કૃષિ કાયદાના ફાયદા ગણાવવા કાલથી ગુજરાતમાં ભાજપનું કિસાન સંમેલન

કિસાન સંમેલનોમાં કૃષિ સુધારબિલ અંગેના મુદ્દાઓની અને ખેડૂતના હિતકારી પગલાંઓની જાણકારી આપવામાં આવશે અને ખેડૂતોમાં ભ્રમ ઊભો કરીને ગેરસમજ દ્વારા ગેરમાર્ગે દોરનારા કોંગ્રેસ અને ખેડૂતહિત વિરોધી લોકોને ખુલ્લા પાડવામાં આવશે.

કૃષિ કાયદાના ફાયદા ગણાવવા કાલથી ગુજરાતમાં ભાજપનું કિસાન સંમેલન

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ ગુજરાતમાં યોજાનાર કિસાન સંમેલનોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશનાં ખેડૂત સ્વતંત્ર રીતે ખેત પેદાશો વેચી શકે, વચેટીયાઓથી છૂટકારો મેળવી શકે. ન્યુનતમ ટેકાના ભાવે MSP ની વ્યવસ્થા અને સરકાર દ્વારા પણ ખરીદી ચાલુ રહે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતની આવકને બમણી કરવા સતત પ્રયાસો કરી રહ્યાં છે. કૃષિ સુધારબિલ કિસાનની સ્વતંત્રતા, કિસાનહિત અને કિસાન ઉત્કર્ષ માટે છે. તેનો વધુને વધુ પ્રચાર કરવા માટે કેન્દ્રીય ભાજપે દેશમાં 700 પત્રકાર પરીષદો અને 700 સ્થાનો ઉપર કિસાન સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ ગુજરાતમાં 10 કિસાન સંમેલનો યોજવાનો નિર્ણય કર્યો છે અને 10 પત્રકાર પરિષદ પણ યોજાશે. આ સંમેલનોમાં પ્રદેશ અગ્રણીઓ, સંસદસભ્ય, ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે.

આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જી એ સુરત ખાતેથી કિસાન સુધારબિલ, કિસાનહિતના નિર્ણયો,યોજનાઓની જનજાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજી હતી. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, તા.17 ડિસેમ્બરના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી બારડોલી ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ જી. ના મોરવા હડફ, કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમભાઈ રૂપાલાજી રાજકોટ જી.ના પડધરી, રાજય કૃષિ મંત્રી આર.સી.ફળદુજી અમરેલી જી.ના સાવરકુંડલા તેમજ બનાસકાંઠાના ડિસામાં  ગોરધનભાઈ ઝડફિયા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને કિસાન હિતકારી નિર્ણયોની માહિતી આપશે. 

તા.18 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવસારી જી.ના ચિખલી અને તા.19 ડિસેમ્બરના રોજ આણંદ જીલ્લાના કરમસદ ખાતે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા કચ્છ જી.ના માધાપર, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જૂનાગઢ જીલ્લાના કેશોદ અને કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમભાઈ રૂપાલાજી મહેસાણાના વિજાપુર ખાતેના કિસાન સંમેલનોમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપશે. 

આ કિસાન સંમેલનોમાં કૃષિ સુધારબિલ અંગેના મુદ્દાઓની અને ખેડૂતના હિતકારી પગલાંઓની જાણકારી આપવામાં આવશે અને ખેડૂતોમાં ભ્રમ ઊભો કરીને ગેરસમજ દ્વારા ગેરમાર્ગે દોરનારા કોંગ્રેસ અને ખેડૂતહિત વિરોધી લોકોને ખુલ્લા પાડવામાં આવશે. તેમ પંડયા એ અંતમાં જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news