રાજ્યભરમાં સ્માર્ટ મીટર મુદ્દે કકળાટ, લોકો દ્વારા જોરદાર વિરોધ, કોંગ્રેસે પણ સરકારને ઘેરી

ગુજરાતમાં તાજેતરમાં સ્માર્ટ મીટરનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. તંત્ર દ્વારા સ્માર્ટ મીટર લગાવતા લોકો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે સરકારે નિર્ણય કર્યો કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. બીજીતરફ વિપક્ષે આ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યાં છે. 

રાજ્યભરમાં સ્માર્ટ મીટર મુદ્દે કકળાટ, લોકો દ્વારા જોરદાર વિરોધ, કોંગ્રેસે પણ સરકારને ઘેરી

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરનો કકળાટ ચાલી રહ્યો છે, રાજ્યના મહાનગરોમાં સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ થયો છે, લોકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવે છે, વિપક્ષે પણ સરકાર સામે આક્ષેપનો મારો કર્યો છે, ત્યાં રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે...શું છે આ નિર્ણય?...જુઓ આ અહેવાલમાં....

રાજ્યમાં સ્માર્ટ મીટરનો  જોરદાર વિરોધ
સ્માર્ટ મીટરનો જોરદાર વિરોધ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યો છે, વિરોધ એટલો ઉગ્ર બની ગયો કે, વીજ કંપનીઓએ પોતાના નિવેદન આપવા પડ્યા હતા...સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પારદર્શિતા આવશે અને વીજ ચોરી અટકશે...પરંતુ જ્યાં આ મીટર લાગ્યા છે ત્યાં પહેલાની સરખામણીએ વધુ બીલ આવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે...તો આ મામલે હાઈકોર્ટના પણ દ્વાર ખખડાવવામાં આવ્યા છે...વડોદરાના બાજવામાં રહેતા એક વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે અરજીમાં દાવો કર્યો છે કે સરકારે કોઈ પણ મંજૂરી વગર સ્માર્ટ મીટર લગાવ્યા છે.

કોંગ્રેસે સરકારને ઘેરી
તો વિરોધના વંટોળને કારણે વિપક્ષને પણ જાણે એક મુદ્દો મળી ગયો...વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આ મામલે સરકારને બરાબર ઘેરી...અમિત ચાવડાએ દાવો કર્યો કે, સરકાર ગરીબોને લૂંટવા માટે સ્માર્ટ મીટર લાવી છે, સરકારે કોઈ વિકલ્પ જનતાને આપવો જોઈએ.

અપક્ષ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
કોંગ્રેસ જ નહીં પરંતુ સત્તા પક્ષને સમર્થન કરનારા અપક્ષના ધારાસભ્યએ પણ સ્માર્ટ મીટર મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બાયડથી અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ સ્માર્ટ મીટરને મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેમણે માંગ કરી હતી કે, સ્માર્ટ મીટર અને સાદા મીટર વચ્ચેના તફાવતને જાણવા માટે જનતાને ઓછામાં ઓછો 60 દિવસનો સમય આપવો જોઈએ...હાલ જે ત્રણ દિવસનો જે સમય અપાઈ રહ્યો છે તેનાથી જનતા એ જાણી શકતી નથી કે સ્માર્ટ મીટર સારા છે.

રાજ્ય સરકાર એક્શનમાં
તો વિરોધ વધુ ઉગ્ર બનતા રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી હતી...MGVCLના MDને ગાંધીનગર બોલાવ્યા હતા....ઊર્જામંત્રી અને સચિવે MGVCLના MD પાસે વિગતો માંગી હતી....અને તાત્કાલિક જે સંશયો છે તેને દૂર કરવા આદેશ કર્યો હતો....તો લોકોને પડતી હાલાકી મામલે ઝી 24 કલાક પણ છેલ્લા કેટલાક દિવસોથી ધારદાર અહેવાલો બતાવી રહ્યું છે...ઝી 24 કલાકના અહેવાલો બાદ સરકાર હરકતમાં આવી અને સૌથી મોટો નિર્ણય હવે કર્યો છે...હવે જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે ત્યાં સાથે જૂના મીટર પણ યથાવત રાખવામાં આવશે....લોકોમાં જે ગેરસમજ છે તેને દૂર કરવા માટે સાદા મીટર પણ યથાવત રાખવાનો નિર્ણય કરાયો છે.

શું કર્યો સરકારે મોટો નિર્ણય? 
જ્યાં સ્માર્ટ મીટર લગાવાશે ત્યાં જૂના મીટર પણ યથાવત રખાશે
લોકોમાં ગેરસમજ દૂર કરવા સાદા મીટર પણ યથાવત રખાશે 

સ્માર્ટ મીટરની સરકારની પહેલ એક સારી વસ્તુ છે, સ્માર્ટ મીટરથી વીજ ચોરી અટકશે, સાથે જ રોજ કેટલો વપરાશ થાય છે તે જાણી શકાશે...જો કે એડવાન્સ રિચાર્જ કરાવવાનું હોવાથી સામાન્ય લોકોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે....તો વધુ બીલ આવતું હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે તે મામલે સરકારે જૂના મીટર પણ યથાવત રાખવાનો જે નિર્ણય કર્યો છે તેનાથી જે ગેરસમજ ઉદભવી છે તે દૂર કરી શકાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news