના નિવેદનનો 50 પેજનો ડ્રાફ્ટ
રાજકોટ મહાનગરપાલિકાના તાત્કાલિન સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયાએ બેજવાબદારી દાખવી હોવાથી જેલના સળિયા ગણી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની SIT ટીમે ધરપકડ કરી. અલગ અલગ સમયે લેવાયેલા નિવેદન તેમજ ધરપકડ બાદ લેવાયેલા નિવેદન મળી અંદાજે 50 પેજનો ડ્રાફ્ટ ચાર્જશીટમાં મુકવામાં આવ્યો છે. જેમાંથી 10 પેજનું માસ્ટર નિવેદન નોંધવામાં આવ્યું છે. TRP ગેમઝોન અંગે RMCની TP શાખાના અધિકારીઓએ અનેક બેદરકારી દાખવી હતી. 
- 'ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપ્યા બાદ જે તે ફાઈલ જે તે વોર્ડના આસિસ્ટન્ટ એન્જિનિયરને મોકલવી ફરજિયાત હોય છે. પરંતુ મુકેશ મકવાણાએ આ ફાઈલ પોતાના આસિસ્ટન્ટ એન્જિનિયરને મોકલી ન હતી. 
- આગ લાગ્યાના એક મહિના પૂર્વે એટલે કે 22.4.2024ના રોજ TRP ગેમ ઝોનના સંચાલકો દ્વારા ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ કાયદેસર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે ખરા અર્થમાં આ ગેમ ઝોન બાંધકામ ઇમ્પેકટ ફી કાયદા હેઠળ આવતું જ ન હતું. તેમ છતાં સંચાલકોની અરજી ઇન્વર્ટ કર્યા વગર ઇમ્પેકટ ફી મેળવી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
- અગ્નિકાંડ થતા ટીપી શાખાના અધિકારીઓને કૌભાંડમાં પોતે ફિટ થવાની ગંધ આવતા તેઓએ સરકારી પુરાવામાં ચેડાં કરી પુરાવાઓનો નાશ કરવા પ્રયત્ન કર્યો. 
- જાવક રજીસ્ટર સળગાવી દીધું હતું અને ડુપ્લીકેટ મિનિટ્સ બુક તૈયાર કરી દીધી હતી. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટીપી શાખાના અધિકારી વિરુધ્ધ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.'

15 ટકાનો ભાગીદાર રાહુલ રાઠોડે સ્ટ્રક્ચર કાકા પાસે ઉભું કરાવ્યું
TRP ગેમઝોનના માલીક મૃતક પ્રકાશ જૈન અને ધવલ ઠક્કર બિઝનેસ એક્સપાન્ડ કરવાનો નિર્ણય લીધા બાદ વર્ષ 2023માં રેસવે એન્ટરપ્રાઇઝ નામની પેઢી રજીસ્ટર્ડ કરાવી હતી. જેમાં ગો-કાર્ટિંગની પરવાનગી મેળવવામાં આવી હતી. આ રેસવે એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં પ્રકાશ જૈન 60%, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ 15-15% જયારે જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા 5-5 ટકાના ભાગીદાર હતા.ભાગીદાર રાહુલ રાઠોડ ગોંડલનો રહેવાસી છે. પોતે જ્ઞાતિએ લુહાર હોવાથી તેમના કાકાને કોન્ટ્રાકટ આપી પોતાની જાતે જ નિર્ણય કરી સ્ટ્રક્ચર તૈયાર કરી લીધી હતો. કોઈ જ એન્જીનીયર કે આર્કિટેકની મદદ લીધી નહતી. તેના જ કારણે તેમના બાંધકામમાં ખુબ મોટી ક્ષતિ રહી ગઈ હતી. એક પણ જગ્યાએ એક્ઝિટ ગેટ અલગ મુકવામાં આવ્યો ન હતો કે ન તો ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવી હતી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news