રાજકોટમાંથી ઝડપાયું લોકરક્ષકમાં બનાવટી નિમણૂક પત્રના આધારે નોકરી આપવાનું કારસ્તાન

ગેરરીતિ મામલે ફરી એકવાર ચર્ચામાં આવ્યું રાજકોટ. ખોટા નિમણૂંક પત્રના આધારે સરકારી નોકરી...લોકો બોલો, લાખો યુવાનો અહીં મહેનત કરી કરીને તૂટી જાય છે ત્યાં એમના સપનાઓ પર આવા સેટિંગબાજો પાણી ફેરવી દે છે. શું છે સમગ્ર મામલો જાણો....

રાજકોટમાંથી ઝડપાયું લોકરક્ષકમાં બનાવટી નિમણૂક પત્રના આધારે નોકરી આપવાનું કારસ્તાન

દિવ્યેશ જોશી, રાજકોટ: રાજકોટમાં થયેલા લોકરક્ષક ભરતી કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચના DCP પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, પહેલાં પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. હાલ બીજા બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. સરકારી નોકરીની લાલચ આપીને કુલ 27 બોગસ કોલ લેટર બનાવાયા હતાં. એક ઉમેદવાર પાસેથી 4 થી 5 લાખ લેવાયા હતાં. વચેટિયાઓને આમા 50 હજાર રૂપિયા મળતા હતા. હજુ પણ આ કૌભાંડમાં કોઈની સંડોવણી બહાર આવશે તો તેની ધરપકડ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021 માં લોકરક્ષકની ભરતી યોજવામાં આવી હતી જેમાં જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે રહેતો ઉમેદવાર પ્રદીપ મકવાણા આ ભરતીમાં ગ્રાઉન્ડ પરીક્ષામાં નાપાસ થયો હતો જેથી આ અંગેની જાણ તેના મામા ભાવેશભાઈ ચાવડા અને બાલાભાઈ ચાવડાને થતા તેઓએ પ્રદિપ ને જણાવ્યું હતું કે તારે પોલીસમાં ભરતી થવું હોય તો ચાર લાખ રૂપિયા આપવા પડશે અમારું સેટિંગ લોકરક્ષક બોર્ડમાં છે અમે તને સહેલાઈથી પાસ કરાવી આપીશું જેથી ઉમેદવાર પ્રદીપ મકવાણાએ આ સમગ્ર વાત તેના પિતા ભરતભાઈ મકવાણા ને જણાવી હતી. ત્યારબાદ ચાર લાખ રૂપિયા બે ભાગમાં આપવાનું નક્કી થયું હતું અને તે મુજબ બે ભાગમાં ચાર લાખ રૂપિયા આપી દીધા બાદ ભેજાબાજ ચાવડા બંધુએ લોકરક્ષકનો બનાવટી નિમણૂક પત્ર બનાવી ટપાલ મારફત તેના ભાણેજ પ્રદીપ મકવાણાને મોકલી આપવામાં આવ્યો હતો..

લોકરક્ષકમાં ઉમેદવાર તરીકે પ્રદીપ મકવાણા પાસ થઈ ગયો હોવાનું ટપાલ મારફત બનાવટી નિમણૂક પત્ર મળ્યા બાદ ભેજાબાજ ચાવડા બંધુએ એક મહિલા પાસે ઉમેદવાર પ્રદીપ મકવાણાને ફોન કરાવ્યો હતો અને મહિલાએ લોકરક્ષક બોર્ડમાંથી બોલતા હોવાની પોતાની ઓળખ આપી હતી અને જે નિમણૂક પત્ર મોકલવામાં આવ્યો છે તે નિમણૂક પત્ર લઈને રાજકોટ શહેર પોલીસની મુખ્ય મથકે ૧૯ ઓગસ્ટ 2023 ના રોજ હાજર થવાનું જણાવ્યું હતું જેથી ઉમેદવાર પ્રદીપ મકવાણા બનાવટી નિમણૂક પત્ર લઈને રાજકોટ પોલીસ મથકે પહોંચ્યું ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવતા પોલીસને શંકા જતા આ સમગ્ર ઘટનાની જાણ ક્રાઈમ બ્રાન્ચને કરવામાં આવી હતી.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ આ ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરતા જસદણના રહેવાસી ભરતભાઈ ચાવડા અને બાલાભાઈ ચાવડાની અટકાયત કરી તેની આગવી ઢબે પૂછપરછ કરતા બને એ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે અત્યાર સુધીમાં તેઓએ 29 જેટલા બનાવટી નિમણૂક પત્ર ઉમેદવારો માટે બનાવ્યા છે અને તે પેટે લાખો રૂપિયા વસૂલ્યા છે જ્યારે પોલીસે આ ચાવડા બંધુની ઓફિસમાંથી કોમ્પ્યુટર,હાર્ડ ડિસ્ક અને બનાવટી નિમણૂક પત્રમાં વાપરવામાં આવતા સહી સિક્કા કબજે કરી ઉમેદવાર પ્રદીપ મકવાણા તેમજ તેના પિતા ભરત મકવાણા અને આ સમગ્ર ઘટનાના ભેજાબાજ ભાવેશ ચાવડા અને બાલાભાઈ ચાવડા વિરુદ્ધ આઇપીસી ની કલમ 465,467,468,471,474 અને 120બી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં ફરિયાદી તરીકે રાજકોટ મુખ્ય પોલીસ મથકના પીઆઇ મહમદ શકીલ મકવાણા ને ફરીયાદી બનાવવામાં આવ્યા છે અને આ ચારેય આરોપીની પોલીસે અટકાયત કરી છે ત્યારે આ સમગ્ર કૌભાંડમાં અને ખુલાસા થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news