બનાસકાંઠાના જવાને 1971નું યુદ્ધ લડી જીત્યા હતા બે મેડલ, હાલ જીવી રહ્યો છે આવી જીંદગી

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જડિયાલી ગામે નિવૃત જવાન ગલ્લો ચલાવવા મજબૂર છે. ઇન્ડિયન આર્મીમાં શામિલ થઈ 1971નું યુધ્ધ પણ જવાને કર્યું.

બનાસકાંઠાના જવાને 1971નું યુદ્ધ લડી જીત્યા હતા બે મેડલ, હાલ જીવી રહ્યો છે આવી જીંદગી

અલકેશ રાવ/ પાલનપુર: દેશની રક્ષા કરી નિવૃત થનાર એક જવાન કપરી પરિસ્થિતિમાં પોતાનું જીવન વ્યતિત કરી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જડિયાલી ગામે નિવૃત જવાન ગલ્લો ચલાવવા મજબૂર છે. ઇન્ડિયન આર્મીમાં શામિલ થઈ 1971નું યુધ્ધ પણ જવાને કર્યું. નિવૃત્તિ બાદ તેણે ખેતી માટે જમીન માંગી પરંતુ આજદિન સુધી તેને ખેતી માટે જમીન મળી નથી. વર્ષો સુધી સરકારી કચેરીના ધક્કા ખાધા પરંતુ આજદિન સુધી આ જવાન તેના હકથી વંચિત છે.

વાત છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જડિયાળી ગામની કે જ્યાં એક નિવૃત જવાન કપરી પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરવા મજબૂર છે. જડિયાળી ગામના રવાજી ઠાકોર ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમ્યાન તેઓએ ભારત પાકિસ્તાન વચ્ચે લડાયેલું 1971 નું યુદ્ધ લડયું હતું અને જેમાં તેમની બહાદુરી બદલ તેમને બે મેડલ પણ મળ્યા. તે બાદ પણ વર્ષો સુધી તેઓએ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી,પરંતુ નિવૃત્તિ બાદ તેમને જે લાભ મળવા જોઈએ તે મળ્યા નથી.

સરકારની જોગવાઈ મુજબ તે સમયે નિવૃત્ત જવાનો ને નિવૃત્તિ બાદ ખેતીની જમીન સરકાર આપતી હતી. પરંતુ રવાજી ઠાકોર ને જમીન ન મળતા તેઓ આજે નાનો ગલ્લો ચલાવવા મજબૂર છે. રવાજી ઠાકોર જ્યારે નિવૃત થયા ત્યારે તેમને સરકાર દ્વારા 1975 માં વકવાડા ગામે જમીન ફાળવણી કરવામાં આવી હતી પરંતુ જમીન પોતાના માટે કરવા તલાટીને લાંચ પેટે 1500 રૂપિયા ન આપી શકતા તેમની જમીન નામંજૂર થઈ. જે બાદ વાંરવાર રજૂઆત કરતા તેમને 1995 માં ધાનેરા પાસેના ગામમાં જમીન આપવામાં આવી. પરંતુ પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોઈ સરકારી નિયમ મુજબ 50 હજારની રકમ ભરી શકયા નહીં. જેથી તે જમીન પણ શ્રી સરકાર થઈ ગઈ.

આજે રવાજી ઠાકોરના દીકરાઓ પણ બે રોજગાર છે. જ્યારે તેમની પરણીત દીકરીને કૌટુંબિક વિખવાદ હોવાથી તેમના આશ્રિત જીવન ગુજારી રહી છે. જેના કારણે નિવૃત સૈનિક રવાજી ઠાકોરની પરિસ્થિતિ કફોડી બની છે. નિવૃત થયાને વર્ષો વીતી ગયા પરંતુ આજદિન સુધી તેમને પોતાનો હક મળ્યો નથી. 

રવાજી ઠાકોરના પત્ની બબુબેન ઠાકોરે જણાવ્યું હતું કે, નિવૃત્તિ બાદ જમીન મળશે અને પેંશનના આધારે જીવન વ્યતિત કરીશું તેવી પરિવારજનોને આશા હતી. પરંતુ પેંશન તો મળી પરંતુ જે જમીન ના તેઓ હકદાર હતા તે આજદિન સુધી તેમને મળી નથી. રવાજી ઠાકોરનો પરિવાર આજે ગરીબ સ્થિતિમાં જીવન ગુજારી રહ્યો છે. તેમની પત્ની મજૂરી કરવા જાય છે પણ રોજ મજૂરી ન મળતાં ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થતા તેમના પરિવારના સભ્યો પણ સરકાર પાસે અપેક્ષા કરી રહ્યા છે કે જે જમીન માટે તેઓ હકદાર છે, તે જમીન તેઓને મળે તો આગામી સમયમાં તેઓ ખેતી કરી જીવન ગુજારી શકે.

વનાભાઈ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સેવા કરનાર સૈનિકને પોતાનું ગુજરાન ચાલવા માટે પાનનો ગલ્લો ચલાવો પડી રહ્યો છે તે જોઈ ગામના લોકો પણ નિવૃત સૈનિકને જમીન મળે તેવું ઈચ્છી રહયા છે.

રવાજી ઠાકોરની ઉંમર અત્યારે 65 વર્ષની છે. તેઓ પોતાને મળતા જમીન હક માટે છેલ્લા કેટલાય વર્ષોથી લડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના કલેકટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે, રવાજી ઠાકોરને આદરથી જોઈ રહ્યા છે. અને કહી રહ્યા છે કે અગાઉ રવાજી ઠાકોરને જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ જે તે સમય દરમ્યાન તેઓએ નાણાં ભર્યા ન હતાં. અત્યારે સરકારના નિયમો માં પણ ફેરફાર છે. આથી હવે જ્યારે જાહેરનામું બહાર પડે અને સાંથણી થાય ત્યારે તેઓએ અરજી કરવાની રહેશે. ત્યારે આ મામલે જે પણ સરકાર ની જોગવાઈ હશે તે મુજબ કામગીરી કરીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news