મેઘરાજાની તોફાની બેટિંગ: 40 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ

રાજ્યમાં તા. 7 જુલાઇથી અત્યાર સુધીમાં 54 માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. 18 હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત 5,574 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો

મેઘરાજાની તોફાની બેટિંગ: 40 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ

ગાંધીનગર: મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં 24 કલાકમાં અતિભારે વરસાદને પરિણામે માત્ર નવસારી જિલ્લાના વિવિધ ગામોમાંથી 811 લોકોને રેસ્કયૂ કરી તમામના જીવ બચાવી લેવાયા છે. તા. 7 જુલાઈથી આજ સુધી રાજ્યમાં કુલ 1,254 લોકોને રેસ્કયૂ કરાયા છે

મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 40,897 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે જે પૈકી કુલ 25,985 નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે જ્યારે 14,912 નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વરસાદ બંધ થઈ ગયો છે તે તમામ જિલ્લાઓમા સરવે સહિતની કામગીરી સત્વરે કરવા વહીવટી તંત્રને સૂચના આપી છે. મંત્રી ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં હવે ડાંગ અને વલસાડ એમ બે જિલ્લામાં રેડ એલર્ટ છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં 19 એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે 1 ટીમ રિઝર્વ રખાઇ છે.

તેમજ 27 એસડીઆરએફની પ્લાટુન ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની 1 પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે ઓડિશાથી એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ પાંચ ટીમો મંગાવવામાં આવી છે. તેમજ અમદાવાદ, વડોદરા, દમણ, નાસિક, અને મુંબઈ એમ પાંચ જગ્યાએ એરલિફ્ટિંગ માટે હેલિકોપ્ટર-ચોપર પણ સ્ટેન્ડ બાય રખાયા છે.

મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યમાં તા. 7 જુલાઇથી અત્યાર સુધીમાં 54 માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. 18 હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત 5,574 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમાથી 99 ટકા ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં થયેલા વરસાદના કારણે 24 સ્ટેટ હાઈવે, 522 પંચાયતના માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખુબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે.

મંત્રી ત્રિવેદીએ રાજ્યના નાગરિકોને અપીલ કરતાં કહ્યું છે કે, રસ્તા પરથી વહેતા પાણીના વહેણને ઓળંગવાનો પ્રયાસ કરી બિનજરૂરી જોખમ ખેડવું નહીં. સમગ્ર વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે નાગરિકો પણ સંપૂર્ણ કાળજી રાખે તે ઇચ્છનીય છે. રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news