કોળી ઉમેદવારનો જાદુ ન ચાલતા કોંગ્રેસે આહીર સમાજના હીરાભાઈને મેદાનમાં ઉતાર્યા, હવે જુનાગઢમાં જામશે અસલી જંગ

Junagadh Loksabha Seat : કોંગ્રેસે ભાજપના રાજેશ ચુડાસમા સામે જુનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાને ટિકિટ આવી, આ પાછળ કોંગ્રેસનું કયુ સમીકરણ કામ કરે છે જુઓ અહેવાલ

કોળી ઉમેદવારનો જાદુ ન ચાલતા કોંગ્રેસે આહીર સમાજના હીરાભાઈને મેદાનમાં ઉતાર્યા, હવે જુનાગઢમાં જામશે અસલી જંગ

Loksabha Election : મોડે મોડે પણ કોંગ્રેસ ધીરે ધીરે બાકી રહેલી બેઠકો પર ઉમેદવાર જાહેર કરી રહી છે. ગઈકાલે ત્રણ બેઠકો પર ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં કોંગ્રેસ દ્વારા જુનાગઢ સીટ પર હીરાભાઈ જોટવાને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે કઈ ગણતરીથી કોંગ્રેસે ઉમેદવારની પસંદગી કરી છે તે જોઈએ. 

જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ હીરાભાઈ જોટવાને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે ભાજપ દ્વારા આહીર સમાજનું મોટું નામ એવા હીરા જોટવાને મેદાને ઉતારી ગ્રામ્ય મતોનું સમીકરણ બેસાડ્યું છે. આ અગાઉ 2 ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા રાજેશ ચુડાસમાના સમાજના જ કોળી અગ્રણી પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે કોળી સમાજના મતોનું ધ્રુવીકરણ ન થતા કોંગ્રેસે આહિર નેતાને પસંદગી કરી છે. આહીર સમાજને ટાર્ગેટ કરવા માટે હીરા જોટવાને મેદાને ઉતારી ગ્રામ્ય મતોનું સમીકરણ પોતાના તરફ ફેરવવાનો નિર્ણય કર્યો છે

હીરાભાઈ જોટવા ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પોતે ખેડૂત નેતા છે. સાથે સાથે શૈક્ષણિક જગતમાં પણ અનેક સંસ્થાઓનું સર્જન કરી ચૂક્યા છે. ત્યારે હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમને સાંસદ બનાવશે તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. 

તો બીજી તરફ, જૂનાગઢમાં નવો ચેહરો ના મળે તો રાજેશ ચુડાસમાને રિપીટ પાર્ટી કરશે તેવુ નક્કી જ હતું. ભાજપ જુનાગઢ બેઠક પર પણ નવા અને બિન વિવાદિત ચહેરાની શોધમાં હતી. પરંતુ કોઈ યોગ્ય ઉમેદવાર ન મળતા આખરે ભાજપે રાજેશ ચુડાસમા પર જ પસંદગીનો કળશ ઢોળ્યો હતો. 

ભાજપના રાજેશ ચુડાસમાનો થયો હતો વિરોધ 
તો બીજી તરફ, વેરાવળનાં જાણીતા તબીબ ડો. અતુલ ચગ આપઘાત કેસમાં આરોપ લાગ્યો એવા રાજેશ ચુડાસમાને ભાજપે લોકસભાની જૂનાગઢ-ગીર સોમનાથની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ટિકિટ ફાળવી છે. થોડા સમય પહેલા રઘુવંશી સમાજમાં આ મામલે આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો. જાણીતા સેવાભાવી તબીબને આપઘાત માટે મજબૂર કરનાર અને ડોક્ટરની સ્યૂસાઈડ નોટમાં ભાજપનાં સાંસદ રાજેશ ચુડાસમાનુ નામ છે. જેથી તેના બદલે અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવવા રઘૂવંશી સમાજ દ્વારા માંગ ઊઠી હતી. 

આ વચ્ચે કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી લોકસભા 2024 ના ઈલેક્શન માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસ ન્યાયના 5 સ્તંભો પર ભાર આપશે. જેમાં 5 સ્તંભોમાં યુવા, મહિલા, ખેડૂત, શ્રમિક, સહભાગી ન્યાયનો સમાવેશ રાશે. કોંગ્રેસ યુવાઓને રોજગાર આપવાનું વચન આપશે. આ સિવાય કોંગ્રેસ MSP, વસતી ગણતરી કરાવવાનું વચન આપી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news