હાટકેશ્વર બ્રિજ મુદ્દે મુખ્યમંત્રી થયા એક્ટિવ, કમિશનર પાસે માંગ્યો રિપોર્ટ, વિપક્ષે લગાવ્યો ગંભીર આરોપ

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડના સમારકામ કરી દેવામાં આવતું હતું. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટ જણાય છે, જેમા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી આ બ્રિજ બનાવવામાં આવ્યો હોય તેવું જણાય છે. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી અને કાર્યવાહી કરવી જરૂરી છે.
 

હાટકેશ્વર બ્રિજ મુદ્દે મુખ્યમંત્રી થયા એક્ટિવ, કમિશનર પાસે માંગ્યો રિપોર્ટ, વિપક્ષે લગાવ્યો ગંભીર આરોપ

અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખોખરા અને હાટકેશ્વર વિસ્તારને જોડતા  છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ પાંચ વર્ષમાં જ તૂટી જતાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરીથી તેને રિપેરિંગ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યુ છે. હાટકેશ્વર બ્રિજ ગત ચોમાસામાં પહેલા જ ગાબડું પડ્યું હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. જેથી પાંચ વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા આ બ્રિજને ફરીથી તળ તોડી અને આરસીસી રોડ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રૂ. 90 લાખનો ખર્ચે આ બ્રીજના તળને બનાવવા પાછળ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016-17માં ખોખરાથી હાટકેશ્વરને જોડતા મહારાજા છત્રપતિ શિવાજી ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ વર્ષમાં જ પાંચથી છ વખત બ્રીજ ઉપર રોડ તૂટી ગયો હતો. 

બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચારની આશંકા
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા રોડના સમારકામ કરી દેવામાં આવતું હતું. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સ્પષ્ટ જણાય છે, જેમા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી આ બ્રિજ બનાવવામાં આવ્યો હોય તેવું જણાય છે. બ્રીજ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે તપાસ કરી અને કાર્યવાહી કરવી જરૂરી છે, ત્યારે આગામી સમયમાં શું ભાજપના સત્તાધીશો અને કોર્પોરેશન કોન્ટ્રાક્ટર સામે તપાસ કરશે. નોંધનીય છેકે અગાઉ નવેમ્બર 2021 પછી 2022ના જાન્યુઆરી, એપ્રિલ, જૂન અને ઓગસ્ટમાં ગાબડા પડવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ઝી 24 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને પુછ્યુ તો તેઓ પણ સ્વીકારી રહ્યા છે કે બ્રિજની ડિઝાઇનમાં ખામી હતી. બ્રિજના સેમ્પલ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે, જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળનો નિર્ણય કરીશું. 

ભાજપના વર્તમાન શાષકો જ્યારે સ્વીકારી રહ્યા હોય કે બ્રીજની ડિઝાઇનમાં ખામી હતી તો પછી અનેક પ્રશ્નો ઉઠે એ સ્વાભાવીક છે.... સમગ્ર ઘટનામાં ઝી 24 કલાક પ્રશ્નો પુછી રહ્યુ છે...

- બ્રીજ કોન્ટ્રાક્ટર અજય એન્જીનિયરીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લી ને 40 કરોડના ખર્ચે બ્રીજ બનાવવાનુ કામ સોંપાયુ, તો તેની કોઇ જવાબદારી કેમ નક્કી ન કરાઇ..?

- બ્રીજની ડિઝાઇન બનાવવા માટે ડેલ્ફ કંપનીને પ્રોજેક્ટ કોસ્ટના દોઢ ટકા એટલે કે રૂ.60 લાખની માતબર રકમ ચૂકવાઇ, છતા પણ તેની સામે કેમ કોઇ એક્શન નહી..?

- બ્રીજ બનીને ખુલ્લો મુકાયો એ દરમ્યાન પીએમસી એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્સી તરીકે એસજીએલ પ્રાઇવેટ કંપનીને પણ એજ રીતે રૂ.60 લાખ ચૂકવવામાં આવ્યા. જેનુ કામ બ્રીજની બનાવટ સમયે ગુણવત્તા ચકાસવાનુ હતુ.... તેની સામે કેમ કોઇ પગલા નહી...?

- બ્રીજ બનતો હોય ત્યારે ખાનગી એજન્સીઓ ઉપરાંત એએમસીના ઇજનેરી અધિકારીઓની પણ એટલી જ સુપરવિઝનની અને તમામ મંજૂરીઓ આપવાની જવાબદારી હોય છે, તો લાખ્ખોના પગારદાર એવા ઉચ્ચ ઇજનેરી અધિકારીઓ સામે કેમ કોઇ પગલા નહી...?

- જો વર્તમાન શાષકો સ્વિકારતા હોય કે બ્રીજની ડિઝાઇન ખોટી છે, તો તે સમયના ભાજપી શાષકોએ કેમ કોઇ પગલા ન લીધા, કાણા ઇશાકે કોન્ટ્રાક્ટર અને અન્ય એજન્સીઓને છાવરવામાં આવ્યા.?

વિપક્ષે લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
અમદાવાદમાં હાટકેશ્વર ફ્લાઇ ઓવર વિવાદ મામલે એએમસીમાં વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે 
બ્રિજના કોન્ટ્રાકટર અજય એન્જિનીયર  ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી પર ભાજપના ચાર હાથ છે.  તેમણે કહ્યું કે વર્ષ 2011 માં પણ આજ કોન્ટ્રાકટર પર ભાજપે રાહત વર્ષાવી હતી.  ગોતા રેલવે ફલાયઓવર પ્રોજેક્ટમાં બેદરકારી બદલ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે રૂ.2.36 કરોડની પેનલ્ટી ફટકારી હતી.  તે સમયે ભાજપના સાશકોએ રૂ.2.36 કરદોની પેનલ્ટીમાં રૂ. 2.13 કરોડની પેનલ્ટી માફ કરી ફક્ત રૂ. 23 લાખની પેનલ્ટી યથાવત રાખી હતી 

વિજિલન્સ તપાસની માંગ
માત્ર પાંચ વર્ષમાં હાટકેશ્વર બ્રિજ તૂટી જતાં ભાજપ શાસિત અમદાવાદ મહાનગર પાલિકા પર સવાલો ઉઠી રહ્યાં છે. એએમસીમાં વિપક્ષ નેતાએ કહ્યું કે આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર 132 ફુટ રિંગરોડ પર પલ્લવ ચાર રસ્તા ખાતે ફ્લાયઓવર બનાવી રહ્યો છે. વિપક્ષે આ મુદ્દે વિજિલન્સ તપાસની માંગ કરી છે. વિપક્ષના નેતાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વધુ એક મોરબી કાંડની રાહ જોઈ રહી છે. 

બંધબારણે મળી મોટી બેઠક
અમદાવાદમાં આવેલો હાટકેશ્વર બ્રિજ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. લેબોરેટરીના રિપોર્ટમાં ખુલાસો થયો કે આ બ્રિજની ગુણવત્તા ખુબ ખરાબ છે. આ બ્રિજ છેલ્લા પાંચ-છ મહિનાથી કોર્પોરેશને બંધ કરી દીધો છે. આજે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે આ મુદ્દે બંધ બારણે બેઠક મળી હતી. આ મામલે મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કરતા કોર્પોરેશનના તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ સાથે ગાંધીનગર બોલાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news