નાગરિકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય : ગુજરાતના ગામડાના રસ્તા અરીસા જેવા ચકચકિત બનાવાશે

Gujarat CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય... ગ્રામ્ય વિસ્તારોને બારમાસી રસ્તાની સુવિધા-કનેક્ટિવિટી આપવા ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને લીલીઝંડી આપવામાં આવી

નાગરિકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય : ગુજરાતના ગામડાના રસ્તા અરીસા જેવા ચકચકિત બનાવાશે

Gujarat Government : ગ્રામ્ય રોડ કનેક્ટિવિટી સુદ્રઢ કરવાની દિશામાં મુખ્યમંત્રીનો નવતર અભિગમ સામે આવ્યો છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને બારમાસી રસ્તાની સુવિધા-કનેક્ટિવિટી આપવા ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને લીલીઝંડી આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના ૭૪૫૩ કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોના રિસરફેસિંગ માટે રૂ. ૩૧૨૦ કરોડ મંજૂર કરાયો છે. જેનાથી સરહદી ગામો-બોર્ડર વિલેજ-પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના ૨૫૦ થી ઓછી વસ્તી ધરાવતા પરાઓને જોડતા ૫૧૫ માર્ગોનું રીસરફેસિંગ કરાશે.

પ્રગતિના પાયારૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વિકસાવેલી પરિપાટીમાં ગુજરાતને ગ્રામ્ય માર્ગો સુધારણાથી અગ્રેસર રાખવાનો ગુજરાત સરકારનો નિર્ધાર છે. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરવા માટે ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અવિરત પ્રગતિના પાયારૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની પરિપાટી વિકસાવી છે. એટલું જ નહીં, તેમણે રાજમાર્ગોને લોકોની સુખાકારી અને રાષ્ટ્રના વિકાસની ધોરી નસ ગણાવ્યા છે.

મુખ્યમંત્રીએ આ જ પરંપરાને ગુજરાતમાં વધુ ગતિથી આગળ ધપાવવાના નિર્ધાર સાથે ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મજબૂતીકરણ દ્વારા ગ્રામીણ વસ્તીને બારમાસી રસ્તાની સુવિધા, કનેક્ટિવિટી આપવાનો અભિગમ આ ૩૮૪૨ કરોડ રૂપિયાના કામો મંજૂર કરવામાં અપનાવ્યો છે. આ હેતુસર, રાજ્યની તમામ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્ય આંતરિક માર્ગોના જરૂરી રિસરફેસિંગ માટેના ૩૧૮૦ કામો માટે ૩૧૨૦.૭૯ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આવા કુલ ૭૪૫૩.૨૧ કિલોમીટર લંબાઇના નોન પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ હાથ ધરાશે. 

આ ઉપરાંત, રાજ્યના નોર્મલ વિસ્તારોમાં ૨૫૦ થી ૫૦૦ ની વસ્તી ધરાવતા પરાઓને જોડતા ૨૦૬ માર્ગોને રિસરફેસ કરવાની કામગીરી અન્‍વયે ૩૯૪.૨૭ કિલોમીટર લંબાઇના કામો હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ ૧૯૧.૫૫ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે. એટલું જ નહીં, રાજ્યના સરહદી ગામો-બોર્ડર વિલેજ, પરાઓ ચોમાસા દરમિયાન અન્ય માર્ગોથી વિખૂટા ડિસકનેક્ટ થઈ જતા હોય છે તેને જોડાણ આપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ મંજૂરી આપી છે.

તદઅનુસાર, ૯૧.૨૨ કિલોમીટર લંબાઇના નવા ૧૦૦ રસ્તાઓ તેમજ વિવિધ પ્રકારના ખૂટતા ૭૬ સ્ટ્રક્ચર્સ માટે મુખ્યમંત્રીશ્રીએ ૨૪૦.૮૬ કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર કરી છે. આદિજાતિ વિસ્તારો જ્યાં ૨૫૦ થી ઓછી વસ્તી છે તેવા પરાઓને જોડતા માર્ગોના રિસરફેસિંગ માટે મુખ્યમંત્રીશ્રીએ ૨૮૮.૮૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આના પરિણામે આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં આવા ૪૧૫ કામો હાથ ધરીને ૭૩૧.૯૭ કિલોમીટરના માર્ગોની સુધારણા અને મજબૂતીકરણ કરવામાં આવશે. ગ્રામીણ જીવનમાં સુવિધા વૃદ્ધિના જનહિતકારી નિર્ણયથી રાજ્યના ગામોને બારમાસી રસ્તાની સગવડ મળતી થશે અને કનેક્ટિવિટી ઝડપી તથા સુદ્રઢ બનશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, તાજેતરમાં જ રાજ્યના પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓના રીપેરીંગ, નવા સ્ટ્રક્ચર નિર્માણ અને માર્ગોના મજબુતીકરણના ૧૦૧૭ કામો માટે ૧૪૧૧.૮૧ કરોડ રૂપિયાની રકમ ફાળવેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news