સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના અધૂરા રહી ગયેલા ગરબાને પૂરા કરશે સુરતનું એક ગ્રૂપ

આ ગરબા રસિકોનું ગ્રુપ ભગવતીકુમાર શર્મા દ્વારા લખાયેલા તેમના અંતિમ ગરબા પર ગરબા કરશે

સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના અધૂરા રહી ગયેલા ગરબાને પૂરા કરશે સુરતનું એક ગ્રૂપ

ચેતન પટેલ/સુરત :અનન્ય ખ્યાતિ ધરાવતા સુરતના સાહિત્યકાર એવા ભગવતીકુમાર શર્માએ સાહિત્ય જગતમાં પોતાની કિર્તી એવી રીતે દર્શાવી કે તેમના સ્વર્ગવાસ બાદ પણ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય આજે પણ જીવંત છે. ત્યારે તેમના જીવનકાળ દરમ્યાન લખાયેલા પરંતુ અધૂરા રહી ગયેલા ગરબા પર સુરતનું એક ગરબા રસિકોનું ગ્રુપ પ્રાચીન ગરબા કરી તેમને શ્રદ્ધાંજલિ આપશે.

કોરોનાને કારણે આ વર્ષે અન્ય તહેવારોની જેમ નવરાત્રિના તહેવારને પણ ગ્રહણ લાગ્યું છે, ત્યારે સુરતનું ગરબા રસિકોનું ગ્રુપ કંઈક અનોખી જ રીતે ગરબા રમશે. એટલું જ નહિ, સુરતના અનન્ય સાહિતકાર એવા ભગવતીકુમાર શર્માને પણ તેમજી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અપાશે. આ ગરબા રસિકોનું ગ્રુપ ભગવતીકુમાર શર્મા દ્વારા લખાયેલા તેમના અંતિમ ગરબા પર ગરબા કરશે. સાથે જ ગરબાના સ્ટેપ્સમાં ખાસ કરીને પ્રાચીન ગરબાને મહત્વ આપ્યું છે. જેમાં માથા પર એકથી વધુ બેડાં, ગરબી, મઢ, મઠ, દીવા, ઘંટ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી કોરોનાને કારણે સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે વિષયે પણ ધ્યાન કેન્દ્રિત કરીને સ્ટેપ બનાવ્યા છે. 

આ પણ વાંચો : સુરત: ONGCમાં ગેસ પાઈપલાઈન લીકેજ બાદ મોટો બ્લાસ્ટ, આજુબાજુના મકાનોના કાચ પણ તૂટ્યા

કોરોનાને કારણ નવરાત્રિના કાર્યક્રમો જાહેર સ્થળોએ યોજાવા અંગે મૂંઝવણ છે, ત્યારે ગ્રુપ દ્વારા એવું પણ આયોજન કરવામાં આવશે, જેમાં સોસાયટીઓ કે એપાર્ટમેન્ટના લોકો ધાબા ઉપર અથવા તો બાલ્કનીમાં રહીને ગરબા રમી શકે. જેથી તહેવારનું મહત્વ પણ જળવાઈ રહે, અને શોખ પણ પૂરો થાય. જેને માટે ઓનલાઇન સ્પર્ધા પણ યોજાશે. જેમાં માસ્ક અને સેનેટાઈઝરને પણ ફરજીયાત સાથે રાખવામાં આવશે. મમતા રાવલ દ્વારા તેનું સ્વરાંકન કરાયું છે, તો જાનકી રાવલ અને આર્જવ રાવલ દ્વારા આ ગરબો ગવાયો છે. કોરિયોગ્રાફર ચિંતન વસીએ જણાવ્યું કે, 'ગયા કમળ મારા તારા મંદિરીયામાં ઘંટારાઓ રોમ રોમ વાગે છે' આ ગરબો મધ્યરાત્રિના ત્રણ રાગ સાથે સંકળાયેલો છે અને આ ગરબો સ્વ. ભગવતીકાકાએ લખ્યો છે અને કોરોનારૂપી મહિસાસુરનો વધ કરવાની શક્તિ તેમણે તેમના ગરબા થકી ગરબા રસિકને આપી છે. જ્યારે તેનો નાદ સમગ્ર દેશમાં સંભળાશે ત્યારે તેમને સાચી શ્રદ્ધાંજલિ મળશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જરૂરી નથી કે ગરબા પાર્ટી પ્લોટમાં જ રમાય. આપણે ગરબા માતાજીની આરાધના માટે આપણે રમીએ છીએ તો નવા કન્સ્પેટ સાથે આ વર્ષે ઘર, બંગલાના ધાબા પર કે એપાર્ટમેન્ટ હોય તો બાલ્કનીમાં જ રહીને ગરબા રમીશું. જેથી ૭ વર્ષના બાળકથી લઈને ૭૦ વર્ષના વૃદ્ધો પણ માતાજીની આરાધના કરી શકીએ.

વિભૂતિ દેસાઈ જણાવ્યું કે, ગરબો અને ગુજરાત એકબીજા સાથે વણાયેલા છે, ત્યારે આ વર્ષે કોરોનાને કારણે આ વર્ષે ગરબા શક્ય નથી. ત્યારે લાસ્યગ્રુપ દ્વારા માસ્ક અને સેનેટાઈઝરની સુવિધા સાથે મકાનની અગાસી પણ કરવામાં આવ્યો છે તેની સ્પર્ધા પણ યોજીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news