અમીત જેઠવા કેસઃ 2015-17 સુધીના CBIના અધિકારીઓ-ન્યાયાધિશો સામે તપાસની માગ

અમીત જેઠવા તરફથી કેસ લડી રહેલા વકીલ આનંદ યાજ્ઞિકે પત્રકાર પરિષદમાં સીબીઆઈ કોર્ટના ચૂકાદાને અભૂતપૂર્વ જણાવતા કહ્યું કે, જે 105 સાક્ષીઓ ફરી ગયા છે તેની પણ તપાસ થવી જોઈએ 
 

અમીત જેઠવા કેસઃ 2015-17 સુધીના CBIના અધિકારીઓ-ન્યાયાધિશો સામે તપાસની માગ

અતુલ તિવારી/અમદાવાદઃ અમિત જેઠવા કેસમાં સીબીઆઈ કોર્ટ દ્વારા ગુરૂવારે આપવામાં આવેલા ચૂકાદામાં તમામ 7 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિતના તમામ આરોપીઓને સીબીઆઈ કોર્ટ દ્વારા કુલ મળીને રૂ.60.50 લાખનો દંડ પર ભરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ દંડની રકમમાંથી અમિત જેઠવાની પત્નીને રૂ.5 લાખ અને બંને બાળકોને 3-3 લાખ આપવા કોર્ટે આદેશ આપ્યો છે. અમિત જેઠવા હત્યા કેસમાં 9 વર્ષ બાદ ચૂકાદો આવ્યો છે.  

ઉલ્લેખનીય છે કે, 20 ઓગસ્ટ 2010ના રોજ હાઈકોર્ટની સામે સત્યમેવ બિલ્ડિંગમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઓફિસના પ્રાંગણમાં રાત્રે 8.45 કલાકની આસપાસ RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 12 બોરની તમંચાથી હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિતના લોકો સામેલ હોવાની ફરિયાદ કરાઈ હતી. હાઈકોર્ટ દ્વારા કેસની તપાસ સીબીઆઈને સોંપાયા પછી સીબીઆઈએ દિનુ બોઘા સહિતના આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. જેના આધારે સીબીઆઈએ CBI કોર્ટે દીનું બોઘા સહિતના આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. 

સીબીઆઈ કોર્ટના ચૂકાદા પછી અમિત જેઠવા હત્યા કેસ અંગે એડવોકેટ આનંદ યાજ્ઞિકે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે સીબીઆઈ કોર્ટેના ચુકાદાને અભૂતપૂર્વ ગણાવા સાથે સજા બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આરોપીઓની આજીવન કેદની સજાને તબદીલ કરીને મૃત્યુદંડની સજા કરાવવા માટે તેઓ હાઈકોર્ટ અને જરૂર પડે સુપ્રીમ સુધી જવાની તૈયારી તેમણે દર્શાવી હતી.   

એડવોકેટ આનંદે આક્ષેપ કરતા જણાવ્યું કે, "દિનુ બોઘા હજુ પણ લાઇમ સ્ટોન, રેતી- ખનીજ ચોરી એ તમામ પ્રકારના ગેરકાયદે કામ કરી રહ્યો છે. સીધી કે આડકતરી રીતે સરકારી કામોમાં તેનો માલ-સામાન પણ જાય છે." દિનુ બોઘા અને તેના સાગરિતો દ્વારા તેમના પર હજુ પણ જીવલેણ હુમલા થાય તેવી દહેશત આનંદ યાજ્ઞિકે વ્યક્ત કરી હતી. 

તેમણે વધુમાં જણાવ્યું કે, હજુ પણ ગેરકાયદે ખનીજ ખનન ચાલી રહ્યું છે જે વન વિભાગ અને કલેકટરે બંધ કરાવવું જોઈએ. દિનુ બોઘાની જંગલમાં હજુ પણ અનેક ખાણો બેરોકટોક ધમધમી રહી છે જે બંધ થવી જોઈએ. અંબુજા સિમેન્ટ કંપનીએ દિનુ બોઘાનૌ સૌથી વધુ લાભ લીધો છે. દિનુ બોઘાની શેહમાં શાપુરજી પણ કરોડો રૂપિયાના બંદર બનાવી રહ્યા છે, જે કામ બંધ થવું જોઈએ. 

આ સાથે જ આનંદ યાજ્ઞિકે આ કેસમાં ફરી ગયેલા 105 સાક્ષીઓ સામે તપાસ કરવાની અને તેમની સામે કેસ દાખલ કરવાની પણ માગ કરી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2015થી 2017 દરમિયાન સીબીઆઈના ન્યાયાધિશો અને અધિકારીઓએ કેમ મૌન ધારણ કર્યું હતું તેની પણ વિસ્તૃત તપાસ હાથ ધરવી જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. જે તપાસ અધિકારીઓએ આ કેસની તપાસમાં મૌન ધારણ કર્યું હતું તેમની સામે તપાસના આદેશ બહાર પાડવા હાઈકોર્ટના દ્વારા ખખડાવાનું તેમણે કહ્યું હતું. 

અમિત જેઠવાના પિતા ભીખુભાઇ જેઠવાએ જણાવ્યું કે, સીબીઆઈ કોર્ટમાં જે સાક્ષીઓ ફરી ગયા તેમની સામે પગલાં લેવાં જોઈએ. આ કેસમાં સંડોવાયેલા લોકો માથાભારે અને માફિયાઓ છે, આ કેસની સાથે સંકળાયેલા મારા પરિવાર, ન્યાયાધિશ અને પોલીસને સરકારે સુરક્ષા પૂરી પાડવી જોઈએ. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news