જામનગર મહાનગરપાલિકામાં રૂ.610.49 કરોડનું બજેટ કરાયું રજૂ

કોરોના અને ચૂંટણીને કારણે વિલંબથી રજૂ થયેલાં 610.49 કરોડના બજેટમાં કોઇપણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી. વર્ષના અંતે 203 કરોડની પૂરાંત દર્શાવવામાં આવી છે. 

જામનગર મહાનગરપાલિકામાં રૂ.610.49 કરોડનું બજેટ કરાયું રજૂ

મુસ્તાક દલ, જામનગર: કોરોના કાળમાં જામનગર મહાપાલિકાના વર્ષ 2021-22ના કોઇપણ નવા કરબોજ વગરના 610.49 કરોડના અંદાજપત્રનું જામ્યુકોની સ્થાયી સમિતિ દ્વારા બહાલી આપવામાં આવી છે. આ બજેટમાં કોરોનાને કારણે નવો કોઇ જ કર વધારો સૂચવવામાં આવ્યો નથી. હાલના જે દર છે તે દર યથાવત રાખવામાં આવ્યા છે. બજેટમાં ગત વર્ષ કોરોનાને કારણે અટકી પડેલાં આંતરમાળખાકિય કામોને પૂર્ણ કરવા પર જોર આપવામાં આવ્યું છે.

જામનગર મહાપાલિકાનું વર્ષ 2021-22નું અંદાજપત્ર આજે સ્થાયી સમિતિ અધ્યક્ષ મનિષ કટારિયાને સુપ્રત કરવામાં આવ્યું હતું. કોરોના અને ચૂંટણીને કારણે વિલંબથી રજૂ થયેલાં 610.49 કરોડના બજેટમાં કોઇપણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી. વર્ષના અંતે 203 કરોડની પૂરાંત દર્શાવવામાં આવી છે. 

કોરોના કાળને કારણે વિલંબથી રજૂ થયેલાં આ બજેટમાં નવા વેરા કે નવા કામોના સમાવેશનો કોઇ અવકાશ ન હોય કોઇપણ જાતના ખચકાટ કે વિલંબ વગર સ્થાયી સમિતિ દ્વારા આ બજેટને બહાલી આપી દેવામાં આવી હતી. આગામી 30 માર્ચે યોજાનારી જામ્યુકોની સામાન્ય સભાની બજેટ બેઠકમાં બજેટ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ બહાલી આપવામાં આવશે.

આજે રજૂ કરાયેલા બજેટમાં ગત વર્ષ કોરોનાને કારણે અટકી પડેલાં કે વિલંબથી ચાલી રહેલાં વિકાસ કામોની વેગ આપી પૂર્ણ કરવા તરફ જોર આપવામાં આવ્યું છે. આ વર્ષે ‘નલ સે જલ’ અભિયાન અંતર્ગત શહેરમાં પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભું કરવા માટે નવા 25 કરોડના કામો હાથ ધરવામાં આવશે. 

જયારે સાથે-સાથે ભૂગર્ભ ગટર નેટવર્ક ઉભું કરવા માટે પણ 61.79 કરોડના કામો હાથ ધરવામાં આવશે. જયારે શહેરમાં સડક યોજના અને લોકભાગીદારી અંતર્ગત રપ કરોડના ખર્ચે ડામર અને સિમેન્ટ રોડનું નિર્માણ કરવામાં આવશે. આંતરમાળખાયિક સુવિધાના કામો અંતર્ગત ટાગોર કલ્ચરલ કોમ્પ્લેક્ષનો ડીપીઆર તૈયાર કરી લેવામાં આવ્યો છે. જે અંગે ગ્રાન્ટ પ્રાપ્ત થયાં બાદ કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે.

લાલપુર બાયપાસ પાસે નવું સ્મશાન બનાવવામાં આવશે. તેમજ સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધીના રીંગરોડને પહોળો બનાવવામાં આવશે. જયારે બીજા તબકકામાં વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર સુધીના રીંગરોડનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1404 આવાસ યોજનાનું રી -ડેવલોપમેન્ટ કરવામાં આવશે. 

જે અંગેના ડીપીઆર તૈયાર કરવામાં આવી રહયા છે. જામનગરના નવા વિસ્તરેલાં વિસ્તારોને ધ્યાનમાં રાખી શહેરમાં હાપા અને લાલપુર બાયપાસ પાસે બે નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જયારે રૂા. 2 કરોડના ખર્ચે ફાયરના નવા સાધનો વસાવવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news