પાટીદાર અનામત આંદોલન : રાજદ્રોહ મામલે હાર્દિક પટેલ દિનેશ બાંભણીયા, ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ

ચાર્જ ફ્રેમની પ્રક્રિયામાં ત્રણેયને જજે પૂછ્યું હતું કે, શું તમને ગુનો કબૂલ છે ? ત્યારે ત્રણેય દ્વારા ગુનો ન કબૂલ હોવાની રજૂઆત કરાઈ હતી. ત્રણેય દ્વારા એક સાથે ના પાડવામાં આવી હતી.

પાટીદાર અનામત આંદોલન : રાજદ્રોહ મામલે હાર્દિક પટેલ દિનેશ બાંભણીયા, ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમ

અમદાવાદ/ગુજરાત : રાજદ્રોહના કેસમાં આજે ચાર્જફ્રેમની કાર્યવાહી પૂરી કરી હતી. જેમાં ત્રણેય પાટીદાર નેતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા. ત્રણેયને કોર્ટમાં જજ દ્વારા આગળ બોલાવવામાં આવ્યા હતા. એક લાઈનમાં ઉભા રહેલા ત્રણેયને ચાર્જ ફ્રેમની પ્રક્રિયાની જાણ કરવામાં આવી હતી. અનામત આંદોલન બાદ ફાટી નીકળેલી હિંસાના ગુનાઓની જાણ કરવામાં આવી હતી. જજે પોલીસ દ્વારા નોંધવામાં આવેલા ગુનાઓની વાંચીને જાણ કરાઈ હતી.

પહેલા ગુનો કબૂલવાની ના પાડી

ચાર્જ ફ્રેમની પ્રક્રિયામાં ત્રણેયને જજે પૂછ્યું હતું કે, શું તમને ગુનો કબૂલ છે ? ત્યારે ત્રણેય દ્વારા ગુનો ન કબૂલ હોવાની રજૂઆત કરાઈ હતી. ત્રણેય દ્વારા એક સાથે ના પાડવામાં આવી હતી. તમામ પર ભડકાઉ ભાષણ આપવાનો આક્ષેપ તહોમતનામામાં કરાયો હતો. જોકે, ત્રણેય આ આરોપ સ્વીકારવાની ના પાડી હતી. ત્યાર બાદ જજે ત્રણેયને તહોમતનામા પર સહી કરવા જણાવ્યું હતું. જેમાં ત્રણેયે ઈન્કાર કરતા કોર્ટે ટકોર કરી હતી. બાદમાં ત્રણેયે સહી કરી હતી. તહોમતનામામાં ત્રણેય પર હાલની સરકારને ઉથલાવવાનું ષડયંત્રનો આરોપ લગાવાયો છે. 18 પાનાંની ચાર્જશીટમાં જીએમડીસીમાં કાર્યક્રમ બાદ થયેલા રમખાણો અને તોફાનોનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. 

દિનેશ બાંભણીયાએ કોર્ટમાં નિવેદન આપ્યું કે, પાસ નામની કોઈ રજિસ્ટર્ડ સંસ્થા નથી. બીજી તરફ, દિનેશના ધરપકડ વોરંટને રદ્દ કરાવવા માટેની અરજી કરાઈ હતી, જે કોર્ટે અસ્વીકાર કરી છે. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, કારણો વગર આરોપીઓ કોર્ટમાં ગેરહાજર રહે છે. તેથી નવી કન્ડિશન દાખલ કરવા વિનંતી કરી હતી. ત્યાર બાદ કોર્ટમાં હાજર રહેવાની દિનેશના વકીલે ખાતરી આપી હતી. 

કોર્ટથી નીકળીને હાર્દિકનું નિવેદન

હાર્દિક પટેલે કોર્ટની બહાર આવીને કહ્યું હતું કે, 25 ઓગ્સટના બનાવ બાદ ભાજપીય જનતા પાર્ટીના આદેશ મુજબ બાદ અહીંની પોલીસે અમારી સામે જે કેસ કર્યા હતા, તે કેસ મુજબ આજે ચાર્જફ્રેમ કરી છે. જે અમે સ્વીકારીને સહી કરી છે. સરકાર દ્વારા આંદોલનને તોડવા માટે અસંખ્ય પ્રયાસો કરાયા છે. જેમાં પોલીસ કેસ કરવા, ડરાવવા વગેરે સામેલ છે. પોલીસે ક્યાંકને ક્યાંક ખોટી તપાસ અને રજૂઆતો કરી છે. પાટીદાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, બંધારણીય રીતે તેમને અનામત મળી શકે છે. છતાં પોલીસ દ્વારા ગેરમાર્ગે દોરીને સમગ્ર ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. બંધારણીય રીતે લડાઈ લડાય તેવા તમામ પ્રયાસો કરીશું. દિલ્હીમાં કનૈયા કુમાર પર જે રાજદ્રોહનો કેસ લાગ્યો હતો, સુપ્રિમ કોર્ટે તેને રિજેક્ટ કર્યો છે. ત્યારે ગુજરાતમાં સરકાર અને પોલીસ કોઈ પણ લડાઈ લડે તેને દબાવવાના પ્રયાસ કરે છે. અમે ન્યાય માંગવાનો પ્રયાસ કરીશું. 

ઉલ્લેનીય છે કે, રાજદ્રોહ કેસમાં આજે સવારે પાટીદાર નેતા દિનેશ બાંભણીયાની ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટમાં સતત ગેરહાજર રહેવાને કારણે કારણે દિનેશ બાંબણીયાના ધરપકડ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે બાંભણીયા સામે વોરંટ ઈશ્યુ કરાયું હતું. હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ સામે સેશન્સ કોર્ટમાં રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. રાજદ્રોહ કેસમાં જેલવાસ ભોગવી રહેલા અલ્પેશ કથીરિયાનો હજુ છૂટકારો થયો નથી, ત્યાં તો દિનેશ બાંભણિયાની પણ ક્રાઈમબ્રાંચે આજે ધરપકડ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news