ગોંડલ માર્કેટિંગ યાર્ડનો નવતર પ્રયોગ, ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા 20 વીઘામાં બનાવ્યું ટ્રાન્સપોર્ટ નગર

1000 જેટલા ગુડ્સ વ્હિકલ સમાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી, ડ્રાઇવરો માટે અધ્યતન ઓફિસ બનાવવામાં આવી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડનો નવતર પ્રયોગ, ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા 20 વીઘામાં બનાવ્યું ટ્રાન્સપોર્ટ નગર

રાજકોટઃ સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવસેને દિવસે સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરમાંથી ખેડૂતો વેપારીઓ માલ લેવા વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે ટ્રાફિક સમસ્યા વધી રહી હોય માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા તાકીદે 20 વીઘા જમીનમાં ટ્રાન્સપોર્ટનગર વિકસાવીને એક દીર્ઘદ્રષ્ટિ સમાન ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સૂચના હતી કે માત્રને માત્ર ચેરમેન બનીને યાર્ડનો વહીવટ કરવાનો નથી. ચેરમેનની સાથોસાથ વિઝનમેન એટલે કે દીર્ઘદ્રષ્ટા બનવું પણ જરૂરી છે. જેઓના માર્ગદર્શનને ધ્યાને લઇ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 20 વિઘા જમીનમાં ટ્રાન્સપોર્ટ નગર વિકસાવવામાં આવ્યું છે. જેમાં 800થી હજાર માલવાહક વાહનો સમાવેશ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ ઉપરાંત ડ્રાઇવરો માટે ઓફિસ બનાવવામાં આવી છે. જ્યાં લાઈટ, પાણી, બાથરૂમ, મિનરલ વોટર, મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાઓને પરિણામે ડ્રાઈવરોને ખાસી રાહત મળી રહી છે. ટ્રાન્સપોર્ટ જણાવી રહ્યા છે કે આવી સુવિધાઓ તો અમે સ્વપ્ને પણ વિચારી ન હતી.

માર્કેટિંગ યાર્ડમાં ટ્રાન્સપોર્ટ નગર બનવાથી માત્ર ને માત્ર ટ્રાન્સપોર્ટરો કે ડ્રાઇવરોને જ ફાયદો થઈ રહ્યો નથી. ખેડૂતો અને વેપારીઓને પણ મબલખ ફાયદો થઇ રહ્યો છે. સરેરાશ માર્કેટિંગ યાર્ડમાં 500 જેટલા ટ્રક મગફળી સહિતની જણસીઓ ભરીને આવે તો આશરે 50000 ગુણી જેવી જણસીઓની આવક ગણવામાં આવે છે. જો એક ગુણી ચડાવ ઉતારની મજૂરી પંદર રૂપિયા ગણવામાં આવે તો રોજિંદા સાડા સાત લાખ રૂપિયા જેટલો ખેડૂતોને ખર્ચ વેઠવો પડતો હતો તે બંધ થતાં તેનો સીધો જ ફાયદો ખેડૂતો વેપારીનો થઈ રહ્યો છે.

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે યાર્ડની અંદર આવતા વાહનો માટે પણ નીતિ નિયમો કડક બનાવવામાં આવ્યા છે. જો કોઈપણ મેટાડોર કે ટ્રક ચાલક બિનઅધિકૃત રીતે માર્કેટિંગ યાર્ડમાં પોતાનું વાહન પાર્ક કરીને જતા રહે તો તેઓની પાસેથી રૂપિયા 200 દંડ મુજબ વસુલ કરવામાં આવશે. આ નિયમ માર્કેટીંગ યાર્ડના ચેરમેન, ડિરેક્ટરો કર્મચારીઓ સર્વે ને લાગુ પડશે. તેવું બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ નક્કી કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news