'જયરાજસિંહના નામ પાછળથી હું સિંહ હટાવી દઉં છું', રૂપાલા સામે વિરોધ એટલો વધ્યો કે ક્ષત્રિયોના પડ્યા બે ભાગ

Loksabha Election 2024: રાજપૂત સમાજના અગ્રણીઓની બેઠકમાં રૂપાલાએ જાહેર મંચથી માફી માગી, રાજપૂત આગેવાનોએ પણ વિવાદનું સમાધાન થઈ ગયાનો દાવો કર્યો...પરંતુ હવે વિરોધ એટલો વધી ગયો કે રાજપૂત સમાજમાં જ બે ફાળિયા પડી ગયા છે. 

'જયરાજસિંહના નામ પાછળથી હું સિંહ હટાવી દઉં છું', રૂપાલા સામે વિરોધ એટલો વધ્યો કે ક્ષત્રિયોના પડ્યા બે ભાગ

Loksabha Election 2024: રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ પણ વિવાદ શાંત થાય તેમ લાગતું નથી. રાજપૂત સમાજના અગ્રણીઓની બેઠકમાં રૂપાલાએ જાહેર મંચથી માફી માગી, રાજપૂત આગેવાનોએ પણ વિવાદનું સમાધાન થઈ ગયાનો દાવો કર્યો...પરંતુ હવે વિરોધ એટલો વધી ગયો કે રાજપૂત સમાજમાં જ બે ફાળિયા પડી ગયા છે. 

કેન્દ્રમાં મંત્રી, રાજકોટથી ભાજપના ઉમેદવાર અને પોતાના વાકછટાથી જેમણે અનેક સભાઓ ગજવી છે. પોતાના તળપદા શબ્દોથી શ્રોતોઓને મંત્રમુગ્ધ કર્યા છે તે જ પુરશોત્તમ રૂપાલા હાલ પોતાની આગવી છટાથી કદાચ પછતાતા હશે. કારણ કે તેમની વાણીવિલાસથી જ આ આખો વિવાદ ઉભો થયો છે. વિવાદાસ્પદ ટીપ્પણી બાદ રાજપૂત સમાજમાં રોષનો જ્વાળામુખી ફાટ્યો છે. ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાતભરમાં વિરોધ નોંધાવ્યો. મોરબી, દ્વારકા, નર્મદા,રાજકોટ સહિતના શહેરોમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ આકરો વિરોધ કર્યો હતો.

વિરોધના આ વંટોળ વચ્ચે સમાજની અંદર ફાટા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ વિવાદનો શાંતિથી હલ નીકળે તે માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સંમેલન બોલાવ્યું હતું. જેમાં ભાજપ સાથે જોડાયેલા અને કેટલીક સમાજની સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં તમામે વિવાદનો અંત લાવવા માટે આહવાન કર્યું. જો કે આ સંમેલનમાં જયરાજસિંહ જાડેજાએ વિરોધ કરનારા લોકોને ચેલેન્જ આપી હતી. આ ચેલેન્જને કારણે જાણે રાજપૂત સમાજમાં જ બે ભાગ પડી ગયા અને ક્ષત્રિયો જ ક્ષત્રિયોની સામે થઈ ગયા.

  • રૂપાલા સામે રાજપૂતોનો આક્રોશ ક્યારે ઠરશે?
  • ફરી માફી પછી પણ ક્ષત્રિયો માફ કરવાના મૂડમાં નથી?
  • જયરાજસિંહના સંમેલન બાદ પણ ક્ષત્રિયો માનવા તૈયાર નહીં
  • હવે વિરોધ એટલો વધ્યો કે ક્ષત્રિયોના પડી ગયા બે ભાગ
  • કરણી સેનાએ કહી દીધું કે જયરાજસિંહ એટલે નથી સમાજ

કડવા પાટીદાર સમાજમાંથી આવતા અને ભાજપના દિગ્ગજ નેતા...કેન્દ્રમાં મંત્રી અને પ્રદેશની રાજનીતિને પણ સારી સમજ રાખનારા...પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને હાલ રાજકોટથી લોકસભાની લડાઈમાં ઉતરેલા પુરશોત્તમ રૂપાલા એવા ઘેરાયા છે કે હાલ બહાર નીકળી શકે તેમ લાગતું નથી. તેમણે કરેલી એક ટીપ્પણીથી વિરોધનો વંટોળ એવો તિવ્ર બની ગયો છે કે હવે સમાજના જ બે ભાગ પડી ગયા છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં એક સંમેલન બોલાવ્યું હતું. જેમાં ભાજપના રાજપૂત અગ્રણીઓની સાથે રાજપૂત સમાજના આગેવાનો પણ હાજર હતા. જેમાં તમામે એક સ્વરમાં રૂપાલાને માફ કર્યા હતા. એટલું જ ખુદ રૂપાલાએ જાહેર મંચથી ફરી રાજપૂત સમાજની માફી માગી હતી...પરંતુ ક્ષત્રિયો જાણે માનવા તૈયાર જ નથી.

રાજપૂતોમાં અંદરો અંદર વિરોધ એવો ઉઠ્યો છે કે, જયરાજસિંહ જાડેજાને કરણી સેનાના ગીતાબા પરમારે જયરાજસિંહ માનવાનો જ ઈન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે, જયરાજસિંહમાંથી સિંહ કાઢી નાંખવું જોઈએ. તો આ બધાની વચ્ચે રાજકીય માહોલ પણ એટલો ગરમ થઈ ગયો છે કે તે કોઈને પણ દઝાડી શકે છે. કરણી સેનાના અધ્યક્ષ અને ટીવી ડિબેટમાં ઘણી વખત નજરે પડતા રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. જો કે શેખાવત ભાજપમાં કોઈ મોટા હોદ્દા પર નહતા...માત્ર પ્રાથમિક સભ્ય જ હતા. તેમણે સમાજની અસ્મિતાની વાત કરી ભાજપમાંથી રાજીનામું આપી દીધું અને રૂપાલાને રાજકોટથી રદ કરવામાં આવે તેવી માગ કરી.

લડાઈ એટલી ઉગ્ર બની ગઈ છે કે હવે ક્ષત્રિયાણીઓ પણ મેદાનમાં આવી ગઈ છે. જ્યાંથી રૂપાલાને બદલવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ જ સમાધાન નહીં થાય તેવું એલાન કરી દીધું છે. રૂપાલાના નિવેદન બાદ શરૂ થયેલા વિવાદને ઠારવા માટે જયરાજસિંહ જાડેજાએ જે સંમેલન બોલાવ્યું હતું જેમાં અનેક અગ્રણીઓએ રૂપાલાને માફી આપવાની વિનંતી કરી હતી. માફી માગી દીધા બાદ માફી આપવીએ ક્ષત્રિયોનો ધર્મ છે તેવા ઉચ્ચારણો કર્યા હતા. તો આ કાર્યક્રમમાં ખુદ પરશોત્તમ રૂપાલાએ પણ ફરી એકવાર માફી માગી હતી. તો જયરાજસિંહે પણ આ વિવાદનો અંત લાવવા આગવાન કર્યું હતું. 

રાજપૂતોનો વિરોધનું એક કારણ લોકસભામાં એક પણ ટિકિટ ન આપવી તે પણ હોઈ શકે છે. અને આ મામલે રાજ શેખાવત સહિત અનેક લોકો ખુલ્લીને બોલ્યા પણ છે. બીજી તરફ કોંગ્રેસને ગુજરાતમાં બગાસુ ખાતા જાણે પતાસુ મળી ગયું છે. વહેતી ગંગામાં જાણે હાથ ધોવાનો મોકો મળી ગયો હોય તેમ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે પણ સમાજના નામે રાજકીય રોટલા શેકી લીધા.

વિરોધની જ્વાળા ભભૂકી છે અને તેમાં વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે. સ્વાભાવિક છે કે રાજકીય લાભ ખાંટવા માટે વિપક્ષના નેતાઓ પણ આ મુદ્દો વધારે વેગ પકડે તેમાં રસ લેવાના જ છે. પરંતુ રૂપાલાની ટીપ્પણીને કારણે શરૂ થયેલો આ વિવાદ સમાજમાં અંદરો અંદરની લડાઈ ન શરૂ કરાવી દે તે જોવું પડશે. તો સમાજ કોઈનો હાથો ન બની જાય તેનું પણ ધ્યાન રાખવું પડશે. વકરેલો આ વિવાદ જલદી શાંત થાય તે સૌના હિતમાં છે.

એક બાજુ સમગ્ર રાજ્યના રાજપૂતો રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે તો જ સમાધાન કરવાનું કહી રહ્યા છે. બીજી તરફ ગોંડલમાં મળેલા ક્ષત્રિયોના સંમેલનમાં રૂપાલાને માફ કરવા માટે આહવાન કરવામાં આવ્યું...જો કે આ સંમેલન પછી પણ રાજપૂતોનો વિરોધ યથાવત્ જ છે. ત્યારે જોવાનું રહેશે કે આ દિશામાં આગળ શું થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news