ગુજરાતની આ હોસ્પિટલમાં દર્દીઓની બદતર સ્થિતિ! ઘોર કળિયુગમાં હવે માનવતા મરી પરવાડી

રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી ઉપર જ રહે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ કે જે ખાટલા ઉપરથી ઊભા નથી થઈ શકતા તેઓ માટે એર કૂલર કે પંખાની યોગ્ય વ્યવસ્થા ન થતા તેમના સ્વજનો ઘરેથી પંખા અને કુલર લઈ આવવા મજબૂર થયા છે.

ગુજરાતની આ હોસ્પિટલમાં દર્દીઓની બદતર સ્થિતિ! ઘોર કળિયુગમાં હવે માનવતા મરી પરવાડી

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 42 ડિગ્રી તાપમાનમાં દર્દીઓની હાલત બેહાલ થઈ છે. દર્દીઓ પોતાના ખર્ચે પંખા અને એર કુલરો લઈને સારવાર કરાવતા જોવા મળ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં જ બે દ્રશ્યો જોવા મળ્યા. જેમાં દર્દીઓ ઘરે થી પંખા લઈ આવ્યા જ્યારે સિવિલ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં ત્રણ - ત્રણ AC લાગેલા જોવા મળ્યા. જોકે zee મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક અસરથી ટ્રોમા કેર સેન્ટરના પાંચમા માળે વોર્ડમાં બારીઓમાં પડદા અને દર્દીઓ માટે પાંચ એર કુલર મુકવામાં આવ્યા હતા. 

રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીથી ઉપર જ રહે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ કે જે ખાટલા ઉપરથી ઊભા નથી થઈ શકતા તેઓ માટે એર કૂલર કે પંખાની યોગ્ય વ્યવસ્થા ન થતા તેમના સ્વજનો ઘરેથી પંખા અને કુલર લઈ આવવા મજબૂર થયા છે. ટ્રોમા સેન્ટરના પાંચમા માળે આવેલા મેલ વોર્ડમાં જ 15 પંખા હતા જ્યારે તેના ઉપરના છઠ્ઠા માળે મહિલાના વોર્ડમાં પણ 12 પંખા હતા. એક વોર્ડમાં જેટલા પંખા તંત્ર નથી લગાવી શક્યુ તેટલા તો દર્દીઓ ઘરેથી લઈ આવવા માટે મજબૂર બન્યા હતા. 

સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીની ચેમ્બર સિવિલના સૌથી જૂના બિલ્ડિંગમાં છે. આમ છતાં 20 સ્કવેર ફૂટની ચેમ્બરમાં ૩-૩ એસી છે. આજે મીડિયાએ સવાલો કરતા સિવિલ અધિક્ષક ઓફિસે જ ન આવ્યા અને કામ થી બહાર છે તેવું બહાનું આગળ ધરી દીધું હતું. સિવિલ અધિક્ષકની ચેમ્બરની બહાર અલીગઢી તાળું લગાવી દેવામાં આવ્યું હતું. જોકે નવાઈની વાત એ છે કે, સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં 2019 થી AC નાખવામાં આવેલા છે. જેમાં પ્રતિ AC પાવર સેવિંગ કર્યા બાદ પણ પ્રતિ વર્ષ 1027 યુનિટનો ઉપયોગ કરે છે. આવા ત્રણ AC હોવાથી માત્ર આર. એસ.ત્રિવેદી 3081 યુનિટ વીજળી પ્રતિ વર્ષ ઉપયોગ કરે છે. 22 હજાર કરતા વધુનું વિજબીલ માત્ર સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં ઠંડા ઠંડા કુલ કુલ જેવું વાતાવરણ કરવા માટે વપરાય છે. 

તો બીજી તરફ zee મીડિયાના અહેવાલો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ગાંધીનગર થી અદેશો છૂટતા સિવિલ અધિક્ષકે PIU વિભાગને દોડતું કર્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક ટ્રોમા કેર હોસ્પિટલમાં પાંચમા મળે બારીઓમાં પડદા ફિટિંગ થવા લાગ્યા હતા અને ગણતરીની કલાકોમાં જ એર કુલરો ભાડે મંગાવી પાંચ એરકુલર એક જ વોર્ડમાં મુકવામાં આવ્યા હતા. જેથી દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજકોટના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે કહ્યું હતું કે, સિવિલ અધિક્ષક સાથે ટેલિફોનિક વાત થઈ છે અને તાત્કાલિક બારીઓમાં પડદા અને એરકુલર ભાડે કરી લગાવવામાં આવ્યા છે. પોર્ટેબલ હોસ્પિટલના 18 AC ક્યાં ગયા તે અંગે પણ સિવિલ અધિક્ષકને સવાલ કરવામાં આવ્યો છે. અમુક AC PMSSY બિલ્ડીંગમાં ડાયાલિસિસ વોર્ડમાં લગાવ્યા હોવાનો દાવો કર્યો હતો. 

તો બીજી તરફ કોંગ્રેસ નેતા મહેશ રાજપુતે સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના કૌભાંડો ચાલતા હોવાનો આરોપ લગાવ્યો હતો. RMC કરતા પણ મોટા કૌભાંડો સિવિલ હોસ્પિટલ તંત્રમાં ચાલે છે તેવો દાવો કર્યો હતો. દર્દીઓને સુવિધા આપવાને બદલે કોન્ટ્રાકટર પદ્ધતિ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આટલો બધો ખર્ચ કરવા છતાં દર્દીઓએ ઘરે થી પંખા લઈ આવવા પડી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે આંટો મારે તો પણ તંત્ર દ્વારા દર્દીઓની સારી સાર સંભાળ લઈ શકાય છે. 

સિવિલ હોસ્પિટલમાં માનવતા મરી પરવાડી હોઈ તેમ દર્દીઓની દરકાર કોઈ કરતું નથી. શિફ્ટ મુજબ ડોક્ટરો ફરજ બજાવી જતા રહે છે. સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં ઠંડા ઠંડા કુલ કુલ જેવું વતાનુકુલીત વાતાવરણ જોવા મળતું હોય છે. જ્યારે દર્દીઓ 44 ડિગ્રી તાપમાનમાં શેકતા જોવા મળતા હોય છે. સમાજમાં સામાજિક સંસ્થાઓ સામાજિક કાર્યોનો ઠેકો લઈને વાહવાહી કરતી હોય છે પણ સિવિલ હોસ્પિટલમાં એક પણ સામાજિક સંસ્થામાંથી સેવા કરવા કોઈ આવ્યું નહોતું. જોકે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પણ માત્ર સારૂં સારૂં બોલતા હોઈ છે. MLA ચૂંટાઇ ગયા પછી સિવિલ હોસ્પિટલમાં કેવી સુવિધા છે તે પણ જોવા ક્યારેય આવ્યા નથી. શું સિવિલ હોસ્પિટલમાંથી 18 AC ક્યાં ગુમ થઈ ગયા તે સવાલ આરોગ્ય વિભાગ મંગશે કે નહીં?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news