ગુજરાતના 9685 પૈકી 5489 ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો, અન્ય ગામોમાં પણ ચાલી રહી છે કામગીરી

ગુજરાત પર ત્રાટકેલાં વિનાશક તૌકતે વાવાઝોડાને કારણે એક પ્રકારે સમગ્ર રાજ્યનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તો અંધારપટ છવાઈ ગયો હતો. હવે સ્થિતિ સુધારા પર છે. ઉર્જા વિભાગે ઝડપભેર શરૂ કરી છે કામગીરી.

ગુજરાતના 9685 પૈકી 5489 ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો, અન્ય ગામોમાં પણ ચાલી રહી છે કામગીરી

ઝી બ્યૂરો, ગાંધીનગરઃ ગુજરાત પર ત્રાટકેલાં વિનાશક તૌકતે વાવાઝોડાને કારણે એક પ્રકારે સમગ્ર રાજ્યનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં તો અંધારપટ છવાઈ ગયો હતો. હવે સ્થિતિ સુધારા પર છે. ઉર્જા વિભાગે ઝડપભેર શરૂ કરી છે કામગીરી. વાવાઝોડાને કારણે જ્યાં અંધારપટ છવાયું હતું તે ગામડાઓ ઉર્જા વિભાગની ઝડપી કામગીરીને પગલે ફરી જળહળતા થયાં.

ઉર્જા વિભાગના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે ગામડાઓમાં વીજપુરવઠો શરૂ કર્યો છે. હજુ પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યના ૯૬૮૫ પૈકી ૫૪૮૯ ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો. હોવાનું ઉર્જા વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યના વીજ પુરવઠાની વ્યવસ્થા પ્રભાવિત થઇ છે. તેમાં પણ તેજ ગતિથી આવેલા પવનના કારણે વીજ થાંભલા પડી ગયા હતા. તો ક્યાંક સબસ્ટેશનો વીજલાઇનનને મોટું નુકશાન પહોંચ્યુ હતુ. 

આ વાવાઝોડામાં રાજ્યના ૯૬૮૫ ગામોમાં અંધારપટ છવાઇ ગયો હતો જે પૈકી આજે બપોરે ૧૨.૦૦ કલાકની સ્થિતિએ ૫૪૮૯ ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી મુજબ તાઉતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા ભાવનગર, અમરેલી, જામનગર, ગીરસોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ-પુરવઠો પ્રભાવિત થયો હતો. 

ઉર્જા વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી વીજ-પુરવઠો પુનઃસ્થાપિત કરવા કામગીરી હાથ ધરાઇ હતી. અમરેલીના ૬૯૯ પૈકી ૧૨૩, ભાવનગરના ૮૪૩ પૈકી ૧૨૩, જૂનાગઢના ૫૪૯ પૈકી ૪૧૨, ગીર સોમનાથમાં ૩૫૭ પૈકી ૧૨૩, બોટાદના ૨૭૭ પૈકી ૧૫૪ અને સુરેન્દ્રનગરના ૯૫૬ પૈકી ૭૦૫ ગામડાઓનો વીજ-પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સાથે દ્વારકા, જામનગર, કચ્છ અને પોરબંદરના તમામ ગામોમાં વીજ-પુરવઠો પણ શરુ કરી દેવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ વાવાઝોડાથી વીજ-પુરવઠાને ગંભીર અસર થઇ હતી. 

આણંદ, ખેડા, મહિસાગર અને વડોદરાના ગામડાઓમાં વીજળી  પ્રભાવિત થઇ હતી. આણંદના ૩૩૫ ગામડાઓમાં વીજળી પ્રભાવિત થઇ હતી જે પૈકી ૪૦ ગામોમાં વીજ-પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે ખેડાના ૩૦૮ ગામો પૈકી ૮, મહિસાગરના ૯૭ પૈકી ૪૯ અને વડોદરાના ૪૮૮ પૈકી ૩૭૮ ગામડામાં વીજ-પુરવઠો દૂરસ્ત કરાયો હતો. ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીનાં ગામોમાં વીજ સમસ્યા સર્જાઇ હતી. ઉર્જા વિભાગ દ્વારા કર્મયોગીઓની ટીમો બનાવી પ્રભાવિત ગામડાઓમાં વીજ-પુરવઠોને પૂર્વવ્રત કરવા કામ કરી રહ્યા છે. 

અમદાવાદ જિલ્લાના ૫૯૦ પૈકી ૨૯૮, ગાંધીનગરના ૨૨૨ પૈકી ૯૯, અરવલ્લીમાં ૪૮૭ પૈકી ૧૨૯, સાબરકાંઠામાં ૫૧૮ પૈકી ૨૦૨માં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠા અને પાટણના તમામ અસરગ્રસ્ત ગામોમાં વીજ-પુરવઠો પુનઃશરૂ કરી દેવામાં આવ્યો છે. 

જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાથી સૌથી વધુ અસર ભરૂચ, નર્મદા અને  સુરતમાં જોવા મળી હતી .ઉર્જા વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના ૭૮૭ પૈકી ૬૦૯, નર્મદાનાં ૬૪ પૈકી ૪૧ અને સુરતના ૧૩૨ પૈકી ૧૧૬ ગામોમાં વીજ-પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. જ્યારે વલસાડના ૬ અને નવસારીના એક ગામમાં વીજળી શરૂ કરવાની કામગીરી કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news