હજારો પશુઓનો જીવ લેનાર ખતરનાક વાયરસની ફરી ગુજરાતમાં એન્ટ્રી, પશુપાલકોમાં ફફડાટ

lumpy virus gujarat : ભુજની ભાગોળે માધાપરના યક્ષ મંદિર પાસેના વાડાની 6 ગાયોને લમ્પી બીમારીના લક્ષણ જણાતાં જિલ્લા પશુપાલન વિભાગને જાણ કરતાં પશુપાલનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી
 

હજારો પશુઓનો જીવ લેનાર ખતરનાક વાયરસની ફરી ગુજરાતમાં એન્ટ્રી, પશુપાલકોમાં ફફડાટ

Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ગત વર્ષે કચ્છમાં હાહાકાર મચાવનાર લમ્પી વાયરસે ફરી દેખા દીધી છે. ભુજના માધાપર ગામે યક્ષ મંદિર નજીક આવેલી ગૌશાળામાં 6 જેટલી ગાયોમાં લમ્પીના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. હાલમાં સેમ્પલ લઈ તપાસ અર્થે ભોપાલ મોકલવામાં આવ્યા છે. 

સમગ્ર કચ્છમાં જ્યારે લમ્પી વાયરસે કહેર મચાવ્યો હતો, ત્યારે જિલ્લામાં 2168થી વધુ ગાયનો ભોગ લેવાયો હતો. ત્યારે છેલ્લાં 3 દિવસોથી કચ્છની ગાયોમાં ફરી આ વાયરસે દેખા દીધી છે. ભુજની ભાગોળે માધાપરના યક્ષ મંદિર પાસેના વાડાની 6 ગાયોને લમ્પી બીમારીના લક્ષણ જણાતાં જિલ્લા પશુપાલન વિભાગને જાણ કરતાં પશુપાલનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે અને આ ચેપગ્રસ્ત ગાયોને અલગ વાડામાં રાખી દરરોજ તપાસીને ગોળી-દવા અપાઇ રહી છે.

જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલમાં જે છ ગાયના કેસ છે તે કોઈ નવા કેસ નથી અગાઉ આ ગાયોને લમ્પી થયું હતું અને રીકવર થઈ ગયું હતું. પરંતુ તેમાંથી અમુક ગાયોના શરીરે ફરીથી ગાંઠ આવી છે. તેમને અગાઉ જેવા તાવ-નાક ભરાઇ જાય તેવા લક્ષણો નથી. અમુક જૂની તો અમુક જૂનીની બાજુમાં નવી ગાંઠો દેખાઈ છે. નવા કોઈ કેસ નથી નોંધાઈ રહ્યા. તે સિવાય કચ્છમાં અન્ય જગ્યાએ લમ્પી દેખાયાના સમાચાર નથી. જિલ્લાના હાલમાં ઠેર ઠેર ગૌવંશોને લમ્પી રોગથી બચવા તકેદારીના ભાગરૂપે ગાયોને રસીના ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરાઇ છે.

કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે ફરી દેખા દેતા પશુપાલક અને માલધારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લમ્પી વાયરસને ફેલાવતો અટકાવવા કામગીરી હાથ ધરાઇ છે.માધાપર વિસ્તારના અન્ય ગૌવંશના સેમ્પલ લેવામાં આવ્યા છે અને ભોપાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 4થી 5 દિવસોમાં રિપોર્ટ આવી જશે.આ ઉપરાંત આ વિસ્તારમાં ગૌવંશને રસી પણ આપવામાં આવી રહી છે.

ગત વર્ષે ત્રણ મહિના જૂન, જુલાઇ, ઓગસ્ટમાં જિલ્લામાં 4.37 લાખ ગૌવંશને રસીકરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાની જેમ જેમને અગાઉ લમ્પી ચર્મરોગ થઇ ગયો હોય તેમનામાં રસીના કારણે રોગપ્રતિકારક શક્તિ આવી ગઇ હોય. જો કે, હાલ લમ્પી ચર્મરોગની ગાંઠ દેખાઇ રહી છે, તે ગાયોને ગત વર્ષે લમ્પી થયો હતો તેની જૂની ગાંઠો દેખાય છે. જિલ્લામાં હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને માલધારીઓને ગભરાવવાની જરૂર નથી. પશુપાલન વિભાગ દ્વારા પણ માલધારીઓને શંકાસ્પદ લક્ષણો જણાય તેવા ગૌવંશોને અલગ તારવી તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકને જાણ કરવા તેમજ તેવા ગૌવંશને અન્ય વાડામાં આરામ કરવા માટે રાખવા અનુરોધ કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news