શું તમે જાણો છો કોઈપણ પોલીસ સ્ટેશન બને ત્યારે સૌથી પહેલાં શું પ્રાર્થના કરાય છે?

ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને યાદ કરાવી પ્રતિજ્ઞા! પબ્લિક સાથે વ્યવહાર સુધારે પોલીસ, નહીં તો નહીં ચાલે. ગુજરાતના તમામ PI, અધિકારીઓનું આવી બન્યું! ગૃહ રાજ્યમંત્રીએ પોલીસના ઉચ્ચ અધિકારીઓને જે સુચના આપી છે તેના પછી પોલીસ બેડામાં ફફડાટ.

 

 

શું તમે જાણો છો કોઈપણ પોલીસ સ્ટેશન બને ત્યારે સૌથી પહેલાં શું પ્રાર્થના કરાય છે?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત પોલીસની છબિ સતત ખરડાઈ રહી છે. તેના માટો જવાબદાર છે પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સપેક્ટર એટલેકે, PI અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનું પબ્લિક સાથેનું સતત ખરાબ વર્તન. નાગરિકો પોતાની ફરિયાદ કે અરજી લઈને પોલીસ મથકે જાય છે ત્યારે તેમને રીતસર હળધૂત કરવામાં આવે છે. તેમને ખરાં, ખોટા સવાલો કરીને પહેલાં તો હેરાન કરી દેવામાં આવે છે અને કોઈકને કોઈક રીતે ફરિયાદ ન લેવી પડે અને કામ કાજમાંથી મૂક્તિ મળે એવા રસ્તા પોલીસ શોધતી હોય છે એ વાત સૌ કોઈ જાણે છે.

પોલીસના વર્તનનો રૂબરૂ અનુભવ કરવો હોય તો અમદાવાદ સહિત ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જઈને થઈ શકે છે. એવું નથી કે આ વાત સરકારના ધ્યાનમાં નથી, સરકાર પણ આ વાત જાણે જ છે. પણ હવે પીઆઈ અને પોલીસ અધિકારીઓને આ પ્રકારની ખોટી અફસરશાહી નહીં ચાલે. આ અમે નથી કહી રહ્યાં ખુદ રાજ્ય ના ગૃહ રાજ્યમંત્રીએ આના સ્પષ્ટ સંકેતો આપી દીધાં છે. 

પબ્લિક સાથે વ્યવહાર સુધારે પોલીસ!
ગૃહ રાજ્યમંત્રીએ સીધા સંકેત આપી દીધાં છેકે, પોલીસ સ્ટેશનોના પીઆઈ, પીએસઆઈ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પબ્લિક સાથેનો વ્યવહાર સુધારે. પોલીસ અરજદારો સાથે કઈ રીતે વાત કરે છે, ખાસ કરીને કયા પોલીસ સ્ટેશનના પીઆઈનો વ્યવહાર કેવો છે તે દરેક બાબતનો સરવે કરવામાં આવી રહ્યો છે. પીઆઈ, પીએસઆઈ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના કામકાજની સાથોસાથ તેમના પબ્લિક અને ખાસ કરીને અરજદારો સાથેના વ્યવહારનો ડિટેલ રિપોર્ટ તૈયાર થશે. જેમાં કોઈપણ ચુક જણાશે અથવા જાણી જોઈને સામાન્ય નાગરિકોને હેરાન કરવામાં આવતા હોવાનું જણાશે તો ગૃહ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. આ સંકેતો ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યાં છે.

કયા પોલીસ સ્ટેશનમાં શું ચાલે છે બધી ખબર છે...
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના કયા પોલીસ સ્ટેશનમાં શું ચાલે છે? પબ્લિક કે ત્યાં પોતાની સમસ્યા લઈને આવતા અરજદારો સાથે કેવો વ્યવહાર અને વર્તન કરવામાં આવે છે તેની બધી જ માહિતી ગૃહ વિભાગને મળતી રહે છે. ખાસ કરીને PI, PSI સહિત જેતે ઝોન અને તેનાથી ઉપરના પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓના કામ અને તેમના નાગરિકો સાથેના વર્તનો પણ સરવે કરવામાં આવી રહ્યો છે. સરકારનો સંકેત છેકે, હવે ખોટી અપ્સરશાહી નહીં ચલાવી લેવામાં આવે. 

અરજદારની ફરિયાદ લેવામાં આનાકાની નહીં ચાલે...
કોઈપણ સામાન્ય નાગરિક, ફરિયાદી કે અરજદાર  બનીને આવે તો જરૂરી પૂછપરછ બાદ તેની ફરિયાદ પણ અચુક પણે લેવી પડશે. ખોટા સેટિંગો અને વહીવટો પાડીને કોઈની ઓળખાણો રાખીને કે કામમાંથી છટકબારી કરવા ફરિયાદ નહીં લેવાય તો નહીં ચાલે. જો કોઈ પીઆઈ જાણી જોઈને ફરિયાદ ન દાખલ કરે તો સીધા પોલીસ કમિશ્નર કચેરીએ અથવા સંબંધિત જિલ્લા એસપીની કચેરીએ આ અંગેની ફરિયાદ દાખલ કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓની ફરિયાદમાં પોલીસને ત્વરિત તપાસ માટે પણ અગાઉ સંકેત આપવામાં આવેલાં છે.

PI, અધિકારીઓ પર હવે ગૃહ રાજ્યમંત્રીની ચાંપતી નજર-
હાલમાં જ અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીઆઈને ખખડાવતા કહ્યું હતુંકે, કયા પોલીસ સ્ટેશનમાં કેવો વ્યવહાર થાય છે તેની બધી માહિતી છે. અમે સરવે કરી રહ્યા છીએ કે, જે લોકો પોલીસ સ્ટશને ગયા હોય અને પીઆઈનો વ્યવહાર કેવો રહ્યો છે. અમને બધી જ મહિતી છે કે, કયા અધિકારીનો વ્યવહાર કેવો હોય છે. કયા પોલીસ સ્ટેશનોમાં શું ચાલે છે અમને બધી ખબર છે. જો સીએમ કે ગૃહમંત્રી અરજદારોને મળી શકે તો પીઆઈ કે અધિકારીઓ કેમ નહીં. 

પોલીસ સ્ટેશને આવતા વડીલને પાણી આપવાથી જવાનનું શરીર ઘસાઈ નહીં જાયઃ
કોઈ વડીલ પોલીસ સ્ટેશનમાં આવે તો સૌથી પહેલાં તો તેની સાથે સારી રીતે વાત કરવી. અરજદાર આપણાં રાજ્યના આપણાં દેશના નાગરિક છે. તેમની સેવા કરવી એ આપણો ધર્મ અને ફરજ છે. ત્યારે કોઈ ફરિયાદ લઈને પોલીસ મથકે આવેલાં વડીલને સૌથી પહેલાં જવાન પાણીનો ગ્લાસ આપશે તો તેની તાકાત ઓછી થવાની નથી. એટલું કરવાથી કંઈ શરીર ઘસાઈ નહીં જાય. પોલીસ પ્રત્યે નાગરિકોનો અભિગમ બદલાશે તો જ પોલીસ પ્રત્યે શ્રદ્ધા વધુ મજબૂત બનશે.

નવું પોલીસ સ્ટેશન બને ત્યારે સૌથી પહેલાં કરાય છે કઈ પ્રાર્થના?
ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યુંકે, જ્યારે કોઈપણ નવું પોલીસ સ્ટેશન બને ત્યારે આપણે સૌથી પહેલાં શું પ્રાર્થના કરતા હોઈએ છીએ. હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, નવું પોલીસ સ્ટેશન બને ત્યારે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ કે, ભગવાન ક્યારેય કોઈને પોલીસ સ્ટેશન જવાની જરૂર ન પડે. પણ તેમ છતાં આપણી ફરજમાં આવે છેકે, જો કોઈએ પોલીસ સ્ટેશન જવાનું થાય ત્યારે પોલીસનો વ્યવહાર પણ સારો રહે. પોલીસે પોતાની છબિ સુધારવી પડશે. અમદાવાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનનું હાલમાં લોકાર્પણ કરવામાં આવ્યું તે સમયે ડીજીપી, પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને આ વાત કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news