ZEE 24 કલાકના શંખનાદ 2022 કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે ખાસ વાતચીત

ZEE 24 કલાકના મંચ પરથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે વિધાનસભા ચૂંટણીને લઇ કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે આવો જાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું...

ZEE 24 કલાકના શંખનાદ 2022 કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે ખાસ વાતચીત

ઝી બ્યુરો, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ZEE 24 કલાકે રાજનીતિના તમામ પક્ષોના ધૂરંધર નેતાઓને અમે એક મંચ પર બોલાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ મહાનુભાવો સાથે મિશન 2022 ની રણનીતિ પર ચર્ચા કરી રહ્યું છે. ત્યારે ZEE 24 કલાકના મંચ પરથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે વિધાનસભા ચૂંટણીને લઇ કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ત્યારે આવો જાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષે શું કહ્યું...

સવાલ:- મહાસંગ્રામમાં તમામ પાર્ટીઓએ પોતપોતાના હથિયારો તૈયાર કરી લીધા છે. ભારતીય જનતા પાર્ટીની કેવી તૈયારી છે કારણ કે, 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું આ રાજ્યમાં શાસન છે અને જે પરંપરા છે તેને જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટી તમારા શુકાની પદ હેઠળ કેવી તૈયારી કરી રહી છે...

જવાબ:- ગુજરાતના લોકોની જે માનસિકતા છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે. ઇલેક્શન કોઈપણ હોય. નજીકના ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે, ગુજરાતના બાય ઇલેક્શન હતા, વિધાનસભાના ઇલેક્શન હતા, સ્થાનિક સ્વરાજના ઇલેક્શન હતા અને હવે આવનારા વિધાનસભાના ઇલેક્શનની વાત છે. આ વખતે ગુજરાતના સૌ મતદાતા ભાઈ-બહેનોએ મન બનાવ્યું છે કે, ગુજરાત પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીના રેકોર્ડ બ્રેક કમળો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને મળવાના છે. એટલા માટે જે રીતે લોકોએ માનસિકતા બનાવી છે એનાથી શંખનાદ ફૂકતા પહેલા જ ભારતીય જનતા પાર્ટી તૈયારી સાથે લોકોના સાથ સહકાર સાથે આગળ વધેલી છે.

સવાલ:- 20 જુલાઈ 2020 જ્યારે તમે પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. ત્યારથી 2022 નો આ જે પડાવ છે એ એક સૌથી મોટો પડાવ છે કારણ કે, નિકાય ચૂંટણી થઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, પેટા ચૂટણી થઈ એમાં અભૂત પૂર્વ વિજય તમે પ્રાપ્ત કર્યો, તમારી પાર્ટીએ પ્રાપ્ત કર્યો છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ માટે 2022 એક સૌથી મોટો પડાવ છે. કેવી રીતે આ પડાવને પાર કરશે ભારતીય જનતા પાર્ટી...

જવાબ:- 2020 જુલાઈ એ દરમિયાન આજ દિન સુધીમાં સવા બે વર્ષ જેટલો સમયગાળો રહ્યો છે. એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જે ઘરોબો વધ્યો છે. પ્લાનિંગ સાથે કામ કરવાની જે સિસ્ટમ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે શીખ્યા છીએ, લોકોના હિત માટે જે કામ કરવું. લોકોના અધિકારોને તેમના સુધી પહોંચાડવા એ પ્રયત્ન સતત ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં હોય કે સરકારમાં હોય એ સતત કરતી આવી છે અને એના કારણે લોકોમાં એક લોકચાહના પણ છે અને આજ નજીકના ભૂતકાળમાં આપણે એ પ્રેમ, લોકોનો એ વિશ્વાસ આપણે જોયો પણ છે.

સવાલ:- તમારા કાર્યકર્તાઓ સાથે તમારા નેતાઓ સાથે હંમેશા વાત થતી હોય છે. એક મીઠી ફરિયાદ અધ્યક્ષજી માટે હોય છે કે, એમનો સ્વભાવ કડક છે. પોલીસવાળો સ્વભાવ છે. હજુ પોલીસવાળો સ્વભાવ છૂટ્યો નથી અધ્યક્ષજીથી...

જવાબ:- પોલીસનો હોય અને કડક હોય એવું માની લેવાની જરૂર નથી. હું આજે પણ અહીંયા એક કાર્યકર્તા તરીકે છું. પણ કાર્યકર્તાઓને પણ સમયસર કામ કરવાની આદત પડે અને ઝડપમાં કામ પૂરુ થાય એવી આદત નાખવાનો મારો પ્રયત્ન કે આગ્રહ પણ હોય છે. ઉચ્ચાલનના નિયમનો અમલ કરવો જોઇએ. એવું હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું અને અમલ પણ કરતો આવ્યો છું. મારા આવ્યા પછી મેં નવું કશું નથી કર્યું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે, ગૃહમંત્રી અમિત શાહ સાહેબે અને બાકીના સૌ આગેવાનોએ જે રીતે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સિંચન કર્યું છે. એના કારણે કાર્યકર્તાઓમાં કોઈપણ ઇલેક્શન લડવા માટે એમની તૈયારીઓ પણ હોય છે. પરંતુ એમાં થોડુંક ફેન્ટુનિક કરીને, થોડોક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમયસર કામ પુરૂ કરવાનો મારો જ્યારે આગ્રહ હોય છે. ત્યારે હું એવુ માનું છું કે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ મારા કરતા પણ વધુ સમયસર કામ કરાવવા માટે ટેવાયેલા છે. અમે જ્યારે પેજ કમિટી બનાવવાની વાત કરતા હતા. અમારો ટાર્ગેટ હતો 75 લાખ પેજ કમિટિ બનાવવાનો. આજે અમે 80 લાખથી વધુ પેજ કમિટી બનાવી ચૂક્યા છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતની કારણે, એમના સંપર્કના કારણે આ બની શક્યું છે. એટલા માટે હું એમનો આભારી છું. એ સૌને હું વંદન પણ કરું છું. એમણે ખુબ સમયસર આ કામ પુરૂ કર્યું છે.

સવાલ:- 2022 નું પ્લાનિંગ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે કર્યું છે. તમારી આગેવાનીમાં જે રીતે પ્લાનિંગ થયું છે. ડિજિટલ માધ્યમનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે. ટકેનોલોજીનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે. કાર્યકર્તાઓનું એક મોટું જાળું બનાવી દેવામાં આવ્યું છે અને આ જાળામાં આવનારા સમયમાં વિપક્ષ ફસાઈ જશે. પણ આટલું મોટું જે કાર્યકર્તાઓનું જાળું બનાવ્યું છે, હોદેદારોનું જાળું જે તમે બનાવ્યું છે. એમાં જે 182 સીટના ટાર્ગેટ સાથે તમારા કાર્યકર્તા ચાલી રહ્યા છે. તમને એવું નથી લાગતું કે આ જે ટાર્ગેટ છે એ અશક્ય છે...

જવાબ:- મેં તો મારા મનની ઇચ્છા બતાવી હતી. મને યાદ છે કે હું કેટલાય મહિનાઓથી ખૂબ યાદ રાખીને હું આ ફિગર બોલતો નથી. આ તો આખા ગુજરાતના લોકો બોલે છે. આખા ગુજરાતના કાર્યકર્તાઓ બોલે છે કે આ વખતે આ ટાર્ગેટ પર પહોંચવું છે. મેં એમનો ઉત્સાહ વધાર્યો. મેં એનું પ્લાનિંગ કરી આપ્યું. હું તો અમણા પણ મિટિંગોમાં કહેતો આવ્યો છું. અમે એ સીટો પણ જીતીશું અને એ બધી સીટો 50 હજારથી વધુ લીડ સાથે જીતીશું. આ કોઈ વધુ પડતો આત્મવિશ્વાસ નથી. પરંતુ એની પાછળ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ઇલેક્શન લડવાની જે રીતો શીખવી છે એમના હાથ નીચે કામ કરતા કરતા જે શીખ્યા છે. અમિત શાહ સાહેબ વારાણસીમાં એટલે કે યુપીમાં અને બિહારનો હું સહ પ્રભારી હતો ત્યારે પણ એ લગભગ 19-20 મુદ્દા લઈને ચાલતા હતા. એટલા જ મુદ્દા લઇને જો કાર્યકર્તા કામ કરે તો એ ક્યારે ઇલેક્શન હારે નહીં. આજે પણ હું એ વાત સાથે સંમત છું અને આ બધા જ એમણે સૂચવેલા નિયમો છે એનો અમલ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના વલણમાં, એના ચલણમાં, એના વ્યવહારમાં, એના વર્તનમાં એ સતત કરતા હોય છે અને એટલે જ જે ભવ્ય વિજયની તમે જે વાત કરી ત્યાં સુધી પહોંચવાની અમને ખાતરી છે.

સવાલ:- કાર્યકર્તાઓમાં એક ડર પણ હોય છે કે, પાટીલ સાહેબ ગમે ત્યારે સિટિંગ MLA ની ટિકિટ પણ કાપી નાખશે. કારણ કે જે રીતે નો રિપીટ થિયરીને ફોલો કરે છે પાટીલ સાહેબ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી. જેના કારણે કાર્યકર્તાઓમાં ભયની સ્થિતિ બનેલી છે કે, કેવી રીતે 2022 માં સિનિયોરિટી ધરાવે છે જે નેતાઓ આપની પાર્ટીના શું એ લોકોને ફરી તક મળશે કે નવા લોકોને તક આપવામાં આવશે...

જવાબ:- સીઆર પાટીલને કોઈપણ ધારાસભ્યની ટીકીટ કાપવાની સત્તા જ નથી. મેં જાહેરમાં એક નહીં અનેક વખત કહ્યું છે કે, લગભગ બે- સવા બે વર્ષના ગાળામાં આખું ગુજરાત ખુંદી વળ્યો છું. લગભગ 1 લાખ 32 હજાર કિલોમીટર હું બે વર્ષમાં ફર્યો હતો. પુથ્વીની પ્રદક્ષિણા કરવા માટે 40 હજાર કિલોમીટર ફરવું પડે. તો ત્રણ પ્રદક્ષિણા પુરી થઈ અને ચોથી ચાલુ છે. પણ પ્રદક્ષિણા કરવાથી કે પ્રવાસ કરવાથી કાર્યકર્તાની ઓળખ થાય છે. પણ કાર્યકર્તાની તાકાતને જાણવી હોય તો એના માટે વર્ષો લાગી જતા હોય છે અને એટલે જો આવો નિર્ણય મારે કરવાનો હોય તો હું ઘણી મોટી ભૂલો કરી શકું. એટલા માટે જ મેં જાહેરમાં કહ્યું છે, જે પણ લોકો ટિકિટ માંગશે એ તમામના બાયોડેટા અમે આદરણીય પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબને મોકલીશું. એમને એક-એક વિસ્તાર, એક-એક જ્ઞાતી, એક-એક કાર્યકર્તા, એમની તાકાત, પોઝિટિવિટી, નેગેટિવિટી આ બધુ જ ખબર છે. એટલા માટે એ જે નિર્ણય કરશે એ ખુબ જ સારો નિર્ણય ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે કરશે. એટલે હું તમારા માધ્યમથી ફરીથી કહું છું એક તો જે કોઈના મનમાં ડર આવ્યો હોય, એવું મને લાગતું નથી પણ આવ્યો હોય તો એ બાધા આપ સૌ મીડિયાના માધ્યમથી આવ્યો છે. કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે, આવો ડર ના રાખે, મીડિયાનું કામ છે ગભરાવવું. બીજુ કે મેં એક જગ્યાએ કહ્યું હતું કે 100 જેટલા નવા ઉમેદવારો આવશે. મીડિયા તો ન્યૂઝ આપે, વ્યૂઝ આપે, ટ્વીસ્ટ આપે, મેં એમાં ખુલસો પણ કર્યો હતો કે આજે અમારી પાસે 112 ધારાસભ્યો છે તો 182 માંથી 112 જાય તો 70 વધે છે. સ્વભાવીક છે કે કેટલાક લોકો પોતે ના પાડે લડવા માટે, કેટલાક લોકોને કોઈને કોઈ કારણસર એમને ટિકિટ ના અપાય. તો બીજા એવા 20 થી 25 લોકો તો હોઈ શકે. એટલે આવા 90 થી 100 લોકો અમારે નવા શોધવાના જ છે. તો એમાં મેં કોઈ ખોટું કહ્યું નથી. પરંતુ મીડિયાએ એવું લખ્યું કે 100 જે સિટીંગ છે એ કપાઈ જશે. આ ભય તો તમે લોકોએ જ ઉભો કર્યો છે. એટલે આવો ભય પેદા કરવાનો પ્રયત્ન ના કરો. કોઈને ખોટો એટેક આવી જાય.

સવાલ:- નો રિપીટ થિયરની બોલબાલા ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી છે અને ખાસ કરીને 60 વર્ષની વય મર્યાદા અને ત્રણ ટર્મની જે વાત કરવામાં આવે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું. તો શું આ નિયમ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લાગું થશે...

જવાબ:- કેન્દ્રની અંદર હંમણા સુધી 75 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે. એમાં બાંધછોડ કરવી રિપીટેશન, નો રિપીટેશન, કેટલી ટર્મ આ બધુ જ નક્કી કરવાની પૂર્ણ સત્તા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ પાસે છે. એટલે એના પર ટિપ્પણી કરવાનો પણ મને કોઈ અધિકાર નથી. પણ એટલે હું નિશ્ચિત કરવા માગુ છું આપના માધ્યમથી કાર્યકર્તાઓને, જે ટિકિટ માંગવા આવે છે અને જે સિંટિગ છે એમની. ઓછામાં ઓછો મારાથી ડર ના રાખે કે, હું કોઈની ટિકિટ કાપીશ. હું ખરેખર નથી કાપવાનો. મારો એકમાત્ર ધ્યેય છે જેને પણ ટિકિટ મળશે. એમના સૌ કાર્યકર્તાઓની જ અમારી પાસે ટીમ છે. ટીમ તો નાનો શબ્દ હોય છે. ટીમ તો 10-11 જણની ક્રિકેટની ટીમ હોય. અહીં તો કરોડો લોકો છે અને એમના સાથ અને સહકારથી જે અમે ટાર્ગેટ નક્કી કર્યો છે એને એચિવ કરી શું એવો મને વિશ્વાસ છે.

સવાલ:- સરકાર અને સંગઠન આ બંને એક લયમાં ચાલે તો જ કામ થાય તો જ લોકોના પ્રશ્નનોનું નિરાકરણ આવે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવ્યા પછી, નવું મંત્રીમડળ આવ્યા પછી એવું લાગી રહ્યું છે કે સરકાર અને સંગઠન બિલકુલ લયમાં કામ કરી રહ્યા છે. પરંતુ તમે શું માનો છો પહેલા કરતા સારી સ્થિતિ બની ગઈ છે હવે સરકાર અને સંગઠનના સમન્વયની...

જવાબ:- સરકાર અને સંગઠનની સ્થિતિ પહેલા પણ સારી હતી અને હાલ પણ સારી છે. સ્વાભાવીક છે નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓની ટીમ છે. એટલે સંકલન પણ સારી રીતે કરે છે અને એમના નિર્ણયો અને નિર્ણયોનો અમલ પણ ખુબ સારી રીત કરે છે. સંગઠન અને સરકાર વચ્ચે વિવાદ થયો હોય પહેલા કે હંમણા આવો એકપણ બનાવ કોઈના જોવામાં કે જાણવામાં નહીં આવ્યો હોય. એનો અર્થ જ છે કે સંગઠન અને સરકાર બંને ખુબ સારી રીતે કામ કરે છે અને ગુજરાતના હિતમાં કામ કરે છે અને એ હોવું પણ જોઇએ એવું મને લાગે છે.

સવાલ:- સરકાના તમામ મંત્રીઓને બદલવામાં આવ્યા, મુખ્યમંત્રીને બદલવામાં આવ્યા એની પાછળનું મુખ્ય કારણ શું...

જવાબ:- આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મને જણાવશે ત્યારે જવાબ આપી દઈશ હું. પણ ઘણીવાર ચેન્જ બહુ મહત્વનો હોય છે અને ઘણીવાર ચેન્જ જરૂરી પણ હોય છે અને ઘણીવાર લોકો પણ ચેન્જની અપેક્ષા કરતા હોય છે. વર્ષો સુધી જેમણે સરકારમાં કામ કર્યું હોય એમને સંગઠનમાં લઈ જવા, સંગઠનમાં કામ કર્યું એમને સરકારમાં લઇ જવા એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે. ગુજરાતમાં હોય કે કેન્દ્ર સરકારમાં. તમે જોયું હશે કે ઘણા બધા સિનિયર મંત્રીઓને સંગઠનમાં લઇ જવામાં આવ્યા, પહેલા પણ સંગઠનમાંથી સરકારમાં લઇ જવાના અનેક કિસ્સા છે. એટલે કે ગુજરાતમાં એક સાથે આ બનાવ બનાવાને કારણે થોડું લોકોને આશ્ચર્ય થયું છે એમ. પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે કોઈ નિર્ણય લે છે એ ખુબ લાંબાગાળાનું વિચારીને લેતા હોય છે. એ ગુજરાતના હિતમાં લેતા હોય છે. એમનો એકમાત્ર લક્ષ્ય છે જીવનનો એ જે લોકોની સેવા કરવી અને એમાં સૌથી વધારે ગુજરાતની સેવા કરવી.

સવાલ:- 2022 સૌથી મોટો પડાવ છે અને આ જે પડાવ છે, ચુનોતી છે, આ જે મહાસંગ્રામ છે એમાં એક વાઈલ કાર્ડ એન્ટ્રી થઈ છે. ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટલી આમ આદમી પાર્ટીની એન્ટ્રીને આ મહાસંગ્રામમાં કેવી રીતે જુએ છે. તેમાના માટે આ એક પડકાર છે કે નથી...

જવાબ:- ભારતીય જનતા પાર્ટી માટે કોઈપણ પાર્ટી પડકાર નથી. તમે એને પાર્ટી તરીકે સંબોધન કરો છો મને તો એ જ આશ્ચર્ય થાય છે. મેં હંમણા એક મેસેજ જોયો હતો એમાં એવું લખ્યું હતું કે, પાણીના વરાળમાંથી એન્જિન ચલાવવાની શોધ કોઈ એક વ્યક્તિએ કરી હતી અને પાણીની વીજળી મફત આપવાની જાહેરાત કરી કરીને સરકાર બનાવવાની શોધ કોઈ એક વ્યક્તિએ કરી હતી. પાણીમાંથી વરાળ બનાવીને એન્જિન ચલાવવું એ સક્સેસ ફૂલ છે. પણ આ જે બાકીનું છે, પાણી અને વીજળી મફત આપવાના વાયદાઓ કરી સરકાર બનાવવું અને લોકોને ગેરમાર્ગે દોરવા, લોકોની અપક્ષાઓ, એમની સાથે વિશ્વાસઘાત કરવો. એવી જેની પરંપરા રહી છે. જેમણે વર્ષો સુધી અન્ના હજારેથી માંડીથીને પ્રશાંત ભૂષણ, શાંતિલાલ ભૂષણ, યાદવ, કુમાર વિશ્વાસ એવા અનેક લોકોને પગથીયા બનાવીને ઉપર ચઢડ્યા હોય અને આ દરેકની ભાવના એમ છે કે એમની સાથે વિશ્વાસઘાત થયો હોય. એમણે આપેલા અનેક વચનનોનું સરેઆમ ઉલ્લઘન કર્યું છે એટલે વિશ્વાસ લોહીમાં જ નથી. એવી વ્યક્તિની વાત કરવાની પણ હું જરૂરીયાત જોતો નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને જ્યારે અધ્યક્ષની જવાબદરી મળી એના લગભગ 2 વર્ષ ઉપર થઈ ગયા. તો મેં મારા કોઈપણ નિવદેનમાં ક્યારે કોઈપણ પાર્ટી કોંગ્રેસ હોય કે આ બીજી તમે કહી તે પાર્ટી હોય, મેં એનું ક્યારે નામ લીધું જ નથી. હું એવું માનું છું કે મેં કરેલા કામો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જન હિતમાં દરેક સેક્ટરના લોકો માટે બહેનો હોય, યુવાનો હોય, ખેડૂતો હોય, માછીમાર ભાઈઓ માટે હોય, આદિવાસી ભાઈઓ હોય દરેકના દરેક સેક્ટરના લોકોને કોઈને કોઈ લાભ અથવા એમની યોજના પૂર્ણ થયા અનેક યોજના બનાવી અને એ યોજનાઓને અમે જમીન પર ઉતારી છે અને આપે જોયું હશે કે આ દરેક યોજના જે તે જિલ્લામાં તેના તમામ લાભાર્થીઓ સુધી પહોંચે એના માટે એના સફતાપૂર્વકના પ્રયત્ન પણ કર્યા છે. એટલે કોઈ રેવડી નહીં, યોજના બનાવી અને લોકો સુધી પહોંચાવી આ બંને મહત્વના કામો પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે પણ અને પ્રધાનમંત્રી તરીકે પણ કર્યા છે. એમનું જે ભાથું અમારી પાસે છે અને અમારા કાર્યકર્તાઓનું જે સંગઠન છે એ કાર્યકર્તાઓ તરીકે અમને મળેલી જવાબદારી અમે સુપ્રિય નિભાવીએ છે. અમારું કામ છે કે છેવાડાના માનવી સુધી આ યોજનાઓ લઈ જવી એને લાભાન્વિત કરવો. એના સુખ દુ:ખમાં એની સાથે ઉભા રહેવું. એ જે પરંપરા રહી છે એના અનેક દાખલાઓ છે. કોરોના સમયની અંદર પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ 17 હજારથી વધુ આઇસોલેશન સેન્ટરના બેડ બનાવ્યા એમાં લગભગ 91 હજારથી વધુ કોરોનાના દર્દીઓ દાખલ થયા અને ત્યાં ડોક્ટરોની એમણે વ્યવસ્થા કરી, ઓક્સિજનની વ્યવસ્થા કરી, રેમડેસિવિરની વ્યવસ્થા કરી પણ એ ઉપરાંત જે જરૂર હતી એ લગાણી, એ લાગણી પણ એમણે પીરસી. આ દર્દી પાસે એમના ઘરના મેમ્બર આવતા ન હતા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યર્તાઓ એમના બેડ પર બેસીને એમને ખવડાવતા, એમની સાથે પત્તા રમીને એમનો ટાઈમપાસ કરતા હતા. એમની સાથે કેરમ રમતા હતા. એમની સાથે ગીતો સાંભળતા હતા અને વોશરૂમ જવું હોય તો એમને હાથ પકડીને લઇ જતા હતા. મને ગર્વ સાથે હું કહી શકું છું આજે 91 હજાર જે દર્દીઓ કોરોનાના આઇસોલેશન સેન્ટરમાં આવ્યા એમાં એકપણ દર્દી હોસ્પિટલમાં નથી ગયો એ ત્યાંથી સાજો થઈને પાછો ઘરે ગયો છે. એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોરોનાના જોખમથી પણ ડર્યો નથી. કોરોનાના કારણે મને ચેપ લાગશે તો શું થશે એની પણ એણે ચિંતા નથી કરી. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કોરોના સમયની અંદર બીજા દેશમાંથી વેકસીન આવશે તેની રાહ જોયા વગર આપણા જ દેશોના વૈજ્ઞાનિકોને એમને મહત્વ આપ્યું, એમને પ્રોત્સાહિત કર્યા, એમને મદદ કરી અને એમના દ્વારા એક નહીં બે વેક્સીનની શોધ કરી અને એમણે એ આખા 200 કરોડથી ઉપર 212 કરોડથી વધુ આ વેક્સીન એમણે ફ્રીમાં આપી. આ વેક્સીન રેવડી એ નથી. એની જરૂરીયાત હતી. માની લો કે આ વેક્સીન ના ખરીદી શકે તો એ વક્સીન વગરના હોય કે જેમણે વેક્સીન લીધી હોય એમના માટે પણ ભય ઉભો કરે. એટલા માટે જરૂર હતી કે આખા દેશના લોકોને આ વેક્સીન મળવી જોઇએ. એના માટે એમણે પુરતા પ્રયત્ન કર્યા, વ્યવસ્થા ગોઠવી, આખી દુનિયાના કોઈપણ દેશોમાં 200 કરોડથી વધુ વેક્સીન એના દેશના કોઈ નાગરીકોને ફ્રીમાં નથી મળી. એ અહીંયા આપણા દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી છે.

સવાલ:- જે રેવડીની વાત કરવામાં આવી રહી છે એ છલાવો છે અને એ રેવડી મીઠી નહીં હોય ગુજરાતની જનતા માટે...

જવાબ:- રેવડી વેચવાવાળા દેશોની સ્થિતિ શું થઈ છે ને કે લોકો બ્રેડના એક ટુકડા માટે કઈ સ્થિતિમાં મુકાયા એ આપણે જોયું છે. એટલે માટે હું એવું માનું છું કે આ જે પ્રયત્ન છે. આ અર્બન નક્સલ લાઈટની જે વાત આદરણીય મુખ્યમંત્રીએ કરી અહીં રિપીટ થયા છે કે જે આ વ્યવસ્થા છે. ગુજરાત સમ્રુદ્ધ છે. આખા દેશની અંદર સૌથી સમ્રુદ્ધ રાજ્ય છે. આખા દેશના લોકો સ્વીકારે છે કે ગુજરાતના લોકો ખુબ સારા છે. એમને ડિસ્ટ્રિબ કરવા, એમનું જીવન ધોરણ ડિસ્ટ્રિબ કરવું અને એમની આંખમાં ખુચે છે. આ પ્રગતી દરેક ક્ષેત્રની અંદર અને એટલા માટે આ ગુજરાતને ડિસ્ટ્રિબ કરવા માટે આ આખું ષડયંત્ર છે, જે ગુજરાતને કચ્છને અને સૌરાષ્ટ્રને પાણીની જરૂર હતી. નર્મદાનું પાણી વહી જતું હતું. ખુબ પ્રયત્ન કર્યો અને એ પાણી પહોંચાડવા માટે એમાં અવરોધ જો સૌથી વધુ ઉભો કર્યો એ મેઘા પાટકરે કર્યો. જે ગુજરાતની વિરોધી રહી એણે આટલા વર્ષો પાણીથી વંચિત રાખ્યા સૌરાષ્ટ્રને અને કચ્છને અને એ વ્યક્તિને જે ગુજરાત વિરોધી છે. એને જો કોઈએ ટિકિટ આપી તો એ આપ પાર્ટીએ આપી. આવા લોકોને જો ટિકિટ આપીને પ્રોત્સાહીત કરતા હોય, આવા લોકો એ પાર્ટીના મેમ્બર હોય એને ગુજરાત ક્યારે સ્વીકારી શકે નહીં.

સવાલ:- મફત વીજળી અને મફત શિક્ષણની પણ વાત કરવામાં આવ છે અને ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા એના પર પણ વાર કરવામાં આવ છે. કેવી રીતે જવાબ આપશે સંગઠન અને સરકાર...

જવાબ:- જો ગુજરાતમાં શિક્ષણ આજે પણ ફ્રી જ છે. પણ કેટલાક લોકોને બોલે તેના બોર વેચાય તેવી વાત છે. એટલે કે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કોઈ એક શહેરની અંદર કે એક નાના રાજ્યમાં 1500 સ્કૂલ હોય અને ગુજરાત જેવા રાજ્યમાં 40 હજાર સ્કૂલો હોય અને એમાં સ્માર્ટ બોર્ડ સુધીની વ્યવસ્થા હોય, અંતરીયાળ ગામ સુધી કે જ્યાં આદિવાસી ક્ષેત્રમાં ખુબ જ ઓછી વસ્તીના બાળકો, ઓછી સંખ્યામાં બાળકો ભણતા હોય. ત્યાં પણ સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટક્ચર સાથેની સ્કૂલો ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં બની હોય અને કોઈ વ્યક્તિ આવી ને કહે કે ના અહીંયા શિક્ષણ સારું નથી. કયુ માપદંડ છે એની પાસે. ગોબેલ્સ જે ખોટો પ્રચાર કરવા માપ વાપરતો હતોને મને એના વંશજ લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news