Uk, US, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા વાળા પણ બે હાથે ખાય છે અમદાવાદના આ નાસ્તા!

ભૂખ લાગે એટલે જમવા પહેલા નાસ્તો યાદ આવે અને જો નાસ્તો કોઈ સારી જગ્યાએ કરો તો જમવાની પણ જરૂર રહેતી નથી. ત્યારે અમે તમને અમદાવાદની ટોપ-15 નાસ્તની દુકાનો વિશે જણાવીશું..તમે ત્યાંનો નાસ્તો કરશો તમને ખૂબ જ મજા પડશે. તમે અહીંયા નાસ્તો કર્યા બાદ જમશો પણ નહીં, કેમ કે આ જગ્યાનો ટેસ્ટ એટલો અદભુત છે કે તમે ચાખશો તો ચાહક બની જશો.

Uk, US, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા વાળા પણ બે હાથે ખાય છે અમદાવાદના આ નાસ્તા!

ઝી બ્યૂરો, અમદાવાદઃ નાસ્તાના શોખીનો ગમે ત્યાંથી સારા નાસ્તો મળતો હોય તે જગ્યા શોધી લે છે. સવારે નાસ્તામાં લોકો ફાફડા-જલેબી, ચા- મસ્કાબન, ખમણ, સાઉથ ઈન્ડિયન આરોગતા હોય છે. કહેવાય છે કે સવાર હેલ્ધી નાસ્તો કર્યો હોય તો આખો દિવસ શરીરમાં એનર્જી બની રહે છે. એટલે નાસ્તો તો જરૂર કરવો જોઈએ. અમદાવાદમાં ઘણી-બધી ફેમસ વસ્તુ મળે છે. અમદાવાદના પૂર્વ-પ્રશ્ચિમ વિસ્તારમાં અનેક નાસ્તની દુકાનો ફેમસ છે. ત્યારે અમે તમને જણાવીશું અમદાવાદની ફેમસ નાસ્તાની દુકાનો..

ચંદ્રવિલાસના ફાફડા-જલેબી:
ફાફડા-જલેબીનું નામ પડે અને મોંઢામાં પાણી આવે. સૌ લોકોને ફાફડા-જલેબી અતિ પ્રિય હોય છે. ફાફડા-જલેબી ખાવાની મજા પણ કંઇક અલગ હોય છે. ફાફડા-જલેબી અને ચા મળે એટલે ભગવાન મળ્યા. પરંતુ શું તમે ચંદ્રવિલાસના ફાફડા-જલેબીનો ટેસ્ટ માણ્યો છે.? જો નથી માણ્યો તો ચૂકતા નહીં. અમદાવાદ (Ahmedabad) ના ગાંધીરોડ પર ચંદ્રવિલાસના ફાફડા-જલેબી ખૂબ ફેમસ છે. દશેરાના દિવસે રજા રહેતી હોવાથી લોકો ચંદ્રવિલાસમાંથી ફાફડા-જલેબી લાવીને કુંટુબના સભ્યો સાથે આરોગતા, પછી દર દશેરાએ ચંદ્રવિલાસની બહાર લાંબી કતારો લાગે. આ ઉપરાંત ઓસવાલના પણ ફાફડા-જલેબી ફેમસ છે.

રાયપુરના ભજીયા:
અમદાવાદ (Ahmedabad) માં ભજીયા માટે શહેરમાં રાયપુર દરવાજા પાસેના રાયપુર ભજીયા સૌથી ફેમસ છે. આ ઉપરાંત અમદાવાદમાં આસ્ટોડિયા દરવાજા પાસે આસ્ટોડિયાના ભજીયા, નરોડામાં આવેલાં ખોડિયારના ભજીયા, નારાણપુરામાં અંકુર તેમજ ડ્રાઈવઈન રોડ પર આવેલા મૂળ જુનાગઢના મયુરના ભજીયા ફેમસ છે. આ સ્થળોએ ભજીયા, બટાકાવડા, ટીકડીવડા, ગોટા તેમજ અલગ અલગ પ્રકારના ભજિયા મળતા હોય છે....શહેરના સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ તરફથી તૈયાર કરવામાં આવતા સ્વાદિષ્ટ ભજીયા અમદાવાદમાં જ નહીં, ગુજરાતભરમાં વખણાય છે. અમદાવાદ સ્થિત સુભાષબ્રીજ નજીક આવેલા આ “જેલ ભજીયા હાઉસ” હવે “હેરિટેજ ભજીયા હાઉસ” તરીકે પરિવર્તિત કરાશે. 

ગુજરાતના દાળવડા:
અમદાવાદ (Ahmedabad) માં બેસ્ટ દાળવડા ખાવા હોય તો તેના માટે ગુજરાત કોલેજ પાસે આવેલા ગુજરાતના દાળવડા અને નવરંગપુરા અંબિકાના દાળવડા મળી રહે. અંબિકાના દાળવડાની નવરંગપુરા ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ બ્રાંચ ખુલી ગઈ છે. આ ઉપરાંત અંકુર અને ગુજરાત વિદ્યાપીઠ પાસે આવેલા આનંદના દાળવડા પણ ઘણા ફેમસ છે. આ સ્થળો પર ચોમાસા દરમિયાન દાળવડા ખરીદવા માટે લાંબી લાઈનો લાગતી હોય છે. દાળવડામાં આ સ્થળોના એકધારા ટેસ્ટને કારણે લોકો આજે પણ ત્યાંથી દાળવડા લેવા પડાપડી કરતાં હોય છે. આ જગ્યાઓ પર રોજના હજારો કિલો દાળવડાનું વેચાણ થતું હોય છે. તેમને ત્યાં દાળવડા ઉપરાંત લોકો તેનું ખીરું પણ ખરીદતા હોય છે.

લકીની ચા-મસ્કાબન:
કબરની વચ્ચે દુનિયાની માત્ર એક માત્ર રેસ્ટોરન્ટ એટલે "લકી"..1947માં દેશ આઝાદ થયો અને ત્યાર બાદ સરકાર શહેરોના વિકાસ માટે ખાલી પડેલ જગ્યાઓ વેચવા માંડી હતી..એવી જ એક જગ્યા અમદાવાદ (Ahmedabad) ના લાલ દરવાજા પાસે આવેલ "લકી". આ જગ્યા પાસે કબ્રસ્તાન હતું. કેરળથી આવેલ બે મિત્રો કે.એચ. મોહમ્મદ અને ક્રિશ્નન કુટ્ટીએ આ કબ્રસ્તાનની ખાલી જગ્યા ખરીદી લીધી અને લકી ટી ના નામથી ચા વેચવાની શરૂઆત કરી. શરૂમાં લોકો કબર પાસે ઉભા રહીને ચા પીતા. અને પછી ચાની સાથે મસ્કા બન આપવાની શરૂઆત કરી. સવારના નાસ્તામાં કે બપોરની ચા સાથેમસ્કા બન અમદાવાદ માટે જરૂરીયાત બની ગયું અને આમ લકીની ટી અમદાવાદમાં લોકપ્રિય થવા લાગી..કબરોવાળી જગ્યા ક્રિશ્નન કુટ્ટી અને મોહમ્મદને ફળી ગઈ. તેથી ત્યાં આવેલી 26 કબરોને ખસેડવાને બદલે તેની આજુબાજુ જ પાકું બાંધકામ કરી લકી ટી વિકસાવ્યું. 26 માંથી 12 કબરો અને એક લીમડાનું વૃક્ષ રેસ્ટોરન્ટની અંદર છે. આ ઉપરાંત અમદાવાદમાં માણેકની ચા, ઈરાનીની ચા-મસ્કાબન, ખેતલાઆપાની ચા પણ ફેમસ છે.

દાસના ખમણ:
અમદાવાદનાં જૂનાં અને જાણીતાં દાસનાં ખમણ. આજે ચોથી પેઢી ખમણ બનાવી રહી છે. અહીં ટોસ્ટ બિસ્કિટ ખમણ, ટમટમ ખમણ, દહીં ખમણ, સુરતના રસાવાળા ખમણ મળે છે. ગુલ્ફી ખમણ પણ ફેમસ અહીંનાં ફેમસ છે. દાસનાં ખમણમાં હંમેશાં સિંગતેલ જ વપરાય છે. દાસના ખમણની શરૂઆત પિતાંબરભાઈ કાનજીભાઈ ઠક્કરે  કરી હતી. પિતાંબર ઠક્કર અમરેલીના વડિયા ગામથી આવ્યા હતા.

નાગરની ચોળાફળી:
ચોળાફળી અમદાવાદ (Ahmedabad) જેટલી પ્રખ્યાત અને ટેસ્ટી ક્યાંય નથી..પાલડી વિસ્તારમાં માત્ર ચોળાફળીની દુકાનો અને લારીઓનું બજાર છે. જેમ બજારમાં જાણે કે દુકાનોની હારમાળા હોય એમ નથી, પરંતુ અંદાજિત અડધો કિલોમીટરના વિસ્તારમાં ઓછામાં ઓછી દોઢ ડઝન જેટલી દુકાનો અને લારીઓ હશે અને મહાલક્ષ્મી પાંચ રસ્તા તો જાણે ‘ચોળાફળી ચોક’ તરીકે જ જાણીતો થઈ ગયો છે.‘ અમદાવાદમાં નાગરની ચોળાફળી ખુબ વખણાય છે.

જૂના શેરબજારનું ચવાણું:
અમદાવાદ (Ahmedabad) નું માણેકચોક ખાણીપીણી માટે પ્રખ્યાત છે. અને માણેકચોકમાં જ આવેલું જૂનું શેરબજાર ચવાણા માટે લેન્ડમાર્ક બની ચૂક્યું છે. શેરબજારનું ચવાણું એટલું ફેમસ છે કે દુકાનનું નામ જ શેરબજારનું ચવાણું થઈ ચૂક્યુ છે. શેરબજારના ચવાણાના ચાહકો સેલિબ્રિટીઝ પણ છે. મુકેશ અંબાણી અને અમિતાભ બચ્ચન પણ આ ચવાણાનો સ્વાદ માણે છે. આ ઉપરાંત  શશીનું પણ ચવાણું ફેમસ છે.

બંસીઘરની કચોરી:
બંસીધરની કચોરી ખાવ તો જ ખબર પડે. શહેરના જુના પોળ વિસ્તારમાં ઘીકાંટાથી આગળ હનુમાનવાળી પોળની બહાર આવેલી બંસીધરની કચોરી આજકાલની નહી પણ વર્ષોના વર્ષોથી ફેમસ છે. તેમની કચોરી ખાનારો એક વર્ગ વર્ષોથી બંધાયેલો જ છે.શહેરના એકદમ વ્યસ્ત અને સાંકડા એવા આ રસ્તે નોકરી - ધંધા અર્થે દોડધામ કરતા વ્યક્તિ બંસીધરની ક્ચોરીએ વિરામ લઈને આહલાદક સ્વાદવાળી કચોરી ખાવાનો ટેસ્ટ માણે છે. બહારના લોકો માટે તો પોળ વિસ્તાર ગૂંચવાડા ભર્યો જ લાગે પરંતુ અમદાવાદમાં વસતા હોવ અને આ વિસ્તારમાં નીકળો તો જરૂરથી એકવાર ટેસ્ટ કરવા જેવી છે. ઉપરાંત ઢાળનીપોળથી માણેક ચોકની વચ્ચે બજરંગની કચોરી પણ ઘણી પ્રખ્યાત છે. સાથે ઈંદોરની કચોરી પણ ફેમસ છે.

ભોગીલાલ મુળંચદનો મોહનથાળ:
મીઠાઈનું નામ પડે એટલે કંદોઈ ભોગીલાલ મુળચંદ યાદ આવે. આમ તો ભોગીલાલની ઘણી-બધી મીઠાઈઓ ફેમસ છે. પરંતુ શું તમે મોહનથાળ ટેસ્ટ કર્યો છે..ના કર્યો હોય તો એકવાર કરી લેજો. ઘી થી લથપથતો મોહનથાળ ખાવાની મજા જ કંઈક અલગ છે..કંદોઈ ભોગીલાલ મુળચંદની પેઢી 150 વર્ષ જૂની છે..અમદાવાદથી વિદેશ જતાં કે પછી ગુજરાત રાજ્યની બહાર જતા લોકો વ્યક્તિ મીઠાઈ લીધા વગર જતા નથી. કંદોઈ ભોગીલાલ મુળચંદના કેસર પેંડા, બુંદી લાડુ, કોપરા પાક, કેસર-કાજુ બરફી સહિતની વિવિધ મીઠાઈઓ ફેમસ છે.

અર્પિતની રગડા પેટીસ (અંકુર):
વર્ષોથી જાણીતી અર્પિત રગડા પેટીસ ખૂબ જ પ્રચલિત છે..વર્ષોથી એક જ ટેસ્ટ આપતા હોવાથી લોકોની લાંબી લાઈનો જોવા મળે છે..પેટીસને શુદ્ધ ઘીમાં તળવામાં આવે છે. અહીંયા અલગ અલગ પ્રકારની રગડા પેટીસ ખાઈને લોકોને મજા પડે છે.

ચારભુજાની સેન્ડવીચ:
વર્ષોથી જૂની અને જાણીતી ચારભુજાની સેન્ડવીચ ખાવા લોકોની ભીડ ઉમટે છે. અંકુરમાં આવેલી ચારભુજા સેન્ડવીચની દુકાનમાં વિવિધ પ્રકારની સેન્ડવીચ મળે છે.ચીઝ ચટ્ટણી, આલુમટર સેન્ડવીચ, ચીઝ-જામ લોકોને અતિ પ્રિય છે. આ સિવાય જય ભવાનીની CTC પણ ખૂબ ફેમસ છે. આ સેન્ડવીચમાં ચીઝનો માવો બનાવવામાં આવે છે.

ઓનેસ્ટની ભાજી-પાંઉ:
ઓનેસ્ટની ભાજી-પાંઉ ચાખશો તો ચાહક બની જશો. માણેક ચોકમાં બહુચરની ભાજી, પલ્લવ ચાર રસ્તા ( શાસ્ત્રીનગર) પાસે આનંદની ભાજી લોકો દૂર દૂરથી ખાવા આવે છે.. વર્ષોથી એક ધારો ટેસ્ટ મળતો હોવાથી લોકો આ બંને જગ્યાએ પાઉ- ભાજી ખાવાનું વધુ પસંદ કરતા હોય છે..

દાલ પકવાન:
દાલ અને પકવાન અનેક અમદાવાદમાં અનેક જગ્યાના ફેમસ છે..જેમ કે એરપોર્ટ પાસે આવેલાં સરદારનગરના દાલ પકવાન ખુબ ફેમસ છે. આ ઉપરાંત કુબેરનગર અને વાડજમાં આવેલાં સૌરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન ખાવાની મોજ પડી જાય...ચણાની દાળ અને ઘઉંના લોટની પૂરી ટાઈપ પકવાન..આ હેલ્ધી નાસ્તો કહીં શકાય ..સાથે શીરો હોય તો સોનામાં સુગંધ ભળી જાય. આમ, તો દાલ પકવાન સીંધી લોકોની વાનગી છે, પણ સૌ કોઈ એનો સ્વાદ મન મુકીને માણે છે.

બોમ્બે ચોપાટી કુલ્ફી અને આઈસ્ક્રીમ:
તમે જોયુ હશે ચાર રસ્તા પાસે બોમ્બે ચોપાટી કુલ્ફી વાળા એક રિક્ષા લઈને ઉભા હશે...દરેક પ્રકારના ફ્રૂટના આઈસ્ક્રીમ તમને ત્યાં મળી જાય છે..માવા મલાઈ, સીતાફળ, ચોકલેટ, પાઈનપેલ, મેંગો, વગેરે આઈસ્ક્રીમ ખાવાની તમે મજા માણી શકો છે. આ ઉપરાંત સ્ટેડિયમ પાસે આવેલ પટેલ આઈસ્ક્રીમનો પણ આઈસ્ક્રીમ ફેમસ છે..સાથે ગાંધીનગરમાં સરગાસણ ચોકડી પાસે તૃપ્તિનો પણ આઈસ્ક્રીમ ફેમસ છે.

સંકલ્પનો ઢોંસો:
અમદાવાદ (Ahmedabad) માં ઠેર-ઠેર સંકલ્પની શાખા તમને જોવા મળશે..લોકો દૂર-દૂરથી સંકલ્પનો ઢોંસો ખાવા માટે આવે છે. કહેવાય છે કે લોકો ઢોંસો તો એક ખાશે પરંતુ સંભાર બે- ચાર વાટકી પી જશે..કેમ કે સંકલ્પના સંભારનો ટેસ્ટ લોકોને અતિ પ્રિય છે.. આ ઉપરાંત પાલડી પાસે ઉડીપીમાં પણ તમે સાઉન્ડ ઈન્ડિયનો  ટેસ્ટ માણી શકશો.

બોમ્બે ભેળ:
બોમ્બે ભેળનું નામ પડે એટલે તરત જ ખાવાનું મન થઈ જાય.. તેમ જોયું હશે સી.જી રોડ પાસે ઘણા લોકો બોમ્બે ભેળનું વેચાણ કરતા હોય છે. બોમ્બે ભેળ, સુકી ભેળ, ચટ્ટણી વાળી ભેળ, સેવ પુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news