તું જા હું આવું જ છું..: ગુજરાત ભાજપમાં જોડાવવા કોંગ્રેસીઓએ કેમ લગાવી છે લાઈન, આ છે 10 કારણો

Loksabha Election 2024: એક સમયે ગુજરાતમાં દબદબો ધરાવતી કોંગ્રેસ માટે હાલમાં અસ્તિત્વનો સવાલ છે. કોંગ્રેસ ઝઝૂમી રહી છે પણ શા માટે કોંગ્રેસીઓને ભાજપ વ્હાલી લાગી રહી છે એ માટે જુઓ 10 કારણો.. છેલ્લા 2 દાયકામાં 300થી વધારે નેતાઓ અને 60 હજાર કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. તમને પણ વિશ્વાસ ના થતો હોય તો આ રિપોર્ટ જોઈ લો...

તું જા હું આવું જ છું..: ગુજરાત ભાજપમાં જોડાવવા કોંગ્રેસીઓએ કેમ લગાવી છે લાઈન, આ છે 10 કારણો

Gujarat Politics: તુ જા હું આવું જ છું... એક બાદ એક નેતાઓ કોંગ્રેસને અલવિદા કરી રહ્યાં છે. આજે બનાસકાંઠામાંથી ડીડી રાજપૂત ભાજપમાં જોડાઈ ગયા. ભાજપ દેશનું સૌથી મોટું લોન્ડ્રી મશીન હોય તેમ ભાજપમાં જોડાનારા આ નેતાઓ મશીનમાંથી સાફ થઈને ચકચકાટ થઈ રહ્યાં છે. ગુજરાતમાં કોંગ્રેસનો સૂરજ અસ્ત થઈ રહ્યો છે. ગુજરાતને કોંગ્રેસમુક્ત કરવાનાં સપનાં જોતી ભાજપ ભલે કોંગ્રેસયુક્ત થઈ રહી હોય પણ ધીરે ધીરે કોંગ્રેસના ગઢનાં કાંગરા ખરી રહ્યાં છે. જેને પગલે કોંગ્રેસને લોકસભાના ઉમેદવાર મળી રહ્યાં નથી.

શા માટે કોંગ્રેસી નેતાઓને ભાજપ વ્હાલી લાગવા લાગી

2002થી અત્યારસુધીમાં 300થી વધારે કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. જેમાં કહી ખુશી કહી ગમનો માહોલ હોવા છતાં આજે પણ કોંગ્રેસીઓ ભાજપમાં લાલજાજમ પથરાય એની રાહ જોઈને બેઠા છે. એક સમયે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો, પણ હવે ધીમે ધીમે નેતાઓ કોંગ્રેસને દૂરથી સલામ કરી રહ્યાં છે. ગુજરાત ભાજપમાં આજદીન સુધી 300થી વધારે નેતાઓ અને 60 હજાર કાર્યકરો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. એટલે હવે ફરી એક સવાલ છે કે શા માટે કોંગ્રેસી નેતાઓને ભાજપ વ્હાલી લાગવા લાગી છે. 

ભાજપનું 30 વર્ષથી એકહથ્થુ શાસન
ગુજરાતમાં ભાજપનો દબદબો છતાં મતબેંકની ટકાવારી જોઈએ તો આજે પણ કોંગ્રેસની પરંપરાગત વોટબેંક મૂળ કોંગ્રેસીઓને મત આપે છે. ગુજરાતમાં ભાજપ સરકાર, સત્તા અને સંગઠનના જોરે 30 વર્ષથી એકહથ્થુ શાસન ચલાવી રહી છે. એક સમયે 77 વિધાનસભાની સીટો જીતીને કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપી હતી, પણ દિલ્હી હાઈકમાનની નિષ્ક્રિયતા, ફંડનો અભાવ સહિતના કારણોને પગલે ગુજરાતમાં હવે કોંગ્રેસનું ધીરેધીરે અસ્તિત્વ ભૂંસાઈ રહ્યું છે. અહીં આપણે અહીં એવા 10 કારણો અંગે જાણીશું જેનાથી કોંગ્રેસને ગુજરાતમાં ફટકો પડી રહ્યો છે. 

1. ગુજરાતમાં કોંગ્રેસ 30 વર્ષથી સત્તાથી દૂર
ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર છે. મોદી સીએમ બન્યા બાદ આ ખાઈ વધતી ગઈ છે અને આજે ભાજપ ગુજરાતમાં નવો રેકોર્ડ બનાવીને વિધાનસભામાં જીતી છે. કોંગ્રેસ પાસે વિરોધપક્ષનો નેતા ચૂંટવા જેટલા પણ સભ્યો નહોતા રહ્યાં. ગુજરાતમાં ધીરેધીરે કોંગ્રેસ પોતાની પરંપરાગત મતબેંક ગુમાવી રહી છે. ભાજપે સરકાર સાથે સંગઠનમાં પણ કામગીરી કરતાં આજે ગુજરાત ભરમાં ભાજપનો દબદબો છે. કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી સત્તા માટે પ્રયાસો કરી રહી છે પણ દૂર રહી છે.

2. આગામી એક દાયકા સુધી સત્તા પરિવર્તનના નથી ચાન્સ
હાલમાં ગુજરાતમાં ધીરેધીરે કોંગ્રેસનું અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે અને આગામી એક દાયકા સુધી સત્તા પરિવર્તનના કોઈ ચાન્સ નથી. ભાજપ હાલમાં સરકાર અને સંગઠન બંનેમાં મજબૂત બની ગઈ છે. ગુજરાતના મતદારો પણ સારી રીતે જાણે છે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ મતલબ નથી. હાલમાં સ્થિતિ એવી છે કે આગામી 10 વર્ષ સુધી એ ગુજરાતમાં સત્તા હાંસલ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણ કે સંગઠનના ઠેકાણા નથી અને નેતાઓ ભાજપ તરફ નજર કરીને બેઠા છે. 

3. નેતાઓની વધતી જતી ઉંમર, પણ ભવિષ્યના કોઈ ઠેકાણા નથી
ગુજરાત કોંગ્રેસના હાલના નેતાઓ છેલ્લા 2 દાયકાથી કોંગ્રેસને ફરી બેઠા કરવા મથી રહ્યાં છે. આમ છતાં કોંગ્રેસ ફરી સત્તામાં આવી શકી નથી. નેતાઓની ઉંમર વધતી જાય છે. તેઓ સારી રીતે સમજી ચૂકયા છે કે આગામી 10 વર્ષ સુધી ફરી સત્તા આવે તેવી સંભાવના નથી. તેઓ રાજકારણમાં જોડાયા છે, પણ ક્યારેય પદ નહીં મેળવી શકે. આખી જિંદગી ઘસાશે તો પણ સત્તા નહીં મળે તેવુ નેતાઓ સમજી ગયા છે. આ સ્થિતિમાં તેમની આગામી પેઢીને પણ રાજકારણનો લાભ નહીં મળે. કોંગ્રેસના નેતાઓને હવે ખુદ ભવિષ્ય ધૂધળું લાગવા લાગ્યું છે. તેઓ સમજી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસમાં પોતાનો સમય બગાડી રહ્યાં છે, એટલે લાલજાજમ ક્યારે પથરાય એની રાહ જોઈને બેઠા છે. તેઓ પણ સારી રીતે જાણે છે કે કોંગ્રેસમાં મળે છે એવું માનપાન ભાજપમાં નહીં મળે, ભાજપ ઉપયોગ કરીને ફેંકી દેશે આમ છતાં નેતાઓ લાઈનો લગાવી રહ્યાં છે.  

4. દિલ્હી હાઈકમાન્ડની ઉદાસીનતા, ફંડના ડખા
દિલ્હી હાઈકમાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ગુજરાત કોંગ્રેસ પર ઉદાસીનતા પણ એક કારણ છે. કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં અવગણના થઈ રહી છે. ગણતરીના નેતાઓ રાહુલ ગાંધીની જી હજૂરી કરીને સત્તાનો લાભ લઈ રહ્યાં છે. 2019ની વિધાનસભાની ચૂંટણીની રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ રીતસર અવગણના કરી હતી. દિલ્હીથી કોઈ મોટા નેતાઓ ગુજરાતમાં સભા માટે આવ્યા નહોતા. હવે કોંગ્રેસ રીતસર ફંડ માટે ઝઝૂમી રહી છે ત્યાં ચૂંટણી લડવા માટે ફંડ પણ સ્થાનિક નેતાઓએ ખિસ્સામાંથી કાઢવું પડે તેવી સ્થિતિ છે. ટિકિટ મળનાર પણ સારી રીતે જાણે છે કે ઘરનું ગોપીચંદન ઘસવાનું છે અને જીત માટે કોંગ્રેસ તરફથી કોઈ સપોર્ટ મળવાનો નથી. એટલે નેતાઓ હવે દૂર ખસી રહ્યાં છે.

5. એકના એક નેતાઓનો ગુજરાત કોંગ્રેસ પર દબદબો
ગુજરાતમાં કોંગ્રેસના પદ પર એક-બે ને તીનની જેમ સંતાકૂકડી રમાતી હોય તેમ નેતાઓ એક બાદ એક રીપિટ થઈ રહ્યાં છે. સત્તામાં પણ ભાગીદાર હોય એમ વારા પછી વારો તારા પછી મારાની જેમ નેતાઓ રીપિટ થઈ રહ્યાં છે. કોંગ્રેસમાં નવી કેડરની ભરતી જ થતી નથી કે નથી મળતો ચાન્સ, જેને પગલે ઘણા કાર્યકરો ધીરેધીરે કોંગ્રેસથી નારાજ થઈને નિષ્ક્રીય થઈ ગયા છે. 

6. રાજકારણમાં ઘસાવા છતાં નેતાઓ પદથી વંચિત
ગુજરાતમાં એક સમયે કોંગ્રેસમાં જબરદસ્ત સંગઠન અને કાર્યકરોની ફૌજ હતી. એક સમયે રાજીવ ભવન કાર્યકરોથી ઉભરાતું હતું, હવે ત્યાં કાગડા ઉડી રહ્યાં છે. રાજકારણમાં વર્ષોથી ઘસાવવા છતાં ઘણા કાર્યકરો પદથી વંચિત રહ્યાં છે. જેને પગલે હાલની સ્થિતિ એવી છે કે ઘણા જિલ્લાઓમાં સંગઠનનો અભાવ છે. પ્રદેશ કક્ષાએ નેતાઓ જ ન બદલાતા કોંગ્રેસ માટે ઘસાતા કાર્યકરોએ કારકીર્દીને ધ્યાને રાખીને કોંગ્રેસથી દૂરી બનાવી લીધી છે. 

7. ધંધા પર અસર, સત્તા સાથે વેર બાંધીને ધંધો થતો નથી
ગુજરાતમાં કોંગ્રેસ માટે જાત ઘસી નાંખનાર નેતાઓને કોંગ્રેસમાં રહીને સરકાર અને સંગઠન સામે વિરોધ કરવો હવે ભારે પડી રહ્યો છે. જેની અસર તેમના ધંધા પર પડી રહી છે. સત્તા ભાજપ પાસે હોવાથી આ નેતાઓને નવી મંજૂરીઓ, નવા કોન્ટ્રાક્ટ પર અસર પડી રહી છે. સત્તા તો મળી રહી નથી, પણ ધંધા પર પણ અસર પડતાં કેટલાક નેતાઓ જાણી જોઈને ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ સારી રીતે જાણે છે કે સત્તા સાથે વેર બાંધીને ધંધો થઈ શકવાનો નથી. કોંગ્રેસમાં સંગઠનનો અભાવ પણ નેતાઓની નારાજગીનું કારણ બની રહ્યું છે. 

8. કોંગ્રેસને બેઠી કરી શકે તેવા નેતાઓનો અભાવ
ગુજરાત કોંગ્રેસને બેઠી કરી શકે તેવી નેતાઓનો અભાવ પણ ભાજપમાં જોડાવાનું કારણ છે. કોંગ્રેસે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરથી લઈને જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ માટે દરવાજા ખોલ્યા હતા. જૂના જોગીઓ તો વર્ષોથી ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા મથી રહ્યાં છે. હાઈકમાને નવા નેતાઓને કમાન સોંપી કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયાસ કર્યો છે પણ આ તમામ નેતાઓ ફેલ ગયા છે. હાલમાં કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપી કોંગ્રેસ માટે એક જુગાર ખેલ્યો છે, પણ કોંગ્રેસના આ શક્તિ પણ ફેલ ગયા છે. જેઓ સંગઠનમાં નવો જુસ્સો જગાવી શક્યા નથી અને નેતાઓને ભાજપમાં જતા રોકી શક્યા નથી.  

9. પોતાની સીટ ન બચાવી શકતા નેતાઓની જી હજૂરી, મોટા નેતાઓનું ભાજપ સાથે ગઠબંધન
ગુજરાતમાં જેમની પાસે પદ છે એ એવા નેતાઓ છે પોતાની સીટ બચાવી શકે તેની કોઈ ગેરંટી નથી. ભૂંડી હાર મળવા છતાં આ નેતાઓ પદ પર ચીપકીને બેઠા છે. જેઓ પોતાની સીટ બચાવવા સંગઠન બનાવી શક્તા નથી તે નેતાઓ ગુજરાત કોંગ્રેસને બેઠી કરવાનું આયોજન ઘડી રહ્યાં છે. ઘણા એવા નેતાઓ છે જે પોતાની સીટ પર હારી ચૂક્યા છે છતાં ફરી પદ પર બેસીને નવા નેતાઓને આદેશ કરવા લાગે છે. આ નેતાઓ કોંગ્રેસને જીતાડવાની રણનીતિ ઘડે છે પણ પોતાની સીટ બચાવી શકતા નથી. આમ પોતાના મત વિસ્તારમાં જ દબદબો ન ધરાવનાર નેતાઓ ગુજરાત કોંગ્રેસને ભાજપ સામે જીતાડવાના દાવાઓ કરે છે. જેના પગલે ગુજરાત કોંગ્રેસનું ધીરેધીરે અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે.

10. હકીકત તો એ છે કે કોંગ્રેસ પાસે ફંડ નથી 
કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમના પીછેહઠનું એક ચોક્કસ કારણ છે. ભાજપ હાલ 26 બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે તમામ દાવપેચ અજમાવી રહ્યું છે. આ કારણે કોંગ્રેસનું મનોબળ તૂટી ગયું છે. આ કારણે કેટલાય સારા નેતાઓએ ચૂંટણી લડવાથી પીછેહઠ કરી છે. સિનિયર નેતાઓએ ચૂંટણી લડવાની પહેલાથી જ અનિચ્છા દર્શાવી દીધી છે. તેમજ કેટલાકના નામ જાહેર થયા તો તેમણે પાછળથી ના પાડી. આમ, આ પીછેહઠનું મુખ્ય કારણ ફંડ છે. પાર્ટી પાસે હાલ એટલું ફંડ નથી કે તે નેતાઓને ચૂંટણી લડાવી શકે. સૌ જાણે છે કે લોકસભાની સીટ લડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય આમ છતાં જીતવાની ગેરંટી નથી, આ સિવાય એકવાર હાર્યા બાદ હારનો થપ્પો લાગતાં ભવિષ્યમાં કોંગ્રેસના પદો પર પણ જોખમ આવે એટલે નેતાઓ ચૂંટણી લડવાથી પિછેહટ કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news