માતાએ પ્રેમમાં દીકરીનો જ કાંટો કાઢી નાંખ્યો, અડધી રાતે મારીને પ્રેમી સાથે અપહરણનું નાટક રચ્યું

માતાએ પ્રેમમાં દીકરીનો જ કાંટો કાઢી નાંખ્યો, અડધી રાતે મારીને પ્રેમી સાથે અપહરણનું નાટક રચ્યું
  • ગઈકાલે મહેસાણા-ગાંધીનગર લીંક રોડ પરના ખુલ્લા ખેતરમાંથી સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા થયેલી લાશ મળી હતી
  • ગળામાં દુપટ્ટો વીંટાયેલો હોવાથી ગળે ફાંસો આપી હત્યા કરી હોવાની આશંકા હતી
  • માતાના પ્રેમ પ્રકરણમાં બાળકી કાંટો હોવાનું સમજી પ્રેમી સાથે મળી કરી બાળકીની હત્યા

તેજસ દવે/મહેસાણા :મહેસાણા શહેરમાં ગાંધીનગર લિંક રોડ ઉપર ખુલ્લા ખેતરમાંથી સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા થયેલી લાશ મળતા ચકચાર મચી ગઇ હતી.  ગોકુલધામ ફ્લેટ સામે ઝુંપડામાં રહેતા પરિવારમાં રાત્રે માતા પાસે સુઈ રહેલી બાળકી 3 વાગે ગુમ થઇ હતી. રાત્રિ દરમ્યાન શોધખોળ બાદ આખરે વહેલી સવારે નજીકના ખેતરમાંથી મૃત હાલતમાં મળી હતી. ત્યારે મહેસાણા એલસીબીએ ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. પ્રેમ પ્રકરણમાં બાળકીની હત્યા થઈ હોવાનૉ ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો હતો. જન્મ આપનારી માતાએ જ બાળકીની હત્યા કરી હતી. પ્રેમી સાથે મળી માસૂમ બાળકીને સગી જનેતાએ જ મોતને ઘાટ ઉતારી હતી. માતાના પ્રેમ પ્રકરણમાં બાળકી કાંટો હોવાનું સમજી તેણે પ્રેમી સાથે મળીને બાળકીની હત્યા કરી હતી. 

મહેસાણા ગાંધીનગર લિંક રોડ પર ગોકુલધામ ફ્લેટ આવેલ છે. આ ફ્લેટ સામે ઝૂંપડપટ્ટી આવેલી છે. જેમાં રાધિકાબેન નામની મહિલા રહે છે. રાધિકાબેન મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. જેને સાડા ત્રણ વર્ષની દીકરી સોનાક્ષી છે. રાધિકાબેન મોડી રાત્રે દીકરી સોનાક્ષીને લઈને સૂઈ ગઈ હતી. લગભગ ત્રણ વાગ્યાની આસપાસ તેમની આંખ ખૂલતા જોયુ કે સોનાક્ષી બાજુમાં ન હતી. તેમણે ભારે શોધખોળ બાદ આસપાસના મજૂરોને જગાડ્યા હતા. જેઓએ પણ સોનાક્ષીની શોધખોળ કરી હતી. 

મહેસાણા-ગાંધીનગર લિંક રોડ પરના ખેતરમાં બાળકીની લાશ મળી, ગળે દુપટ્ટો વાળેલો હતો

આખરે બાળકી સોનાક્ષીની લાશ પાસેના એક ખેતરમાં મળી આવી હતી. સવારે સાત વાગ્યે સોનાક્ષીનો મૃતદેહ મળ્ય હતો. જેમાં તેને દુપટ્ટા વડે ફાંસો આપવામાં આવ્યો હતો. બાળકી જ્યારે મળી ત્યારે તેના ગળે દુપટ્ટો વીંટાળાયેલી હાલતમાં હતો. તેથી પ્રાથમિક તપાસમાં, બાળકીને ગળે ટૂંપો આપી તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાસ્થળે જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને એ ડિવિઝન પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, બાળકીની માતા રાધિકાબેનને પતિ સાથે મતભેદ હોવાથી તે તેને લઈને અલગ રહેતી હતી. તેઓ સાસરીમાંથી રિસાઈને મહેસાણા કાકાને ત્યા આવીને મજૂરીકામ કરતા હતા. અને બાળકી તેના પિતા દ્વારા તરછોડાયેલી હતી. બાળકીની માતાને આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જ એક પરિણીત યુવક સાથે પ્રેમસંબંધ હતો. જ્યારે તેનો પતિ બીજી મહિલા સાથે રહે છે. પ્રેમી સાથે જવું હોઇ આ બાળકી કાંટારૂપ હોઇ તેના પ્રેમી સાથે મળીને જ હત્યા કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news