રાજ્યના 6.90 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 6મા પ્રવેશ માટે આપશે એન્ટ્રન્સ ટેસ્ટ, 40 હજાર વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ

Entrance Exam: આજે રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ. જૂન 2023 થી રાજ્યમાં 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ, 75 જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, 20 જ્ઞાનશક્તિ સ્કૂલ અને 10 રક્ષાશક્તિ સ્કૂલ શરૂ થશે. 

રાજ્યના 6.90 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 6મા પ્રવેશ માટે આપશે એન્ટ્રન્સ ટેસ્ટ, 40 હજાર વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ

અતુલ તિવારી, અમદાવાદઃ આજે રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે. અમદાવાદમાં 54 હજાર સહિત રાજ્યભરમાંથી અંદાજે 6.90 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 202 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું છે. 11 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી OMR પદ્ધતિથી એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. ધોરણ 6 થી 12 સુધી બાળકો નિઃશુલ્ક અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.

પરીક્ષા માટે કેવી છે તંત્રની તૈયારીઓ?
પરીક્ષા બાદ મેરિટના આધારે બાળકોને અલગ અલગ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. એન્ટ્રન્સ ટેસ્ટના આયોજન માટે ખંડ નિરીક્ષક તેમજ દરેક પ્રાથમિક શાળાના એક શિક્ષકને નોડલ તરીકે નિમણુંક કરાઈ છે. BRC, CRC અને TPO સ્તરે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર લાવવા લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી શાળાઓના બાળકોને સવારે 9 વાગે શાળાએથી પરીક્ષા સેન્ટર પર શિક્ષકો બસ મારફતે લઈ જશે. પરીક્ષા પૂર્ણ થાય એટલે તમામ બાળકોને પરત શાળાએ લાવી, વાલીઓને સોંપવામાં આવશે. નવોદય અને સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે જે રીતે બાળકોની પરીક્ષા યોજાય છે એ મુજબ જ જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળાઓના ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે.

કઈ શાળામાં કેટલો પ્રવેશ?
ઉલ્લેખનીય છેકે, જૂન 2023 થી રાજ્યમાં 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ, 75 જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, 20 જ્ઞાનશક્તિ સ્કૂલ અને 10 રક્ષાશક્તિ સ્કૂલ શરૂ થશે. તમામ નવી 505 શાળાઓમાં આગામી નવા સત્રથી મેરિટના આધારે બાળકોને ધોરણ 6માં પ્રવેશ અપાશે. જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીદીઠ 21,400 રૂપિયા સરકાર ચૂકવશે. જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં વિદ્યાર્થદીઠ 67 હજાર રૂપિયા સરકાર ચૂકવશે. જ્ઞાનશક્તિ સ્કૂલમાં અંદાજે 70 હજાર જેટલી ફી સરકાર વિદ્યાર્થીદીઠ ચૂકવશે. તમામ સ્કૂલોને દરવર્ષે 7 ટકા જેટલો વિદ્યાર્થીદીઠ ફી વધારો આપવામાં આવશે. તમામ 505 શાળાઓમાં આગામી સત્રથી બે વર્ગ શરૂ થશે, પ્રત્યેક વર્ગમાં 35 વિદ્યાર્થી એમ કુલ 70 વિદ્યાર્થી શાલદીઠ પ્રવેશ અપાશે.

કોને મળશે નિશુલ્ક પ્રવેશ?
અંદાજે 40 હજાર જેટલા વિદ્યાર્થીઓને સરકાર સીધો પ્રવેશ આપશે, જેના માટે વાલીઓએ કોઈપણ જાતની ફી ચુકવવાની રહેશે નહીં.

ગઈકાલે પરીક્ષાના એક દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓને શાળાએ બોલાવી OMR શીટ આપી પરીક્ષા અંગે પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. બાળકોને OMR પદ્ધતિ વિશે સમજ આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news