ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-માર મારીને માંગી 5 કરોડની ખંડણી

હિંમતનગરના શખ્સે એકાદ માસ અગાઉ મુંબઈમાં રેડિમેડ યુનિફોર્મ અને ટોપીનો વ્યવસાય કરતાં વેપારીને ઓનલાઈન કસ્ટમર ઇન્કવાયરી મોકલી 1 લાખ ટોપી સ્વામીનારાયણ લખેલી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.

ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-માર મારીને માંગી 5 કરોડની ખંડણી

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ટોપી વેચવાના નામે ટોપી પહેરાવી પિતા પુત્ર પાસે પાંચ કરોડની ખંડણી માગ્યાનો બનાવ હિંમતનગરમાં બન્યો છે. હિંમતનગર માં પિતા-પુત્ર ને બાંધી રાખી માર મારીને 5 કરોડની ખંડણી માંગતા હિંમતનગર એ ડિવિઝન ખાતે 6 વિરુદ્ધ ફરિયાદ નોધાઈ. પોલીસે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા.

હિંમતનગર એ ડીવિઝન પોલીસ મથકે પાંચ કરોડની ખંડણી માંગવાનો મામલો સામે આવ્યો છે.હિંમતનગરના શખ્સે એકાદ માસ અગાઉ મુંબઈમાં રેડિમેડ યુનિફોર્મ અને ટોપીનો વ્યવસાય કરતાં વેપારીને ઓનલાઈન કસ્ટમર ઇન્કવાયરી મોકલી 1 લાખ ટોપી સ્વામીનારાયણ લખેલી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવવા વેપારી પિતા-પુત્રને રિટર્ન ટિકિટ મોકલી વિશ્વાસ કેળવી હિંમતનગર બોલાવી નેશનલ હાઈવે પર આવેલ સ્વામિનારાયણ મંદિર સામેના વરદા અક્ષરમ કોમ્પલેક્ષમાં આરોપીઓ ભાડે રાખેલ દુકાનમાં લઈ જઈ વાતોમાં પરોવી બંનેને પાછળથી પકડી લઈ ચાર શખ્સોએ આંખે પટ્ટી બાંધી તમારું અપહરણ થયું એમ કહી પહેલાં પાંચ કરોડની માગણી કરી ત્યારબાદ પચાસ લાખમાં માની જતા 50 લાખ મંગાવવા ફોન કરાવ્યો હતો. દરમિયાન મોટા પુત્રને શંકા જતા તેણે વિડીયો કોલ કરવાનું અને લોકેશન મોકલવાનું કહ્યુ હતુ. 

આ આ સમગ્ર મામલે આરોપીઓ પકડાઈ જવાની બીકે બંને પિતા પુત્રને છૂટા મૂકી તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે રાજકુમાર સંઘવી અને અન્ય અજાણ્યા પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ તો મુંબઈ રહેતા અને દાંતના ડોક્ટર પ્રશાંત કોઠારીએ રમેશ ટ્રેડિંગ કંપની નામથી ટોપી અને રેડિમેડ યુનિફોર્મનો વેપાર કરતાં તેમના પિતા રાજેન્દ્ર કોઠારી માટે પાંચેક વર્ષ પહેલા ઇન્ડિયા માર્ટ એપ્લિકેશન ઉપર રમેશ ટ્રેડિંગ કંપની નામથી એકાઉન્ટ બનાવ્યું હતું. હિંમતનગરના રાજકુમાર સંઘવીએ કસ્ટમર ઇન્કવાયરી મોકલી હતી. સ્વામિનારાયણ લખેલી એક લાખ ટોપીની જરૂરિયાત છે ત્યારબાદ અલગ અલગ ટોપીઓના ફોટા મોકલી આપ્યા હતા. પિતા-પુત્રને હિંમતનગરના સ્વામિનારાયણ મંદિર આવી મંદિરના પ્રમુખને સેમ્પલ બતાવી ઓર્ડર કન્ફર્મ કરવાનું કહ્યું હતું. 

ત્રણેક દિવસ અગાઉ ટોપીઓના સેમ્પલ તૈયાર થયા છે કે નહીં એ બાબતે પૂછી બંને પિતા પુત્રની અમદાવાદથી મુંબઈ પરત જવાની ટિકિટ વોટ્સએપ કરી હતી. જેથી બંને પિતા-પુત્ર હિંમતનગર આવવા નીકળ્યા હતા અને અમદાવાદ ઉતરતા રાજકુમાર સંઘવીએ બુક કરાવેલ કેબમાં બેસી હિંમતનગર પહોંચ્યા હતા અને સ્વામિનારાયણ મંદિર આગળ ઉતરી રાજકુમાર સંઘવીને ફોન કરતા તેણે ડ્રાઇવરને મંદિરની સામેની બાજુ આવેલ કોમ્પ્લેક્સ આગળ ઉતારવા જણાવ્યું હતું. ત્યાં પહોંચતા એક માણસ બંને જણાને કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોરની પ્રથમ દુકાનમાં લઈ ગયો હતો. જ્યાં રાજકુમાર અને તેની સાથેનો વ્યક્તિ ટોપીના સેમ્પલ જોવાના બહાને વાતચીત કરી રહ્યો હતો. તે દરમિયાન દુકાનના પાર્ટીશન પાછળથી મોઢા પર માસ્ક પહેરેલા ચાર શખ્સો આવી ગયા હતા અને પ્રશાંતભાઈના પિતાને ઘસડીને પાર્ટીશનને બીજી બાજુ લઈ ગયા હતા અને બંને બાંધી માર માર્યો હતો. 

આ સમગ્ર ઘટના બાદ પકડાઈ જવાની બીકે આરોપીઓ ત્યાંથી કરાઈ થઈ ગયા હતા તો પિતા-પુત્રને હિંમતનગર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા જ્યારે પોલીસે બંનેનુ નિવેદન લઈ ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news