અમદાવાદ સિવિલને 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સની ભેટ, કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન અમૃત સમાનઃ રાજ્યપાલ

Corona ના દર્દીઓ અને કોરોના વોરિયર્સ માટે ખુલ્યાં રાજભવનના દ્વાર, ગુજરાતના રાજ્યપાલ દ્વારા દર્દી માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ જ્યારે કોરોના વોરિયર્સ માટે જીવન જરૂરી સહાય કીટનું કરાઈ રહ્યું છે વિતરણ. 

અમદાવાદ સિવિલને 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સની ભેટ, કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન અમૃત સમાનઃ રાજ્યપાલ

અતુલ તિવારી, અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં આ વાયરસ પહેલાં કરતા વધારે ઘાતક બનીને સામે આવ્યો છે. દર્દીઓના શ્વસન તંત્ર પર સીધી હુમલો કરીને વાયરસ તેમના ફેફસાંમાં પ્રવેશી થાય છે. જેને કારણે તે વધુ ઘાતક સાબિત થાય છે. આવા સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોરોના સેવયજ્ઞ અંતર્ગત અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલને 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કરીને દર્દીઓને મોટી રાહત આપી છે.

No description available.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુંકે, કોવિડની આ બીજી લહેરમાં ઑક્સિજન અમૃત સમાન છે. કોરોના વૉરિયર્સની જેમ દર્દીઓ માટે પણ આપણી જવાબદારી બને છે અને કોવિડના આ કપરાકાળમાં ઑક્સિજન અમૃત સમાન છે. આ માટે રાજ્યપાલના પ્રયત્નોથી ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ પેટીએમના સીઈઓ વિજયશેખર શર્માએ ગુજરાતને 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહયોગ આપવા તૈયારી દર્શાવી હતી. 

જેના ભાગરૂપે આજે પ્રથમ ખેપમાં 20 કોન્સન્ટ્રેટર્સ રાજયપાલના હસ્તે આરોગ્ય વિભાગને અર્પણ કરવામાં આવ્યાં હતાં. જેને ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસીસના મેનેજિંગ ડાયરેક્ટર પ્રભવ જોશીએ સ્વીકાર્યાં હતાં. આ રીતે મળનારા કુલ 100 કોન્સન્ટ્રેટર્સમાંથી 25 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ, 20 એસએસજી સરકારી હોસ્પિટલ વડોદરા, 20 ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત, 20 પીડીયુ હોસ્પિટલ રાજકોટ તથા 15 સિવિલ હોસ્પિટલ ગાંધીનગરને આપવામાં આવશે. જે પૈકી આજે અપાયેલાં 20 કોન્સન્ટ્રેટર્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યાં છે. જેમને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મોદીએ સ્વીકાર્યાં હતાં.

રાજ્યપાલએ જણાવ્યું કે કોવિડના આ બીજા વૅવમાં પોતાના તન અને મનથી જે કર્મચારીઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે અથવા અન્ય કોઈ પણ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે, આવા કોરોના વૉરિયર્સનું મનોબળ વધારવું અત્યંત આવશ્યક છે. તેમને એવું આશ્વાસન મળે એ અત્યંત જરૂરી છે કે તેમની તથા તેમના પરિવારની ચિંતા કરનારું કોઈ છે. આ માટે રાજભવન તેમજ રાજ્ય સરકારના સહિયારા પ્રયત્નોથી રાજ્યના એક લાખ જેટલા પાયાના કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ મોકલવામાં આવી રહી છે. 

આ માનવીય કાર્યમાં અમદાવાદની સામાજિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ પણ સહાયરૂપ થઈ રહી છે. કુલ 10 જિલ્લાના ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સ માટે 'કોરોના સેવાયજ્ઞ' અંતર્ગત બે ખેપમાં 21 હજાર કિટ મોકલવામાં આવી છે. હજુ આગળ પણ આ સેવાયજ્ઞ ચાલતુ રાખવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં 'કોરોના સેવાયજ્ઞ'ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્લેટફોર્મ પેટીએમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતને કુલ 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહાય કરવામાં આવનાર છે. 

રાજ્યપાલએ જણાવ્યું કે રાજ્યના કુલ એક લાખ કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ પહોંચાડવાનો રાજભવન દ્વારા 'કોરોના સેવાયજ્ઞ' અંતર્ગત નિર્ધાર કરાયો છે. જેથી જરૂરિયાત અનુસાર નિરંતર અલગ અલગ જિલ્લાઓમાં કિટ મોકલવામાં આવતી રહેશે. આ તકે સમગ્ર કામગીરીમાં સહાયરૂપ થનાર પેટીએમ ફાઉન્ડેશન તથા યુવા અનસ્ટોપેબલ સંસ્થાનો રાજ્યપાલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news