ગુજરાત કોંગ્રેસમાં વાવાઝોડું આવ્યું, દિલ્હીમાં ગુજરાતના બે નેતાઓની ફરિયાદો થઈ

Gujarat Congress : દિલ્હીમાં એવુ પણ કહેવાયું કે, કોંગ્રેસની વિચારધારાને સમર્પિત હોય તેવા નેતાને પ્રમુખ બનાવો. તેઓએ કહ્યું કે, જમીન સ્તરના કાર્યકરોને સન્માન આપે તેવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ

ગુજરાત કોંગ્રેસમાં વાવાઝોડું આવ્યું, દિલ્હીમાં ગુજરાતના બે નેતાઓની ફરિયાદો થઈ

Gujarat Politics : હાલ ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ઉકળાટ ચાલી રહ્યો છે. ગઈકાલે દિલ્હીમાં ગુજરાતના નેતાઓ અને કોંગ્રેસ અધ્યક્ષની એક મીટિંગ મળી હતી. રાજ્યમાં આગામી સમયમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી બદલાઈ જાય તો નવાઈ નહીં. પરંતુ દિલ્હીમાં ગુજરાતના અનેક નેતાઓ સામે બળાપો કાઢવામાં આવ્યો છે. દિલ્હીમાં મંથન બાદ કોંગ્રેસના પ્રમુખ પદે બાબરિયા અને ધાનાણી હાલ રેસમાં હોવાનું કહેવાય છે. હાઈકમાન્ડે રજૂઆતો સાંભળી છે, ત્યારે દિલ્હી દરબારમાં પસંદગીનો નિર્ણય અનામત રખાયો છે. તો બીજી તરફ, દિલ્હીમાં જગદીશ ઠાકોર ઉપરાંત અમિત ચાવડાની પણ ફરિયાદ કરવામાં આવી છે. 

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાને સ્થાન અપાય તેવી ચર્ચા છે. આવામાં દીપક બાબરિયા અને પરેશ ધાનાણીના નામ આગળ ચાલી રહ્યાં છે. બંને પાટીદાર ચહેરા છે, તેથી તેમના નામો પર ચર્યાય તેવી ગણતરી મંડરાય છે. સાથે જ ગુજરાતના નેતાઓ ફરિયાદ લઈને પણ દિલ્હી દરબારમાં ગયા હતા. જેમાં જગદીશ ઠાકોર ઉપરાંત અમિત ચાવડાની પણ ફરિયાદો કરાઈ છે. તેમની ફરિયાદ કરાઈ હતી કે, તેઓ પાર્ટીના લોકોને સાથે રાખીને ચાલવાને બદલે જનમંચ જેવા વિવિઝ કાર્યક્રમોમાં એકલા જ હાજર રહે છે. 

સાથે જ દિલ્હીમાં એવુ પણ કહેવાયું કે, કોંગ્રેસની વિચારધારાને સમર્પિત હોય તેવા નેતાને પ્રમુખ બનાવો. તેઓએ કહ્યું કે, જમીન સ્તરના કાર્યકરોને સન્માન આપે તેવા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા જોઈએ. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક સમયે દબદબો ધરાવતી કોંગ્રેસ હાલમાં અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ જતાં હાઈકમાન ભારે નારાજ છે. વિધાનસભાની ચૂંટણીમાં ગાંધી પરિવારનો એક પણ સભ્ય ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યો નહોતો. કર્ણાટકમાં સંજીવની મળ્યા બાદ કોંગ્રેસ ફરી સક્રિય થઈ છે. જે અંતર્ગત ગઈકાલે દિલ્હીમાં ગુજરાતના નેતાઓ અને કોંગ્રેસ અધ્યક્ષની એક મીટિંગ મળી હતી. રાજ્યમાં આગામી સમયમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી બદલાઈ જાય તો નવાઈ નહીં. ગુજરાતમાં અશોક ગહેલોતના ખાસ ગણાતા રઘુ શર્માને પ્રભારી બનાવાયા હતા પણ તેઓ વિધાનસભાની ચૂંટણીમાં કંઈ ઉકાળી ન શકતાં તેમનું રાજીનામું મંજૂર કરી લેવાયું છે. હવે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી બંને બદલાશે. હાલમાં પ્રદેશ પ્રમુખ પદે જગદીશ ઠાકોર છે પણ કોંગ્રેસની ભૂંડી હાર બાદ તેમને પણ ઘરભેગા કરાય તેવી સંભાવના વધુ છે. ગુજરાતમાં એકબીજાની ટાંટિયાખેંચ અને તારા પછી મારો અને મારા પછી તારો એમ વારો પાડીને કેટલાક નેતાઓ પદોની વહેંચણી કરી લેતા હોવાથી દાયકાઓથી કોંગ્રેસ કેટલાક નેતાઓ પૂરતી રહી છે. 

સ્થિતિ હવે એવી છે કે કોંગ્રેસમાં કાર્યકરો ઓછા અને નેતાઓ વધારે છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસને ફરી જીવંત કરવી હશે તો ભાજપની જેમ ધરમૂળથી ફેરફારો કરવા પડશે. ભાજપે જેમ એક ઝાટકે કદાવર નેતાઓને ઘરભેગા કરી દઈ સુકાન બીજી પેઢીને સોંપી દીધું એમ કોંગ્રેસ નિર્ણયો લે તો ગુજરાતમાં કોંગ્રેસ માટે આશા છે. રાજ્યસભામાં તો 2026 સુધી એક પણ બેઠક જીતવાના ચાન્સ નથી ત્યાં કોંગ્રેસ 2024માં પણ કોઈ ચમત્કાર ન શકી તો કોંગ્રેસ એક દાયકો પાછળ ધકેલાઈ જશે. 

2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. કોંગ્રેસે 35 ટિકિટ વેચી હોવાનો અહેવાલમાં પર્દાફાશ થયો છે. આ એ જ અહેવાલ છે જે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે તૈયાર કર્યો હતો, જેમાં હારના કારણોનું વિશેષ મંથન કરતા  ચોંકાવારા તથ્યો સામે આવ્યા છે. જેમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, પૈસા લઈને ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં કોંગ્રેસ જે રિપોર્ટ તૈયાર કર્યો હતો. એમાં એ વાત પણ સામે આવી હતી કે, AICC એ ચૂંટણી માટે જે ફંડ આપવામાં આવ્યું હતું તેની અનિયમિત વહેચણી થઈ હતી. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યું તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા મળ્યા. એવામાં આજે જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે અને કદાચ આ જ કોંગ્રેસની હારનું મોટું કારણ હોઈ શકે છે.

ગઈકાલે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી છે.  જેઓએ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે વહેલી તકે નિર્ણય લેવા રજુઆત કરી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રમુખના સ્થાને નવા પ્રમુખ અંગે પણ થઇ ચર્ચા છે. બીજી હરોળના નેતાઓને સ્થાન આપવા અંગે રજૂઆત કરાઈ છે.  આ મહિનાના અંત સુધીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અંગે નિર્ણય લેવાય તેવી પૂરી સંભાવના છે. પ્રભારીની નિમણૂક બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક થશે. રાહુલ ગાંધીના ભારત પરત ફર્યા બાદ ગુજરાત કોંગ્રેસનું કોકડું ઉકેલાય તેવી આશા છે.  પ્રદેશ પ્રમુખ તરીકે દિપક બાબરીયા પરેશ ધાનાણી અને લાલજી દેસાઈના નામ ચર્ચામાં છે.

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્લીનું તેડું આવતાં અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દિપક બાબરીયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા હતા. જેઓ ખડગેને મળ્યા હતા. કહેવાય છે કે તેઓને નવા પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન માળખાને લઈ અભિપ્રાય માટે દિલ્લી બોલાવાયા હતા.

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર કરાયો છે. AICC રચિત ફેક્ટ ફાઇન્ડિંગ સમિતિએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જે અત્યંત ચોંકાવનારો છે. 28 ફેબ્રુઆરી બાદ હેવાલ એઆઇસીસીને રિપોર્ટ સુપરત કરાશે. આ અહેવાલમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટમા જણાવાયું કે, એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ છે. તથા ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ છે. 

ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. ઉમેદવારોએ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. ચૂંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય પણ સમયસર પહોંચ્યું ન હતું. ઉમેદવારનો મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો પણ ન મળ્યા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ માત્ર કાગળ પર રહી ગઈ હતી. કોંગ્રેસ સ્થાનિક સ્તરે ડેમેજ કંટ્રોલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી. ડેમેજ કંટ્રોલ સમિતિઓ માત્ર કાગળ પર જોવા મળી હતી. એવી પણ ચર્ચા છે કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખર્ચ કાઢવાના નામે આ ટિકિટો વેંચી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news