પાટીલ દોઢે વાગે તો રૂપાણીએ રાતે 11 વાગે લગાવી અરજી, નેતાઓ અને કરોડપતિઓએ લાઈનો લગાવી લીધા આશીર્વાદ

Baba Bageshwar in Rajkot: રાજકોટમાં બાબા બાગેશ્વર પાછળ એવું નથી કે એકલા ભાવિકો જ ઘેલા છે, ભાજપના નેતાઓ અને અનેક ઉદ્યોગપતિઓ ઘેલા બનીને દોટ મૂકી રહ્યા છે. રાજકોટમાં ગુરુવારે દિવ્ય દરબાર પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા માટે પહોંચ્યાં હતા.

પાટીલ દોઢે વાગે તો રૂપાણીએ રાતે 11 વાગે લગાવી અરજી, નેતાઓ અને કરોડપતિઓએ લાઈનો લગાવી લીધા આશીર્વાદ

ઝી બ્યુરો/રાજકોટ: બાગેશ્વરધામના પીઠાધીપતિ ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતમાં છે અને તેઓ રાજકોટમાં દિવ્ય દરબાર કરી રહ્યા છે. બાબાના દર્શન માટે ભાવિકોમાં પ્રચંડ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુરુવારે સાંજે યોજાયેલા દિવ્ય દરબારના કલાકો પૂર્વે ભાવિકો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. રાજકોટમાં બાબા બાગેશ્વર પાછળ એવું નથી કે એકલા ભાવિકો જ ઘેલા છે, ભાજપના નેતાઓ અને અનેક ઉદ્યોગપતિઓ ઘેલા બનીને દોટ મૂકી રહ્યા છે. રાજકોટમાં ગુરુવારે દિવ્ય દરબાર પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા માટે પહોંચ્યાં હતા. જ્યાં વિજય રૂપાણીએ એક નિવેદન આપ્યું હતું કે હિન્દુ ધર્મની એકતા માટે દિવ્ય દરબાર મહત્વનો બની રહેશે.

ગઈકાલે (ગુરુવાર) રાજકોટ ખાતે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. રાજકોટના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. જોકે ચર્ચા એ છે કે, રાજકોટમાં મોડી રાત્રે  ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના VIP દરબારમાં અનેક ભાજપી નેતાઓએ માથુ ટેકવ્યુ હતું. અનેક ભાજપી નેતાઓ બાબા બાગેશ્વરના શરણે ગયા હતા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો પણ સામે આવ્યો છે.  

રાજકોટમાં રેસકોર્ષમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે ફરી દરબાર યોજાયો હતો. પરંતુ આ દરબાર ખાસ હોવાનું કહેવાય છે. આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે આ દરબાર યોજાયો હતો. જેમાં ભાજપના નેતાઓ, સામાજિક આગેવાનો અને બગેશ્વરધામ સેવા સમિતિના કાર્યકરો અને તેના પરિવારજનો હાજર રહ્યા હતા. ચર્ચા છે કે, રાત્રે 1 થી 3 વાગ્યા દરબાર યોજાયો હતો, જેમાં મીડિયાની કોઈ હાજરી ન હતી. જો કે, આ દરબારની ટિકિટો હજારોમાં વેંચાઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે VIP દરબારને લઈને ફરી એકવાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલો ઉઠ્યા છે.

ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી બુધવારે સાંજે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટના આશ્રયસ્થાન કિંગ્સ હાઈટ્સ પહોંચતાની સાથે જ પ્રથમ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આરામ કર્યો હતો અને બાદમાં રાત્રિના 9 વાગ્યા બાદ નેતાઓ, ઉદ્યોગપતિઓ અને આયોજકોને મળ્યા હતા. સફેદ વાઘા સાથે માથા પર પાઘડી પહેરી ઝૂલા પર બેસી તેઓ નેતાઓ, ઉદ્યોગપતિઓ અને આયોજકોને મળ્યા હતા.

અગાઉ ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીએ સુરતમાં પણ દિવ્ય દરબાર યોજ્યો હતો. પરંતુ બાબાનો સુરતમાં પણ અડધીરાત્રે વીવીઆઈપી દરબાર યોજાયો હોવાની વાતો વહેતી થઈ છે. જેમાં લિંબાયતમાં ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત ભાજપના નેતાઓ તેમનાં ચરણોમાં પડી ગયાં હતાં. બાબાનાં દર્શન માટે ગુજરાત પ્રદેશ ભાજપ-અધ્યક્ષ સીઆર પાટીલ પણ ગયા હતા. સીઆર પાટીલે બાબા બાગેશ્વરના રાત્રે 1 વાગ્યાની આસપાસ દર્શન કર્યા હતા. ત્યારબાદ રાજકોટમાં વિજય રૂપાણીએ પણ દિવ્ય દરબારમાં રાત્રે 11 વાગે પહોંચ્યા હતા.

રાજકોટમાં 31 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દર્શન કરવા નેતાઓ અને ઉદ્યોગપતિઓની લાઈન લાગી હતી. ગઈકાલે (ગુરુવાર) રાજકોટના રેસકોર્સ મેદાનમાં પણ દિવ્ય દરબારમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી હાજર રહ્યા હતા. જો કે, અહીં તેઓને બાબા બાગેશ્વરને રૂબરૂ મળ્યા નહોતા. તેમની સાથે ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, રાજકોટના ભાજપના ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ધારાસભ્ય પબુભા માણેક, ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી સહિત અનેક નામી નેતા અને ઉદ્યોગપતિઓ બાબાનાં દર્શન અર્થે આશ્રયસ્થાન અને જનકલ્યાણ હોલ ખાતે પહોંચ્યા હતા. આ દ્રશ્ય જોઈને રાજકોટ ભાજપ અને ઉદ્યોગપતિઓ બાબા પાછળ ઘેલા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. 31 મેના રોજ રાત્રે 10.30 વાગ્યે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બાબા બાગેશ્વરના આશ્રયસ્થાને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. 

ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 31 તારીખના રોજ રાત્રિના 10.30 વાગ્યે કિંગ્સ હાઈટ્સ પહોંચ્યા હતા અને 11 વાગ્યા સુધી તેઓ બાબા સાથે સંવાદ કરી આશીર્વાદ લીધા હતા. આ સિવાય તેમની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લ પણ જોવા મળ્યા હતા. 

નોંધનીય છે કે, સૌરાષ્ટ્રની મોટી હસ્તીઓ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવાસસ્થાન કિંગ્સ હાઇટ્સમાં પહોંચી રહી છે. ગઈકાલે (ગુરુવાર) લોકસાહિત્યકાર રાજભા ગઢવી, દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેક, જામનગરના ઉદ્યોગપતિ મેરામણ પરમાર સહિતના લોકોએ અંગત રીતે બાબાને મળીને આશીર્વાદ લીધા હતા. પબુભા માણેક તો લક્ઝુરિયસ રોલ્સ રોયસમાં આવ્યા હતા અને બાબાના આશીર્વાદ લીધા હતા.

ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા આવેલા નેતાઓ-ઉદ્યોગપતિ
વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), ડો. ભરત બોઘરા (પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ), ડો. નેહલ શુક્લ (કોર્પોરેટર), પબુભા માણેક (ધારાસભ્ય), મુકેશ દોશી (ભાજપ પ્રમુખ, રાજકોટ), ડો. પ્રદીપ ડવ (મેયર રાજકોટ), ડો. દર્શિતા શાહ (ધારાસભ્ય), મયૂર શાહ (ભાજપના અને જૈન સમાજના અગ્રણી), મૌલેશ ઉકાણી (ઉદ્યોગપતિ), મેરામણ પરમાર (ઉદ્યોગપતિ જામનગર) અને રાજભા ગઢવી (લોક સાહિત્યકાર)નો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news