Morbi Bridge Tragedy: શંકરસિંહ વાઘેલાએ HCના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર, સુઓમોટો લેવા કરી માંગ

મોરબી કેબલ બ્રિજ પુલ તૂટવાને કારણે અત્યાર સુધી 135 લોકોના મોત થયા છે. આ અંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ દુર્ઘટનામાં સુઓમોટો લઈ તપાસ કરવાની માંગ કરી છે. 

Morbi Bridge Tragedy: શંકરસિંહ વાઘેલાએ HCના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર, સુઓમોટો લેવા કરી માંગ

ગૌરવ પટેલ, અમદાવાદઃ રવિવારે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાને કારણે 135 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાત સહિત દેશમાં પડ્યા છે. ઝૂલતો પુલ તૂટવાને કારણે બાળકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. રાજ્ય સરકારે કમિટી રચી છે અને બ્રિજ શા કારણે તૂટ્યો તેની તપાસ ચાલી રહી છે. આ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી સુઓમોટો લેવાની માંગ કરી છે. 

શું બોલ્યા શંકરસિંહ વાઘેલા
મોરબી દુર્ઘટના પર શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી સુઓમોટો લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યની સરકાર ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવવા ટેવાયેલી છે. તેમણે કહ્યું કે બધા લોકો પર કેસ દાખલ કરવામાં આવે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કેપેસિટી કરતા વધુ લોકોને જવાની મંજૂરી કોણે આપી હતી. તેમણે કહ્યું કે દર વર્ષે ટિકિટનો ભાવ 2 રૂપિયા વધારવાની મંજૂરી સાથે બ્રિજનું સંચાલન ઓરેવા કંપનીને સોંપવામાં આવ્યું હતું. 

પોલીસ માત્ર ટિકિટ ફાડનારની ધરપકડ કરે છે
શંકરસિંહે કહ્યુ કે ઓરેવા કંપનીએ 10 વર્ષ પુલ ચલાવવાનો દાવો કર્યો અને પુલ ખુલ્લો મુકીને લોકોને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે પોલીસ પર દયા આવે છે કે તે ટિકિટ ફાડનારની ધરપકડ કરે છે. તેમણે કહ્યું કે બાજુમાં રહેતા તરવૈયાએ લોકોને બચાવ્યા હતા. શંકરસિંહે મોટો આરોપ લગાવતા કહ્યું કે આ કુદરતી નહીં માનવ સર્જિત હોનારત છે. 

શંકરસિંહે કહ્યુ કે પ્રધાનમંત્રી મોદી ટોપી પહેરી ગળામાંથી મગરના આંસુ સારે છે. અંગ્રેજો પણ ટોપી ઉતારી શ્રદ્ધાંજલિ આપતા હતા. તેમણે કહ્યું કે લગ્ન સમારોહ હોય તેમ હોસ્પિટલમાં કલર કામ કરાવવામાં આવ્યું. તે લોકોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે. તેમણે કહ્યું કે જે દર્દીનો પાટો 3 ઇંચનો ન હતો અને પ્રધાનમંત્રી આવતા ગુજરાતના વિકાસની જેમ ત્રણ ફુટનો થઈ ગયો હતો. તેમણે કહ્યું કે લેવલ વિનાના લોકો દેશમાં ઉચ્ચ સ્થાને બેઠા છે. 

તેમણે કહ્યું કે ગુજરાતની પ્રજા 25 વર્ષથી લોકોના માર્કેટિંગથી મુર્ખ બની રહી છે. આ લોકો માટે આફત નહીં અવસર છે. તેમણે કહ્યું કે કઈ ભાષાનો ઉપયોગ કરવો એ લોકોને ભાન નથી. તેમણે મોટો આરોપ લગાવતા કહ્યું કે પ્રધાનમંત્રીના પદને પટ્ટાવાળાનું પદ બનાવી દીધુ છે. તેમણે કહ્યું કે આજે રાજીનામુ માંગવાનો કોઈ અર્થ નથી. આ સરકાર બે મહિના પછી રહેવાની નથી. તેમણે કહ્યું કે રાજીનામું માંગવાથી જે લોકોનું અવસાન થયું છે તે પરત આવશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news