પોલીસની છાપ સુધારવા ગૃહમંત્રીનો મેગા પ્લાન, ટુંક સમયમાં POLICE વિભાગની થશે કાયાપલટ!

પોલીસની છાપ સુધારવા ગૃહમંત્રીનો મેગા પ્લાન, ટુંક સમયમાં POLICE વિભાગની થશે કાયાપલટ!
  • અમદાવાદમાંથી 39 લાખથી વધારેનો દારૂ મળ્યો...
  • સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચ સામે ઉઠી રહ્યા છે સવાલો...
  • આખા પોલીસ બેડામાં PI થી લઇને LRD સુધી બદલીઓની શક્યતાઓ સેવાઇ રહી છે...

અમદાવાદ : નાગરિકોમાં પોલીસની છાપ સુધારવા માટે ગૃહ વિભાગ હાલ ખુબ જ કડક પગલા ઉઠાવી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવિૃતીઓને ડામવાના નામે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતા તોડ બાજીની છાપ સુધારવા માટે તમામ વિભાગો કાર્યરત છે. અમદાવાદમાં આજે બરોજમાં મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. સોલા વિસ્તારનાં વૈષ્ણોદેવી ટોલનાકા પાસે ડમ્પરમાંથી દારૂની 20724 દારૂની બોટલો અને બિયરની બોટલો ઝડપાઇ હતી. આની કિંમત 39 લાખથી વધારેની હતી. આ દરોડામાં સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠ્યા હતા. 

અમદાવાદમાંથી 39 લાખથી વધારેનો દારૂ મળ્યો...
અમદાવાદ શહેરમાં સોનુ નામનો બુટલેગર 2500 પેટીનું કટિંગ કરીને ખુલ્લેઆમ દારૂ વેચે છે. આ બુટલેગરે સોલા પોલીસ સ્ટેશનનાં ઉચ્ચ અધિકારી થકી IPS અધિકારીનો આશ્રય પ્રાપ્ત કર્યો હોવાનો પણ ગણગણાટ છે. જેના કારણે તેણે IPS અધિકારીના ઘરનું ફર્નિચર સહિતનું કામ કરાવી આપ્યું હતું. જેના કારણે હવે ગૃહમંત્રીએ પોલીસ સ્ટેશનના આખાને આખા સ્ટાફની બદલીઓ કરવાનો જ નિર્ણય લીધો છે. તેવામાં હવે સોલા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ જ બદલી થાય તેવી શક્યતા છે. 

સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચ સામે ઉઠી રહ્યા છે સવાલો...
અત્રે ઉલ્લેખનીય છે કે, એસપી રીંગ રોડ પર વૈષ્ણોદેવી ટોલનાકા નજીક ઓગણજમાંથી એક દારૂથી ખચોખચ ભરેલું ડમ્પર ઝડપાયું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલનાં દરોડાને પગલે સ્થાનિક પોલીસ અને એજન્સીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ અને ક્રાઇમબ્રાંચ પર સવાલો ઉઠ્યા બાદ હવે ગૃહમંત્રી પણ પોલીસની ઇમેજ સુધારવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. કાલે સુરતનાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સપાટો બોલાવ્યા બાદ હવે ગૃહમંત્રીસોલા પોલીસ સ્ટેશનમાં જ આ થિયરીથી બદલીઓ કરે તેવી શક્યતા છે. 

આખા પોલીસ બેડામાં PI થી લઇને LRD સુધી બદલીઓની શક્યતાઓ સેવાઇ રહી છે...
અત્રે ઉલ્લેખનીય છે કે, એક ચર્ચા અનુસાર ગૃહમંત્રીએ આવા મલાઇદાર પોલીસ સ્ટેશનોની યાદી પણ મંગાવી છે. આવા પોલીસ સ્ટેશનમાંથી તમામ સ્ટાફને ઉઠાવીને નવા સ્ટાફને જ બેસાડી દેવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. જો આવી તૈયારીઓ ચાલી રહી હોય તો ટુંક જ સમયમાં ગુજરાત વ્યાપી મોટા પાયે બદલીઓનો દોર આવે તેવી શક્યતા છે. જેમાં પીઆઇથી માંડીને એલઆરડી સુધીનો તમામ સ્ટાફ બદલી દેવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. જો કે કાર્યવાહી શું થાય તે તો આગામી સમય જ બતાવશે. 

ગૃહમંત્રીની ફોર્મ્યુલાથી વેપારીઓમાં પણ ખુશી...
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નો રિપીટ થિયરી પર કામ શરૂ કરી દીધું છે. જેની શરૂઆત સુરતથી કરવામાં આવી છે. જે પણ પોલીસ મથક બદનામ હોય તેવા તમામ પોલીસ સ્ટેશન અને તેના સ્ટાફનો થીયરીમાં સમાવેશ કરી લેવાયો છે. જે રીતે સલાબતપુરા પોલીસ મથકમાં 104 પોલીસ કર્મચારીઓને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, ત્યારે વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વેપારીઓની એવા આક્ષેપ હતો કે, ઠગબજો પોલીસની મદદથી ઉઠમણું કરી ભાગી જતા હતા. ત્યારે રાજ્ય સરકારના ગૃહમંત્રી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર બાદ વેપારીઓ શાંતિથી ધંધો કરી શકશે અને આગામી સમયમાં ઠગબજો પણ છેતરપીંડી કરતા વિચારશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news